ઈરાને ઈઝરાયલ પર કર્યો વળતો પ્રહાર, 100થી વધુ ડ્રોન વડે કર્યા હુમલા, IDFનો તોડી પાડ્યાનો દાવો
Iran Israel War: ઈઝરાયલના હુમલાનો વળતો જવાબ આપતાં ઈરાને ઈઝરાયલ પર 100થી વધુ ડ્રોન વડે હુમલો કર્યો છે. ઈરાને પણ ઈઝરાયલની ડિફેન્સ સિસ્ટમને ટાર્ગેટ બનાવતાં ડ્રોન વડે હુમલો શરૂ કર્યો છે. ઈરાનના તહેરાનમાં સ્થિત પરમાણુ કેન્દ્રો અને સૈન્ય મથકો પર ઈઝરાયલના હુમલા બાદ ઈરાને વળતો પ્રહાર કર્યો છે. ઈરાને ઈઝરાયલની તમામ ડિફેન્સ સિસ્ટમને ટાર્ગેટ બનાવી હોવાના અહેવાલ મળ્યા છે. જ્યારે ઈઝરાયલ ડિફેન્સ ફોર્સે (IDF) આ તમામ ડ્રોનને તોડી પાડ્યા હોવાનો દાવો કર્યો છે.
ઈઝરાયલની સેનાના પ્રવક્તા બ્રિગેડિયર જનરલ એફી ડેફ્રિને જણાવ્યું હતું કે, તમામ ડ્રોન ઈઝરાયલની સરહદ તરફ આગળ વધી રહ્યા છે. તેને અટકાવવા સંભવિત તમામ પ્રયાસો થઈ રહ્યા છે. ઈઝરાયલે ઈરાનના પરમાણુ કેન્દ્રો, બેલેસ્ટિક મિસાઈલ ફેક્ટરી અને ઈરાની સેનાના અધિકારીઓને ટાર્ગેટ બનાવ્યા હતા. આ ઓપરેશનને ઈઝરાયલે રાઈઝિંગ લાયન નામ આપ્યું છે. ઈરાન દ્વારા છોડવામાં આવેલા 100 ડ્રોનને તોડી પાડવામાં આવ્યા છે. ઈરાનના હુમલાને નિષ્ફળ બનાવવા 200 ઈઝરાયલી ફાઈટર જેટ સક્રિય છે. બીજી તરફ ઈરાન ડિફેન્સ ફોર્સે ઈઝરાયલની તમામ ડિફેન્સ સિસ્ટમને ટાર્ગેટ બનાવી હુમલા શરૂ કર્યા છે.
પરિણામ ભોગવવા પડશેઃ ખામેનેઈ
ઈરાનના સુપ્રીમો આયતુલ્લા અલી ખામેનેઈએ ઈઝરાયલના હુમલાની નિંદા કરતાં કહ્યું કે, ઈઝરાયલે હવે આ હુમલાના માઠા પરિણામ ભોગવવા પડશે. ઈઝરાયલે ઈરાન વિરૂદ્ધ લોહિયાળ જંગ શરૂ કરી છે. હવે ઈઝરાયલે તેના ઘાતક પરિણામો ભોગવવા તૈયાર રહેવુ પડશે. ઈઝરાયલના હુમલામાં અનેક કમાન્ડર અને પરમાણુ વિજ્ઞાની માર્યા ગયા છે. ઈશ્વર તેમના આત્માને શાંતિ અર્પે. હું ઈચ્છું છું કે, તેમના ઉત્તરાધિકારી અને સહકર્મી કોઈપણ વિલંબ વિના જવાબી કાર્યવાહી શરૂ કરે.
ઈઝરાયલે શરૂ કર્યો હુમલો
ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહુએ જણાવ્યા અનુસાર, ઈરાનની ન્યૂક્લિયર પ્રોગ્રામ માટેની તૈયારીઓને ધ્યાનમાં લેતાં ઈઝરાયલે સૈન્ય ગતિવિધિઓમાં વધારો કર્યો છે. ઈરાનના આ પરમાણુ હુમલાથી વિશ્વમાં ગંભીર અસરો થવાની ભીતિ પણ સર્જાઈ છે. ઈઝરાયલે ગઈકાલે રાત્રે ઈરાનના વિવિધ સ્થળો પર હુમલા કર્યા હતાં. જેમાં ઈરાનના આર્મી ચીફ મોહમ્મદ બઘેરી અને કમાન્ડર ઈન ચીફ હુસૈન સલામી માર્યા ગયા હોવાનો દાવો ઈઝરાયલે કર્યો હતો.
ટ્રમ્પે આપ્યો હતો યુદ્ધનો સંકેત
ઈરાન-ઈઝરાયલ વચ્ચે ફરી એકવાર ભીષણ યુદ્ધ થવાનો સંકેત ડોનાલ્ડ ટ્રમ્પે અગાઉથી જ આપી દીધો હતો. તેમણે આ મધ્ય-પૂર્વીય દેશોમાં વસતાં પોતાના નાગરિકો અને દૂતાવાસના કર્મચારીઓને પરત અમેરિકા ફરવા નિર્દેશ આપ્યો હતો.