US H-1B Visa : અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે H-1B વર્ક વિઝા માટે જાહેર કરેલી નવી 1 લાખ ડોલર (લગભગ 90 લાખ રૂપિયા)ની ફીએ ભારતના આઈટી અને આઈટી સક્ષમ સેવા (ITeS - Information Technology Enabled Services) ઉદ્યોગમાં ભારે ચિંતા સર્જી છે. H-1B વિઝા પર મોટી સંખ્યામાં કુશળ ભારતીય કર્મચારીઓ અમેરિકા મોકલનાર ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (TCS), ઇન્ફોસિસ, વિપ્રો અને કોગ્નિઝન્ટ જેવી કંપનીઓને આ પગલું ખાસ અસર કરે એમ છે. આ ફેરફારને લીધે કંપનીઓ પર તાત્કાલિક અને લાંબા ગાળાની કેવી અસરો થશે અને ભારતીય આઈટી ઉદ્યોગના ભવિષ્ય પર એની કેવી અસર પડશે, એ સમજીએ.
H-1B વિઝા ભારતીય આઈટી ઉદ્યોગની કરોડરજ્જુ
H-1B વિઝા એ એક બિન-સ્થાયી રોજગારી વિઝા છે, જે અમેરિકન કંપનીઓને વિશેષ ક્ષેત્રમાં સ્નાતક અથવા તેનાથી ઊંચી ડિગ્રી ધરાવતા વિદેશી કામદારોને નોકરી પર રાખવાની મંજૂરી આપે છે. દર વર્ષે અમેરિકા માત્ર 85,000 H-1B વિઝા ઈસ્યૂ કરે છે (65,000 સામાન્ય અને 20,000 ઉચ્ચ ડિગ્રી ધરાવનારા માટે), જેના માટે લાખો અરજીઓ મળે છે અને તેમાં પણ લોટરી પદ્ધતિથી પસંદગી થાય છે.
ફી વધારાનો હેતુ 'સિસ્ટમ સ્પામ' રોકવાનો છે?
ટ્રમ્પ વહીવટી તંત્રે દાવો કર્યો છે કે, ઘણી આઈટી સ્ટાફિંગ કંપનીઓ લોટરી જીતવાની સંભાવના વધારવા માટે એક જ ઉમેદવાર માટે એકથી વધુ અરજીઓ કરીને સિસ્ટમનો દુરુપયોગ કરે છે. આ રીતે ‘સિસ્ટમ સ્પામ'થી ઓછી લાયકાત ધરાવતા લોકોને અમેરિકામાં નોકરી મળવાની સંભાવના વધી જાય છે. આ લોકો અમેરિકન કામદારો કરતાં ઓછા પગારે નોકરી સ્વીકારવા તૈયાર હોય છે, જેને લીધે અમેરિકનોને મળવાપાત્ર નોકરી ભારતીયોને મળી જાય છે અને અમેરિકાનું ‘પગાર બજાર’ પણ નીચું આવી જાય છે, જે અમેરિકનોનું અહિત કરે છે.
એવું પણ કહેવાય છે કે, 1 લાખ ડોલરનો ફી વધારો કરીને અમેરિકા સુનિશ્ચિત કરવા માંગે છે કે, ફક્ત લાયક ભારતીયોને જ અમેરિકામાં પ્રવેશ મળી શકે, કેમ કે કંપનીઓ આટલી તોતિંગ રકમ ઉચ્ચ-કાર્યક્ષમતા ધરાવતા ઉમેદવાર સિવાય કોઈની પાછળ ખર્ચવા તૈયાર જ ના થાય. આમ કરવાથી અમેરિકાનું પગાર બજાર પણ નીચું નહીં જાય અને સ્થાનિકોને પણ નોકરી મળશે.
ભારતીય કંપનીઓ પર અબજોનો બોજ પડશે
બ્લૂમબર્ગ ન્યૂઝના વિશ્લેષણ અનુસાર જો આ ફી પાછલા ચાર વર્ષ (મે 2020થી મે 2024)માં લાગુ હોત તો ભારતીય આઈટી કંપનીઓને નીચે પ્રમાણેના આર્થિક પરિણામો ભોગવવા પડત.
- ઇન્ફોસિસે 10,400થી વધુ નવા H-1B વિઝા માટે આ ફી ચૂકવવી પડત, જે તેમની એ જ સમયગાળાની નવી H-1B નિમણૂકોના 93%થી વધુ છે. ફક્ત વિઝા ફી પર જ એક અબજ અમેરિકન ડોલર (લગભગ રૂ. 9,000 કરોડ)નો વધારાનો ખર્ચ થાત.
- ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસે 6,500 કર્મચારી માટે આ ફી ચૂકવવી પડત, જે તેમના નવા H-1B સ્ટાફના 82% ને અસર કરત.
- કોગ્નિઝન્ટે 5,600થી વધુ કર્મચારી માટે આ ચાર્જનો સામનો કરવો પડત, જે તેમની નવી H-1B ભરતીના 89% જેટલો હોત.
આ આંકડા દર્શાવે છે કે નવો ફી વધારો આ કંપનીઓના નફા પર સીધી અસર કરશે કારણ કે આ ખર્ચ ક્લાયન્ટને માથે થોપવો મુશ્કેલ હશે, જેથી તેમણે જ તે ખર્ચ કરવો પડશે.
કંપનીઓએ શી પ્રતિક્રિયા આપી?
આ જાહેરાત પછી સ્ટૉક માર્કેટ અને ગ્રાહકોને શાંત રાખવા માટે મોટી આઈટી કંપનીઓએ તાત્કાલિક પ્રતિભાવ આપ્યા છે. કોગ્નિઝન્ટના પ્રવક્તા જેફ ડીમારાઈસે જણાવ્યું હતું કે, ‘આ ફી વધારાથી કોગ્નિઝન્ટના કામકાજ પર મર્યાદિત અસર થશે. છેલ્લા કેટલાક વર્ષોમાં અમે વિઝા પરની અમારી નિર્ભરતામાં નોંધપાત્ર ઘટાડો કર્યો છે.’ તો ઇન્ફોસિસના સીઈઓ સલિલ પારેખે કહ્યું હતું કે, ‘અમારી કંપનીમાં અમેરિકામાં મર્યાદિત સ્પોન્સરશિપની નીતિ છે, જેથી ગ્રાહક સેવામાં કોઈ વિક્ષેપ નહીં આવે.’
કંપનીઓ કેવા વિકલ્પો અજમાવી શકે?
1. ઓફશોરિંગ અને નજીકના સ્થળેથી સેવાઓ (Nearshoring): અમેરિકામાં બેઠેલા કર્મચારીઓ પર આધારિત રહેવાને બદલે ભારતમાં આવેલા વિકસિત ડિલિવરી સેન્ટર્સમાંથી વધુ પ્રોજેક્ટ્સ ચલાવવા. આમાં કેનેડા, મેક્સિકો જેવા નજીકના દેશોમાં કેન્દ્રો સ્થાપવાનો પણ સમાવેશ થઈ શકે છે.
2. સ્થાનિક ભરતીમાં વૃદ્ધિ: અમેરિકામાં ભરતી કરવા માટે અમેરિકન નાગરિકો અને સ્થાયી ગ્રીન કાર્ડ ધારક ભારતીયોને પ્રાથમિકતા આપવી.
3. ઓટોમેશન અને AIનો વધુ ઉપયોગ: પુનરાવર્તિત અને ઓછા કૌશલ્યવાળું કામ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ઓટોમેશન ટૂલ્સ દ્વારા કરાવવું, જેથી કર્મચારીઓ પરની નિર્ભરતા ઘટે.
4. ઉચ્ચ-કૌશલ્ય પ્રોફાઇલ પર ધ્યાન કેન્દ્રિત કરવું: જે કામ માટે H-1B વિઝાની ખરેખર જરૂર છે, ફક્ત એવા ઊંચા દરજ્જાની નોકરીઓ માટે જ આ વિઝાનો ઉપયોગ કરવો.
વધારાની ફીને લાગુ થતી અટકાવી શકાય એમ છે?
ટ્રમ્પ વહીવટી તંત્રએ ફી વધારાની યોજના રજૂ તો કરી દીધી, પણ એની સામે તરત જ કાનૂની પડકારો ઊભા થયા છે. અમેરિકા ચેમ્બર ઓફ કોમર્સ અને કેટલાક રાજ્યોની સરકારોએ આ ફીના અમલીકરણ સામે અદાલતમાં કેસ કર્યા છે. તેમણે દાવો કર્યો છે કે આવી મોટી ફી લાદવાની વહીવટી તંત્રની સત્તા કાયદેસર નથી અને તે અમેરિકી બિઝનેસને ભયંકર નુકસાન પહોંચાડશે.
ઉલ્લેખનીય છે કે, ટ્રમ્પ વહીવટીતંત્રની ઇમિગ્રેશન સંબંધિત ઘણી યોજનાઓ અદાલતોમાં અટકાવાઈ છે અથવા રદ કરાઈ છે. આગામી કાનૂની સુનાવણી નક્કી કરશે કે આ ફી લાગુ થશે કે નહીં.
ભારતીય આઈટી ઉદ્યોગ માટે સંકટ કે પરિવર્તનની તક?
હાલ તો આ ફી વધારો ભારતીય આઈટી કંપનીઓ માટે સંકટ સમાન લાગી રહ્યો છે, પણ લાંબા ગાળાની દ્રષ્ટિએ જોઈએ તો ઘણાં વિશ્લેષકો માને છે કે આ પગલું ભારતીય આઈટી ઉદ્યોગમાં પરિવર્તન આવશે. આ લોકોની મુખ્ય દલીલો આ પ્રમાણે છે.
1. ઉચ્ચ-મૂલ્ય સેવાઓ તરફ ગતિ: હવે આઈટી કંપનીઓએ ક્લાઉડ કમ્પ્યુટિંગ, ડેટા એનાલિટિક્સ, AI, સાયબર સિક્યોરિટી અને ડિજિટલ ટ્રાન્સફોર્મેશન જેવી ઉચ્ચ-મૂલ્યની, ઉચ્ચ-કૌશલ્ય ધરાવતી સેવાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાની ફરજ પડશે, જેને લીધે કંપનીઓનો ઓવરઓલ ગ્રોથ વધશે.
2. સ્થાનિક પ્રતિભાઓને તક મળશે: દેશમાં દરેક ક્ષેત્રમાં સ્વદેશીને પ્રોત્સાહન આપવાની લહેર વધતી જતી હોવાથી આઈટી કંપનીઓએ પણ હવે દેશના દરેક પ્રદેશમાં સ્થાનિક પ્રતિભા વિકસાવવી પડશે.
3. ગુણવત્તાપૂર્ણ રોજગારમાં વધારો: જેમ જેમ વધુ જટિલ અને ઉચ્ચ-કૌશલ્યનું કામ ભારતમાં થવા લાગશે, તેમ તેમ દેશમાં જ ઉચ્ચ ગુણવત્તાની રોજગારીનું સર્જન થતું જશે, જેને લીધે બ્રેઇન ડ્રેઇન પણ ઘટશે.


