VIDEO: ઈરાનમાં હજારો લોકો રાતોરાત શહેર છોડી ભાગ્યા, રસ્તા પર ચક્કાજામ, મેટ્રો સ્ટેશન ખોલ્યા
Iran-Israel Controversy : અમેરિકા સાથે પરમાણુ સોદા પર વાતચીત રદ કરનાર ઈરાન હાલ ઇઝરાયલના ભયાનક હુમલાઓનો સામનો કરી રહ્યું છે. ઇઝરાયલ અને ઈરાન શુક્રવારથી એકબીજા પર મિસાઇલો સહિતના હથિયારોથી હુમલાઓ કરી રહ્યા છે, જેના કારણે અનેક લોકોમાં ભયના માહોલ ઊભો થયો છે. મીડિયા રિપોર્ટ મુજબ ઇઝરાયલના હુમલાથી ડરી ગયેલા ઈરાનના લોકો રાતોરાત શહેર છોડવા મજબૂર થયા છે, જેના કારણે અહીં રસ્તાઓ પર ચક્કામજામ સર્જાયો છે. આ ઉપરાંત ઈરાની સરકારે પણ તમામ મેટ્રો સ્ટેશનો ખોલી નાખ્યા છે.
ઇઝરાયેલના બોંબમારાના ડરથી લાખો લોકો તહેરાન છોડવા મજબૂર
મીડિયા રિપોર્ટ મુજબ ઇઝરાયલ ઈરાનની રાજધાની તહેરાનમાં સતત ભયાનક હુમલાઓ કરી રહ્યું છે, જેના કારણે ત્યાં ડરના માર્યા લોકો પોતાના ઘરો છોડી અન્ય સ્થળે ભાગવા મજબૂર થયા છે. વાયરલ વીડિયોમાં તહેરાનથી બહારના રસ્તાઓ પર ટ્રાફિક જામના દૃશ્યો જોવા મળી રહ્યા છે. અહીં અનેક કિલોમીટર સુધી લાંબો ટ્રાફિક જામ થયો છે. ઇઝરાયેલના બોંબમારાના કારણે લોકો તહેરાન છોડી અન્યત્ર દોડી રહ્યા છે. તહેરાન છોડનારાઓની સંખ્યા લાખો લોકોમાં હોવાથી, રસ્તાઓ બંધ થઈ ગયા છે અને લોકો રસ્તામાં જ ફસાઈ ગયા છે.
ઈરાનના લોકોએ ડરવાની જરૂર નથી : સરકાર
ઇઝરાયલના તાબતોડ હુમલાના કારણે તહેરાનના લોકો ઘર છોડવા મજબૂર થયા છે, સાથે તેઓ જીવનજરુરી ચીજવસ્તુઓ માટે પણ વલખાં મારી રહ્યા છે. બીજી તરફ ઈરાન સરકારના પ્રવક્તા ફતેમેહ મોહરજેરાનીએ સરકારી ટીવીને કહ્યું હતું કે, ‘ઈરાનના લોકોએ ડરવાની જરૂર નથી. લોકો ઇઝરાયેલના હુમલા દરમિયાન મસ્જિદો, શાળાઓ અને મેટ્રો સિસ્ટમમાં પણ આશરો લઈ શકે છે. રોજિંદા ઉપયોગની વસ્તુઓ ઉપલબ્ધ છે અને કોઈપણ ચીજવસ્તુઓની અછત નથી. ’
ઇઝરાયલની હુમલાથી ફરી હચમચી ગયું તહેરાન
ઇઝરાયલે શુક્રવારે ઈરાન પર અનેક મિસાઇલ હુમલા કર્યા હતા, જેમાં ઈરાનના ટોચના કમાન્ડો સહિત 100થી વધુ લોકોના મોત થયા હતા. ત્યારબાદ બંને દેશો વચ્ચે હુમલાઓ હજુ પણ ચાલી રહ્યા છે. રિપોર્ટ મુજબ રવિવારે (15 જૂન) ઈરાનની રાજધાની તહેરાનમાં પાંચ કાર બોંબ વિસ્ફોટ થયા છે, જે મામલે ઈરાને ઇઝરાયલને જવાબદાર ઠેરવ્યું છે. ઇઝરાયલના હુમલાઓને અટકાવવા માટે ઈરાને પોતાની એર ડિફેન્સ સિસ્ટમ એક્ટિવ કરી દીધી છે.