પહેલા ઈઝરાયલ હુમલા રોકે: ટ્રમ્પ દ્વારા સીઝફાયરની જાહેરાત બાદ ઈરાનની પ્રથમ પ્રતિક્રિયા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Iran-Israel Ceasefire: ઈરાન અને ઈઝરાયલ વચ્ચે છેલ્લા ઘણાં દિવસોથી યુદ્ધ ચાલી રહ્યો છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની જાહેરાત બાદ બંને દેશ સીઝફાયર માટે સહમત થયા છે. જો કે, મુસ્લિમ દેશ કતારે આમાં ખૂબ જ મહત્ત્વની ભૂમિકા ભજવી છે. તેહરાન અને કતારના માધ્યમથી અમેરિકા દ્વારા રજૂ કરાયેલી શરતો પર સીઝફાયર માટે સંમત થયા છે. જે મિડલ ઈસ્ટમાં શાંતિ પુનઃસ્થાપિત કરવા તરફ આ એક મહત્ત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે.આ દરમિયાન ઈરાનની પ્રથમ પ્રતિક્રિયા સામે આવી છે.
ઈરાનના વિદેશ મંત્રી સઈદ અબ્બાસ અરાઘચીએ કહ્યું કે, 'હજુ સુધી કોઈ સીઝફાયર કરાર થયો નથી. જો કે ઇઝરાયલ તેહરાન સમય મુજબ સવારે 4 વાગ્યા પહેલા હુમલા બંધ કરી દે તો અમારો હુમલા ચાલુ રાખવાનો ઈરાદો નથી. તે પછી જ અમે સીઝફાયર પર નિર્ણય લઈશું.'
ઈઝરાયલ આ શરતો પર સંમત થયું
અહેવાલો અનુસાર, વ્હાઈટ હાઉસના વરિષ્ઠ અધિકારીઓએ સીઝફાયરની પુષ્ટિ કરી હતી. ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ અને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે સીધી વાતચીત થઈ હતી. ઈઝરાયલ એ શરતે સંમત થયું હતું કે ઈરાન તરફથી વધુ કોઈ હુમલા નહીં થાય. આ દરમિયાન, તેહરાન સાથે સંકળાયેલા વરિષ્ઠ ઈરાની અધિકારીઓએ પુષ્ટિ કરી છે કે, ઈરાન કતારની મધ્યસ્થી હેઠળ અને અમેરિકા દ્વારા પ્રસ્તાવિત શરતો પર સીઝફાયર માટે સંમત થયું છે.
આ પણ વાંચો: ઈરાન અને ઈઝરાયલ વચ્ચે સીઝફાયર, ડોનાલ્ડ ટ્રમ્પે કરી જાહેરાત
24 કલાકમાં સત્તાવાર રીતે સમાપ્ત થઈ જશે યુદ્ધ: ટ્રમ્પ
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ પર પોસ્ટ કરી જણાવ્યું, કે 'ઈરાન અને ઈઝરાયલ પૂર્ણ અને અંતિમ સીઝફાયર માટે રાજી થયા છે. આગામી છ જ કલાકમાં સીઝફાયર લાગુ થઈ જશે. ઈરાને પહેલા તેનું પાલન કરવું પડશે. ઈરાન દ્વારા સંઘર્ષ વિરામના પાલન બાદ આગામી 12 કલાકમાં ઈઝરાયલ પણ સીઝફાયર લાગુ કરી દેશે. આગામી 24 કલાકમાં યુદ્ધ સત્તાવાર રીતે સમાપ્ત થઈ જશે.'
ગઇકાલે જ ઈરાને કર્યો હતો અમેરિકાના બેઝ પર હુમલો
ઉલ્લેખનીય છે કે, ઈરાનને પરમાણુ હથિયારો બનવવાથી રોકવા માટે સૌથી પહેલા ઈઝરાયલે ઈરાનના પરમાણુ ઠેકાણા પર હુમલા કર્યા. જે બાદ ઈરાને મિસાઈલો અને ડ્રોનથી વળતો જવાબ આપતા ભીષણ યુદ્ધ શરૂ થયું હતું. બાદમાં યુદ્ધમાં ઈઝરાયલની પડખે અમેરિકાની એન્ટ્રી થઈ અને અમેરિકાએ પણ ઈરાનના પરમાણુ ઠેકાણા પર હુમલા કર્યા. 23મી જૂને અમેરિકાથી બદલો લેવા માટે ઈરાને કતારમાં અમેરિકાના એરબેઝ પર હુમલો કર્યો હતો. જો કે અમેરિકાનો દાવો છે કે ઈરાને છોડેલી તમામ મિસાઈલોને હવામાં જ ધ્વસ્ત કરી દેવામાં આવી જેથી કોઈ નુકસાન થયું હતું. કતાર પર ઈરાનના હુમલાના થોડા જ કલાકોમાં ઈરાન અને ઈઝરાયલ વચ્ચે સંઘર્ષ વિરામની જાહેરાત કરવામાં આવી છે.









