- ટ્રમ્પના ટેરિફ વચ્ચે અન્ય બજારો તરફ ભારતે નજર દોડાવી
- એશિયામાં બીજા સૌથી મોટા ટ્રેડિંગ પાર્ટનર ઈઝરાયેલ સાથે ૨૦૨૪-૨૫માં ભારતનો દ્વિપક્ષીય વેપાર ૩.૬૨ અબજ ડોલર
અમેરિકાની જેમ ઈઝરાયેલને પણ ડેરી ઉત્પાદનો, ડાંગર, ઘઉં અને ખાંડ જેવા સંવેદનશીલ ક્ષેત્રોમાં પ્રવેશ આપવા ભારતનો ઈનકાર
અમેરિકાના ૫૦ ટકા ટેરિફની અસર ભારતની નિકાસ પર સ્પષ્ટરૂપે જોવા મળી રહી છે, જેના કારણે ભારતીય ઉદ્યોગો પર દબાણ વધ્યું છે. જોકે, ભારત હવે નવા બજારોમાં પ્રવેશવાની તકો શોધી રહ્યું છે ત્યારે ભારત ટૂંક સમયમાં ઈઝરાયેલ સાથે મુક્ત વેપાર કરાર કરે તેવી શક્યતા છે તેમ કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયુષ ગોયલે કહ્યું હતું. ઈઝરાયેલ એશિયામાં ભારતનું બીજું સૌથી મોટું ટ્રેડિંગ પાર્ટનર છે. પીયુષ ગોયલે કહ્યું કે, ઈઝરાયેલના આ પ્રવાસમાં કૃષિ, ટેક્નોલોજી, નવા સંશોધનો અને વેપાર જેવા ક્ષેત્રોમાં ભાગીદારી પર ચર્ચા થઈ હતી. જોકે, ભારતે અમેરિકા સહિત અન્ય દેશોની જેમ ઈઝરાયેલને પણ ડેરી ઉત્પાદનો, ડાંગર, ઘઉં અને ખાંડ જેવા સંવેદનશીલ ક્ષેત્રોમાં ભારતના બજારોમાં પ્રવેશ આપવાનો ઈનકાર કરી દેવાયો છે. ઈઝરાયેલે પણ આ અંગે કોઈ માગણી કરી નથી. તેમણે જણાવ્યું કે, ભારત અને ઈઝરાયેલ તેમના સૂચિત મુક્ત વેપાર કરાર એટલે કે એફટીએને બે તબક્કામાં લાગુ કરવા પર વિચાર કરી રહ્યા છે, જેથી બંને દેશોના વ્યાપારિક સમુદાયને વહેલી તકે તેનો લાભ મળી શકે.
ભારત અને ઈઝરાયેલ વચ્ચે મુક્ત વેપાર સમજૂતી માટે ઔપચારિક વાતચીત શરૂ કરનારા કરાર પર બંને દેશોએ હસ્તાક્ષર કરી દીધા છે. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયુષ ગોયલે કહ્યું કે, ભારત અને ઈઝરાયેલ વચ્ચે એફટીએ માટે વાટાઘાટો ચાલુ થયા પછી નિર્ણય લેવાશે.
ઈઝરાયેલ અને ભારત વચ્ચે વેપારનું પ્રમાણ હાલ વધુ નથી. વર્ષ ૨૦૨૪-૨૫માં ભારતે ઈઝરાયેલમાં કરેલી નિકાસ ૫૨ ટકા ઘટીને ૨.૧ અબજ ડોલર રહી ગઈ, જે ૨૦૨૩-૨૪માં ૪.૫૨ અબજ ડોલર હતી જ્યારે આયાત ૨૬ ટકા ઘટીને ૧.૪૮ અબજ ડોલર થઈ ગઈ. બંને દેશોનો દ્વિપક્ષીય વેપાર ૩.૬૨ અબજ ડોલર થયો હતો.


