ભારતમાં વર્ષ ૧૯૪૫માં ૫૦૦૦ સુધીની આવક માટે ૧ આનો ટેકસ લાગતો, એક આના બરાબર બાર પાઇ ગણાતી.
૧૬ આના બરાબર ૧ રુપિયા જેટલું મૂલ્ય થતું હતું
૪ પૈસા અથવા તો ૧૨ પાઇ બરાબર એક આનો ગણાતો હતો
નવી દિલ્હી,29 જુલાઇ,2025,મંગળવાર
દર વર્ષે સંસદમાં બજેટ રજૂ થતું હોય ત્યારે કરદાતાઓનું ધ્યાન આવક મર્યાદામાં થતા ફેરફાર પર વધારે હોય છે. જો કે એ જાણીને નવાઇ લાગશે કે વર્ષ ૧૯૪૫માં ટેકસ ફ્રી રકમ ૧૫૦૦ રુપિયા હતી. ટેકસના પ્રથમ સ્લેબમાં ૩૫૦૦ રુપિયા સુધીની વાર્ષિક આવક ધરાવનારાઓએ ૮ પૈસા, જયારે ૫૦૦૦ સુધીની વાર્ષિક આવક ધરાવનારાઓએ એક આના ટેક્ષ ભરવો પડતો હતો.જયારે ૫૦૦૦થી વધુ આવક હોય ત્યારે સૌથી ઉંચો ટેકસ બે આના નકકી કરવામાં આવ્યો હતો.
એ સમયે ૧૬ આના બરાબર ૧ રુપિયો થતો હતો. જયારે એક આનામાં ચાર પૈસા અથવા તો બાર પાઇ ગણાતી હતી. જો કે ૭૦ થી ૮૦ વર્ષ પહેલા દેશમાં આટલી પ્રચંડ વસ્તી અને બજાર પણ ન હતા. ગ્રામીણ વિસ્તારના લોકોનું જીવન ખેતપેદાશો અને વસ્તુ વિનિમય પ્રથા પર વધારે આધારિત હતું. ૧૯૪૯-૫૦માં દેશમાં પ્રથમ વાર ૧૦ હજાર રુપિયા સુધીની રકમ માટે એક આનાના ચોથા ભાગ જેટલો ઘટાડો કરવામાં આવ્યો હતો.
૧૯૭૪-૭૫માં ૭૦ હજારથી વધુની આવક માટે સૌથી ઉંચો ટેકસ સ્લેબ હતો. ૧૯૮૫-૮૬માં નાણામંત્રી વી પી સિંહે ટેકસના કુલ ૮ સ્લેબ ઘટાડીને ૪ કરી નાખ્યા હતા. જેમાં ૧૮ હજારની આવક સુધી તો કોઇ ટેકસ લાગું પડતો ન હતો. પ્રથમ ટેકસ તબક્કામાં ૧૮૦૦૧થી ૨૫૦૦૦ની આવક સુધી ૨૫ ટકા,૨૫૦૦૧ થી ૫૦૦૦૦ સુધી ૩૦ ટકા, ૫૦૦૦૧ થી ૧૦૦૦૦૦ લાખ સુધી ૪૦ ટકા અને ૧ લાખથી વધુની આવક હોયતો ૫૦ ટકા ટેકસ લાગતો હતો.
૨૦૦૫-૦૬માં નાણામંત્રી પી ચિદંબરમે ૧ લાખ સુધી આવકને ટેકસ ફ્રી જાહેર કરી હતી.ત્યાર પછી ૧.૫ લાખ સુધીની આવક પર ૧૦ ટકા અને ૧.૫ થી ૨.૫ લાખના ટેકસ સ્લેબમાં ૨૦ ટકા અને ૨.૫ લાખથી વધુ આવક હોયતો ૩૦ ટકા ટેકસ અમલમાં મૂકયો હતો. ૨૦૧૨-૧૩માં નાણામંત્રી પ્રણવ મુખરજી ૨ લાખ રુપિયા સુધીની આવકને ટેકસ ફ્રી કરી જે સૌથી મોટું પરીવર્તન હતું. ૨૦૧૯-૨૦ના બજેટમાં ૨.૫ થી ૫ લાખના સ્લેબમાં ૫ ટકા,૫ થી ૧૦ લાખમાં ૨૦ ટકા અને ૧૦ ટકાથી વધુ આવક પર ૩૦ ટકા ટેકસ અમલી બન્યો હતો. ત્યાર પછી પણ ટેકસમાં ફેરફાર થતો રહયો છે.