સીરિયાના ચર્ચમાં આત્મઘાતી હુમલો 20ના મોત : ખિલાફતવાદીનું જઘન્ય કૃત્ય
- દમાસ્કસની બાજુના ડવીલા પરામાં આવેલા 'માર-એલિયાસ' ચર્ચમાં હત્યારાએ પહેલા ગોળીબાર કર્યા પછી કમરે બાંધેલો વિસ્ફોટક ફોડયો
દમાસ્કસ : દમાસ્કસની બાજુનાં ડવીલા પરામાંના માર-એલિયાસ ચર્ચમાં રવિવારે સવારે 'માસ' સમયે એક આતંકી અચાનક ઘૂસી ગયો, તેણે પહેલાં અંધાધૂંધ ગોળીબારી કરી હતી અને પછી પોતાની કમરે બાંધેલો વિસ્ફોટક ફોડતાં પોતાના તો ચીથરા ઊડી ગયા હતા પરંતુ તે સાથે અન્ય ૨૦ના પણ મોત થયા હતા તેમજ અનેકને ઈજાઓ થઈ હતી.
સીરીયાના પ્રમુખ બશર-અલ-અસ્સાદ ગત વર્ષના ડીસેમ્બર મહિનામાં પદભ્રષ્ટ થયા પછી ઈસ્લામિક સ્ટેટ (બિવાહત) વાદીઓનું આ પહેલું જઘન્ય કૃત્ય હતું.
સીરીયાનાં આંતરિક બાબતો અંગેનાં મંત્રાલયે જણાવ્યું હતું કે, તે હુમલાખોર ઈસ્લામિક સ્ટેટનો સભ્ય હતો. તે ચર્ચમાં અચાનક ઘૂસી ગયો, પહેલા તેણે અંધાધૂંધ ગોળીબાર શરૂ કર્યા અને પછી કમરે બાંધેલો વિસ્ફોટક ફોડી પોતાને તો ઉડાડી જ દીધો પરંતુ તેથી ૨૦નાં પણ મોત થયા, ૫૨ને ઈજાઓ પણ થઈ હતી.
આ અંગેના વિડીયોમાં જણાવાયું હતું કે, સીરીયાનાં 'વ્હાઈટ-હેલ્મેટ' ગુ્રપ સિવિલ ડીફેન્સના અનામી રહેવા માગતા એક સભ્યએ જણાવ્યું હતું કે ચર્ચની દિવાલો ઉપર અને ફર્શ ઉપર લોહીનો છંટકાવ દેખાતો હતો. ચર્ચના અંદરના ભાગે આવેલા અનેક 'પ્યુ' (બેઠકો) ઉપર પણ લોહીના છાંટણા હતાં કેટલાક 'પ્યુ'ઝ તૂટી પણ ગયા હતાં અને ગોળીબારને લીધે દિવાલો ઉપરથી પણ પોપડા ઉખડી ગયા હતા.
બશર-અલ-આસદ પદભ્રષ્ટ થયા પછી જાન્યુઆરી ૨૦૨૫માં સત્તા પર આવેલા પ્રમુખ અહમદ-અલ-શારાએ મૃતકો પ્રત્યે સંવેદના દર્શાવી હતી અને કહ્યું હતું કે દેશમાં રહેલી લઘુમતિઓને રક્ષવા માટે સરકાર તમામ પગલાં લેવા પ્રતિબદ્ધ છે.