Get The App

'અમારી મદદ કરો....', ઇઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધની સ્થિતિ વચ્ચે ભારતીય વિદ્યાર્થીઓ ફસાયા

Updated: Jun 14th, 2025

GS TEAM


Google News
Google News
Indian Students In Tehran


Indian Students In Tehran: ઇઝરાયલે ઈરાનની રાજધાની તેહરાન નજીક સ્થિત મહત્ત્વપૂર્ણ લશ્કરી અને પરમાણુ ઠેકાણાને નિશાન બનાવીને હવાઈ હુમલા કર્યા હતા, જેના કારણે આસપાસના વિસ્તારોમાં ભયનો માહોલ ફેલાય ગયો છે. ઈરાનમાં ઇઝરાયલી હવાઈ હુમલા બાદ, ત્યાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓએ ભારત સરકારને તાત્કાલિક તેમનું સ્થળાંતર માટે અપીલ કરી છે. 

ઈરાનમાં ભણતા ભારતીય વિધાર્થીઓએ અપીલ કરતા કહ્યું છે કે, 'અમે ડરી ગયા છીએ, અમને અહીંથી બહાર કાઢો.' આ મામલે તેહરાન યુનિવર્સિટી ઓફ મેડિકલ સાયન્સમાં MBBS ના બીજા વર્ષમાં અભ્યાસ કરતી કાશ્મીરની તાબિયા ઝહરાએ મીડિયા એજન્સીને જણાવ્યું છે કે,  'હુમલો બપોરે લગભગ 3:30 વાગ્યે શરૂ થયો, ત્યારે અમને જમીન ધ્રુજતી અનુભવાઈ. તે ખૂબ જ ભયાનક અનુભવ હતો. જો કે પરિસ્થિતિ હવે શાંત છે અને અમે સુરક્ષિત છીએ, પરંતુ અમે ડરી ગયા છીએ.'

તેહરાન સહિત ઘણા વિસ્તારોમાં મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે

ઝહરાએ આ અંગે વધુમાં જણાવ્યું હતું કે, 'યુનિવર્સિટીના અધિકારીઓ વિદ્યાર્થીઓને મળ્યા હતા અને અમને શાંત રહેવાની સલાહ આપી હતી, પરંતુ કયા વિસ્તારો વધુ સુરક્ષિત છે તે સ્પષ્ટ કર્યું ન હતું. વિદ્યાર્થીઓએ ભારત સરકારને વિનંતી કરી છે કે તેઓ શક્ય તેટલી વહેલી તકે સ્થળાંતર યોજના બનાવે અને અમને પાછા લાવવાની પ્રક્રિયા શરૂ કરે.' ઈરાનમાં ભારતીય વિદ્યાર્થીઓની ચોક્કસ સંખ્યા હજુ સુધી જાણી શકાઈ નથી, પરંતુ મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓ તેહરાન અને તેની આસપાસની તબીબી સંસ્થાઓમાં અભ્યાસ કરી રહ્યા છે.

ઇઝરાયલે ઇરાનના પરમાણુ સ્થળોને નિશાન બનાવ્યા

ગુરુવારે મોડી રાત્રે ઇઝરાયલે ઈરાનમાં અનેક સ્થળોએ હવાઈ હુમલા કર્યા, જેમાં નટાન્ઝ ખાતેના તેના પરમાણુ અને સૈન્ય મથકોને નિશાન બનાવવામાં આવ્યા હતા. જેની પુષ્ટિ ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ કરી હતી. 

ઇઝરાયલી હુમલા બાદ ઈરાને પણ જોરદાર પ્રતિક્રિયા આપી. ઇઝરાયલી હુમલા બાદ ઈરાને એક સાથે સેંકડો ડ્રોન ઇઝરાયલ તરફ મોકલ્યા. ઈરાનના સુપ્રીમ લીડર ખામેનાઈ સહિત ઈરાની નેતૃત્વએ પણ ઇઝરાયલી હુમલા અંગે કડક ચેતવણી આપી છે. ઇઝરાયલ અને ઈરાન સામસામે આવતાં પ્રદેશમાં તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે.

જમ્મુ અને કાશ્મીર વિદ્યાર્થી સંઘે વિદેશમંત્રીને પત્ર લખ્યો

બીજી તરફ, જમ્મુ અને કાશ્મીર વિદ્યાર્થી સંઘે વિદેશમંત્રી ડૉ. એસ. જયશંકરને પત્ર લખીને ઈરાનમાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓ, ખાસ કરીને જમ્મુ અને કાશ્મીરના વિદ્યાર્થીઓને મદદ કરવા તાત્કાલિક હસ્તક્ષેપ કરવાની વિનંતી કરી છે.

'અમારી મદદ કરો....', ઇઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધની સ્થિતિ વચ્ચે ભારતીય વિદ્યાર્થીઓ  ફસાયા 2 - image

Tags :