War Impact in Iraq: મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ઇરાક એવી સ્થિતિમાં ફસાઈ ગયું છે, જ્યાં તેને બંને તરફથી થઈ રહેલા હુમલાઓનો સામનો કરવો પડી રહ્યો છે. એક તરફ ઈરાન અને તેના સમર્થિત મિલિશિયા જૂથો અમેરિકન ઠેકાણાઓ અને હિતો પર હુમલા કરી રહ્યા છે, તો બીજી તરફ અમેરિકા પણ આ હુમલાના જવાબમાં ઇરાકની અંદર આવેલા મિલિશિયા ઠેકાણાઓને નિશાન બનાવી રહ્યું છે. આના કારણે ઇરાક ધીરે ધીરે એક મોટા સંકટ તરફ આગળ વધી રહ્યું હોય તેવા ભણકારા થઈ રહ્યા છે.
ઇરાક પર સૌથી વધુ અસર
28 ફેબ્રુઆરીએ અમેરિકા અને ઈઝરાયલ દ્વારા ઈરાન પર મોટા પાયે હુમલા શરૂ કરવામાં આવ્યા બાદ સમગ્ર વિસ્તારમાં તણાવ વધી ગયો છે. ત્યારબાદ ઈરાન અને તેની સાથે જોડાયેલા સંગઠનોએ અનેક જગ્યાએ વળતી કાર્યવાહી શરૂ કરી દીધી છે. આ ભીષણ ટક્કરની સીધી અસર હવે ઇરાકમાં જોવા મળી રહી છે.
ઈરાન અને અમેરિકા બંને તરફથી ઈરાકનો મરો
યુદ્ધ શરૂ થયા પછી ઇરાકમાં અમેરિકન સૈન્ય મથકો, દૂતાવાસો અને ઉર્જા સાથે જોડાયેલા માળખાઓને નિશાન બનાવવામાં આવ્યા છે. રાજધાની બગદાદ અને ઉત્તરી શહેર ઇરબિલના એરપોર્ટની આસપાસ પણ ડ્રોન અને મિસાઇલ હુમલાની ઘટનાઓ સામે આવી છે. આ ઈરાની હુમલાઓનું મુખ્ય લક્ષ્ય અમેરિકા અને તેના સહયોગીઓ રહ્યા છે. ઉત્તરી ઇરાકના કુર્દ વિસ્તારની રાજધાની ઇરબિલમાં લગભગ દરરોજ ડ્રોન હુમલાના પ્રયાસો જોવા મળી રહ્યા છે. અહીં અમેરિકન સૈન્ય મથકોની સાથે સાથે વ્યાપારી વિસ્તારો અને કેટલીક હોટલોને પણ નિશાન બનાવવામાં આવી છે. સ્થાનિક મીડિયા અહેવાલો મુજબ, ઘણીવાર લોકો કેફે અને બજારોમાં બેઠા હોય છે અને અચાનક આકાશમાં ડ્રોનનો અવાજ સંભળાય છે, ત્યારબાદ વિસ્ફોટનો અવાજ અને ધુમાડાના ગોટા દેખાય છે.
થઈ શું રહ્યું છે?
આ હુમલાઓના જવાબમાં અમેરિકાએ પણ કાર્યવાહી તેજ કરી છે. અમેરિકન સેનાએ ઇરાકના અનેક વિસ્તારોમાં ઈરાન સમર્થિત મિલિશિયા ઠેકાણાઓ પર હવાઈ હુમલા કર્યા છે. જેમાં બગદાદની દક્ષિણમાં જુરફ અલ-સખર, ઉત્તરી ઇરાકના કેટલાક વિસ્તારો અને ઇરાક-સીરિયા સરહદ પાસેના અલ-કાઈમ વિસ્તારનો સમાવેશ થાય છે. ઇરાકની મુશ્કેલી એ છે કે તેની અંદર એક તરફ ઈરાન સમર્થિત સશસ્ત્ર જૂથો હાજર છે, તો બીજી તરફ દેશમાં અમેરિકાના સૈન્ય મથકો અને રાજદ્વારી હિતો પણ છે. આવી સ્થિતિમાં ઇરાક આ સમગ્ર સંઘર્ષનું કેન્દ્ર બની રહ્યું છે.
ઈરાકની સરકાર ટેન્શનમાં
જો કે બગદાદ અને ઇરબિલ બંને સરકારો સતત કહી રહી છે કે તેમના દેશની ધરતી પર આ યુદ્ધ લડાવું જોઈએ નહીં. પરંતુ પરિસ્થિતિ ધીરે ધીરે તેમના નિયંત્રણ બહાર જતી હોય તેવું લાગે છે. આ સંઘર્ષની સૌથી મોટી અસર ઇરાકની અર્થવ્યવસ્થા પર પડી રહી છે. ઇરાકની અર્થવ્યવસ્થા લગભગ સંપૂર્ણપણે તેલ નિકાસ પર નિર્ભર છે. પરંતુ ખાડી વિસ્તારમાં જહાજોની અવરજવર પ્રભાવિત થવાને કારણે અને તેલના માળખાગત ઢાંચા પરના હુમલાઓને લીધે નિકાસ લગભગ અટકી ગઈ છે. જો આ સ્થિતિ લાંબા સમય સુધી ચાલુ રહેશે તો ઇરાક સરકાર માટે મોટું નાણાકીય સંકટ ઊભું થઈ શકે છે. ખાનગી અહેવાલ મુજબ, સરકારે ચેતવણી આપી છે કે જો તેલની નિકાસ ઝડપથી શરૂ નહીં થાય, તો આવતા મહિનાથી સરકારી કર્મચારીઓને પગાર આપવામાં પણ મુશ્કેલી પડી શકે છે. ઇરાકમાં સરકારી ક્ષેત્રમાં મોટી સંખ્યામાં કર્મચારીઓ કામ કરે છે અને પગાર અટકવાની સ્થિતિમાં દેશમાં મોટા પાયે વિરોધ પ્રદર્શનો થઈ શકે છે.
મિલિશિયા જૂથો અને કુર્દ જૂથો
આ દરમિયાન એક અન્ય સમાંતર સંઘર્ષ પણ ચાલી રહ્યો છે. ઈરાન સમર્થિત ઇરાકી મિલિશિયા જૂથો અને અમેરિકન સેના વચ્ચે લગભગ દરરોજ અથડામણો થઈ રહી છે. ડ્રોન અને રોકેટ હુમલાઓ દ્વારા અમેરિકન ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે, જ્યારે અમેરિકા વળતી કાર્યવાહી કરી રહ્યું છે. ઈરાન સમર્થિત જૂથોએ ઉત્તરી ઇરાકમાં હાજર કેટલાક કુર્દ સંગઠનોને પણ નિશાન બનાવ્યા છે. અહેવાલો મુજબ, અમેરિકા આ કુર્દ જૂથોને સમર્થન આપવા પર વિચાર કરી રહ્યું હતું જેથી તેઓ ઈરાન પર દબાણ બનાવી શકે. કેટલાક કુર્દ નેતાઓએ સંકેત આપ્યો છે કે જો તેમને અમેરિકન સમર્થન મળશે તો તેઓ ઈરાનની અંદર પણ કાર્યવાહી કરી શકે છે.
ઈરાકમાં કાર્યવાહક સરકાર
રાજકારણના સ્તરે પણ ઇરાક આ સમયે નબળી સ્થિતિમાં છે. દેશમાં હાલમાં એક વચગાળાની સરકાર કામ કરી રહી છે. અમેરિકાએ પૂર્વ વડાપ્રધાન નૂરી અલ-મલિકીના નામાંકનનો વિરોધ કર્યો હતો, જેના કારણે નવી સરકારની રચના થઈ શકી નથી. હાલના કાર્યવાહક વડાપ્રધાન મોહમ્મદ શિયા અલ-સુદાની પાસે મિલિશિયા જૂથોને નિયંત્રિત કરવા માટે મર્યાદિત સત્તાઓ છે.
આ પણ વાંચો: હોર્મુઝમાં અમેરિકા એકલું પડ્યું? યુદ્ધ જહાજો મોકલવાની ટ્રમ્પની અપીલને ધ્યાનમાં જ ના લીધી
સ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ
સ્થિતિ સંભાળવા માટે બગદાદ સરકારે ઉત્તરી કુર્દ વિસ્તારથી તુર્કીયે સુધી જતી પાઇપલાઇન દ્વારા તેલ નિકાસ ફરી શરૂ કરવા અપીલ કરી છે. આ પાઇપલાઇન કિરકુકના તેલ ક્ષેત્રોથી તુર્કીયેના જેહાન બંદર સુધી જાય છે. સરકાર ઈચ્છે છે કે દરરોજ ઓછામાં ઓછું અઢી લાખ બેરલ તેલ આ માર્ગે નિકાસ કરવામાં આવે, પરંતુ આ મુદ્દે કુર્દ નેતૃત્વ અને કેન્દ્ર સરકાર વચ્ચેની વાતચીત હજુ સુધી કોઈ નિષ્કર્ષ પર પહોંચી નથી. નિષ્ણાતોનું માનવું છે કે જો યુદ્ધ લાંબું ખેંચાય છે તો ઇરાક માટે સ્થિતિ વધુ મુશ્કેલ બની શકે છે. આર્થિક ફટકો, રાજકીય અસ્થિરતા અને મિલિશિયા જૂથોની વધતી જતી પ્રવૃત્તિઓ મળીને દેશની એ સ્થિરતાને પણ જોખમમાં મૂકી શકે છે, જેને ઇરાકે છેલ્લા ઘણા વર્ષોમાં ખૂબ મુશ્કેલીથી હાંસલ કરી છે.


