'ભારત એક ટીપું પાણી નહીં છીનવી શકે...' મુનીર-ભુટ્ટો બાદ પાકિસ્તાની વડાપ્રધાને ઝેર ઓક્યું
Ind vs Pak News : પહલગામમાં આતંકી હુમલા બાદથી ભારત અને પાકિસ્તાનના સંબંધોમાં ખટાશ વધી ગઈ છે. બંને દેશો વચ્ચે અમુક દિવસો સુધી તો અથડામણની સ્થિતિ પણ જોવા મળી હતી. જ્યારે ભારત તરફથી મોટી કાર્યવાહી કરવામાં આવતા સિંધુ જળ સંધિને અસ્થાયી રૂપે સ્થગિત કરવામાં આવી હતી. ત્યારથી પાકિસ્તાન પાણીના દરેક ટીપા માટે તડપી રહ્યું હોય તેવું દેખાય છે.
અમારા હકનું પાણી....
પાકિસ્તાનની હતાશા હવે ખુલ્લીને બહાર આવી રહી છે. પાકિસ્તાનના પૂર્વ વિદેશમંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારી અને પાકિસ્તાની સેના પ્રમુખ જનરલ અસીમ મુનીર પછી હવે પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે પણ પાણી અંગે ભારતને ધમકી આપી છે. તેમણે કહ્યું કે ભારત પાકિસ્તાનના હકનું પાણીનું એક ટીપું પણ છીનવી શકશે નહીં.
પાકિસ્તાનને કઈ વાતનો ડર?
બીજી તરફ, ભારતે ચિનાબ નદી પર નેશનલ હાઈડ્રો ઈલેક્ટ્રિક પાવર પ્રોજેક્ટ શરૂ કર્યો છે. આ પ્રોજેક્ટ જમ્મુ અને કાશ્મીરના સિંધુ ગામ નજીક બનવાનો છે અને તેના માટે ટેન્ડર પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. પાકિસ્તાનને ડર છે કે ભારતના આ પગલાને કારણે ભારત તેનું પાણી રોકી દેશે. આ ડરને કારણે, પાકિસ્તાને પરમાણુ બોમ્બથી હુમલા કરવાની ધમકીઓ આપવાનું શરૂ કરી દીધું છે.
પાકિસ્તાની પીએમએ આપી પોકળ ધમકીઓ
ઇસ્લામાબાદમાં આયોજિત એક કાર્યક્રમમાં પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે કહ્યું કે તેમનો દેશ ભારતને તેના હકના પાણીનું 'એક ટીપું' પણ છીનવા નહીં દે. તેમણે નદીના પ્રવાહને રોકવાનો પ્રયાસ ન કરવો જોઈએ. 'આજે હું દુશ્મનને કહેવા માંગુ છું કે જો તેઓ પાણી રોકવાની ધમકી આપે છે, તો યાદ રાખજો કે પાકિસ્તાનના પાણીનું એક ટીપું પણ છીનવી નહીં શકો. જો તમે આવું કરવાનો પ્રયાસ કરશો, તો યાદ રાખો કે તમને પાઠ ભણાવવામાં આવશે અને તમને તમારા કાન પકડવાની ફરજ પાડવામાં આવશે.'