New York Declaration: સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં શુક્રવારે 'ન્યૂયોર્ક ઘોષણા' પર ઐતિહાસિક મતદાન થયું. ભારતે પેલેસ્ટાઈનને સ્વતંત્ર રાષ્ટ્રની માગના પક્ષમાં જોરદાર સમર્થન આપ્યું. આ જાહેરાતના પક્ષમાં 142 દેશોએ મત આપ્યો, જ્યારે 10એ વિરોધ કર્યો અને 12 દેશોએ મતદાન ન કર્યું. ભારતનું આવલણ નવું નથી. દાયકાઓથી ભારત બે-રાષ્ટ્ર સમાધાનનું સમર્થક રહ્યું છે અને હંમેશાથી પેલેસ્ટાઈનને સ્વતંત્ર રાષ્ટ્ર માન્યતા અપાવવાના પ્રયાસોની સાથે ઉભું રહ્યું છે. આ વખતે પણ ભારતે સ્પષ્ટ સંદેશ આપ્યો કે પશ્ચિમ એશિયાની સ્થાયી શાંતિ ત્યારે જ શક્ય છે, જ્યારે પેલેસ્ટાઈનને સ્વતંત્ર રાજ્યનો દરજ્જો મળે.
'ન્યૂયોર્ક ઘોષણા' શું કહે છે?
'ન્યૂયોર્ક ડિક્લેરેશન ઓન ધ પીસફુલ સેટલમેન્ટ ઓફ ધ ક્વેશ્ચન ઓફ પેલેસ્ટાઈન એન્ડ ધ ઇમ્પલીમેન્ટેશન ઓફ ધ ટૂ-સ્ટેટ સોલ્યૂશન' નામના આ પ્રસ્તાવને ફ્રાન્સ અને સાઉદી અરબે રજૂ કર્યું. તેમાં કહેવાયું છે કે, ગાઝા યુદ્ધ ખતમ કરવા માટે સામૂહિક પ્રયાસ જરૂરી છે અને એક ન્યાયપૂર્ણ, કાયમી સમાધાન માત્ર બે-રાષ્ટ્ર ફોર્મ્યુલાથી જ સંભવ છે.
ઘોષણામાં પહેલીવાર સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં સ્પષ્ટ શબ્દોમાં 7 ઓક્ટોબર 2023એ હમાસ દ્વારા કરાયેલા હુમલાઓની નિંદા કરી છે. જેમાં માગ કરાઈ છે કે હમાસ તમામ બંધકોને મુક્ત કરે અને ગાઝાથી સત્તા છોડીને પોતાના હથિયાર પેલેસ્ટાઈન ઓથોરિટીને સોંપી દે.
ભારતનું શું છે સ્ટેન્ડ?
ભારતે આ ઘોષણાનું સમર્થન કરીને ફરી સ્પષ્ટ કરી દીધું કે તેઓ આતંકવાદ વિરૂદ્ધ છે અને પેલેસ્ટાઈન માટે ન્યાયપૂર્ણ સમાધાન ઇચ્છે છે. વિદેશ મંત્રાલયના સૂત્રોના અનુસાર, ભારતનું માનવું છે કે, હિંસા અને ચરમપંથને કિનારે રાખીને ક્ષેત્રમાં શાંતિ લાવી શકાય છે.


