ઇમરાન ખાન આંતરરાષ્ટ્રીય ભિખારી ઃ પાક. વિપક્ષ
ઇમરાન ખાનની વડાપ્રધાન પદેથી વિદાય થશે તો જ દેશની તમામ સમસ્યાઓનો ઉકેલ આવશે
જમાતે ઇસ્લામીના પ્રમુખ સિરાજુલ હકના પ્રહારો
ઇસ્લામાબાદ, તા. ૧૭
પાકિસ્તાનમાં જમાતે ઇસ્લામીના પ્રમુખ સિરાજુલ હકે ઇમરાન ખાનને આંતરરાષ્ટ્રીય ભિખારી ગણાવ્યા છે. હકે રવિવારે જણાવ્યું હતું કે પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનની વિદાય જ આર્થિક કટોકટીનો સામનો કરી રહેલા દેશની તમામ સમસ્યાઓનો ઉકેલ છે.
લાહોરમાં સ્થાનિક એકમોની ચૂંટણી અગાઉ સભાને સંબોધિત કરતા તેમણે દેશમાં નવેસરથી ચૂંટણી કરાવવાની માગ કરી હતી. પેટ્રોલિયમના વધતા ભાવ અંગે પણ તેમણે ઇમરાન સરકારની ટીકા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ઇમરાન ખાન અને પાકિસ્તાન એક સાથે કાર્ય કરી શકે તેમ નથી.
આઇએમએફની સાથે પાકિસ્તાનના વિવાદાસ્પદ સોદા પર સિરાજુલ હકે જણાવ્યું છે કે પાકિસ્તાનના વડાપ્રધાન આંતરરાષ્ટ્રીય ભિખારી બની ગયા છે. તેમણે એ પણ જણાવ્યું હતું કે પીટીઆઇના નેતૃત્ત્વવાળી વર્તમાન સરકાર દેશ પર શાસન કરવામાં અસમર્થ છે.
ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન તાજેતરના દિવસોમાં ગંભીર નાણાકીય કટોકટીનો સામનો કરી રહ્યું છે.જેના કારણે વિપક્ષ દ્વારા ઇમરાન ખાનની ટીકા કરવામાં આવી રહી છે.
આ દરમિયાન વિપક્ષે આઇએમએફની શરતો પૂર્ણ કરવા માટે ફાઇનાન્સ(સપ્લીમેન્ટરી) બિલ, ૨૦૨૧ અને સ્ટેટ બેંક ઓફ પાકિસ્તાન(સંશોધન) વિધેયક, ૨૦૨૧ને પસાર કરવાનો ઇનકાર કરી દીધો છે.
જેઆઆઇ પ્રમુખે જણાવ્યું હતું કે સત્તાધારી સરકાર દાવોે કરતી હતી કે તે અર્થવ્યવસ્થાની ચેમ્પિયન છે પણ તેના દ્વારા કશું પણ બદલવામાં આવ્યું નથી.