- 1947થી રશિયા ભારતનું પરંપરાગત મિત્ર રહ્યું છે
- રશિયાની રેડ ટ્રાન્સફર અને સંયુક્ત ઉત્પાદન ભારતની સંરક્ષણ ક્ષમતા તથા આત્મનિર્ભરતાને પુષ્ટિ આપશે : ન્યૂકિલયર સમજવી મહત્વની છે
નવી દિલ્હી : રશિયાના પ્રમુખ વ્લાદીમીર પુતિનની તા. ૨૪-૫ ડિસેમ્બરની ભારત યાત્રા અતિ મહત્વની બની રહી છે. તેઓ ૨૩મી ભારત-રશિયા શિખર પરિષદમાં ઉપસ્થિત રહેવા ભારત આવી રહ્યા છે. જેમાં ઊર્જા, વ્યાપાર અને સૌથી વધુ સંરક્ષણ ક્ષેત્ર વિષે ચર્ચા થવાની છે. અને તે ક્ષેત્રોમાં કેટલાએ સોદા થવાના છે. પ્રમુખ પુતિન ભારત યાત્રાએ તેવા સમયે આવે છે કે જ્યારે ટ્રમ્પે રશિયા સાથે વ્યાપાર કરવા માટે ભારત સાથે સખ્તાઈ કરી છે.
વાસ્તવમાં ભારત સ્વતંત્ર થયું ત્યારથી ભારતના રશિયા સાથે ઘનિષ્ટ સંબંધો રહ્યા છે. તે સમયે તો રશિયા ઉપર લોખંડી પ્રમુખ સ્ટાલિન સર્વ સત્તાધિશ હતા. ત્યારે ભારતના સૌથી પહેલા રાજદૂત એસ. રાધાકૃષ્ણજી હતા.
પ્રમુખ પુતિન યુક્રેન યુદ્ધ શરૂ થયા પછી પહેલી જ વાર ભારત આવે છે. આ પૂર્વે કાઝાનમાં મળેલી બ્રિક્સ દેશોની શિખર પરિષદમાં નરેન્દ્ર મોદી, પુતિનને મળ્યા હતા. તે સમયે પ્રમુખ પુતિનના હસ્તે મોદીને રશિયાનું સર્વોચ્ચ સન્માન આપવામાં આવ્યું હતું. આમ બંને દેશો વચ્ચે સંબંધો હુંફાળા બની રહ્યા છે.
સૌથી મહત્વના સોદાઓમાં એસ-૪૦૦ એર ડીફેન્સ સીસ્ટીમ્સનો સોદો છે. પાંચ અબજ ડોલરનો આ સોદો પહેલેથી જ થઈ ચૂકયો છે. તેની ૩ સીસ્ટીમ્સ તો પહેલેથી જ મળી ચૂકી છે. અન્ય બે આગામી વર્ષમાં મળી જવાની છે. હવે તો તે ઉપરાંત વધુ એસ-૪૦૦ એર ડીફેન્સ સીસ્ટીમ્સ ખરીદવાની વાત ચાલે છે. ઓપરેશન સિંદૂર પછી પાકિસ્તાનના વિમાનોએ હુમલા કરતા કરેલા તમામ પ્રયાસો નિષ્ફળ બનાવ્યા હતા.
આ ઉપરાંત સ્ટીવ્થ ફાઇટર જેટસ એસ.યુ. ૫૭ ફાઇટર જેટસ ખરીદવાનો પ્રસ્તાવ છે. રશિયા તેની ૭૦ ટકા ટેકનોલોજી ટ્રાન્સફર કરવા તૈયાર રહ્યું છે. તે પછી ભારતમાં જ તેનું ઉત્પાદન શરૂ કરાશે. જે આત્મનિર્ભર ભારતને બૂસ્ટ (ધક્કો) આપશે.
આ ઉપરાંત એસ-૪૦૦ એર ડિફેન્સ સીસ્ટીમનાં સંયુક્ત ઉત્પાદનની પણ ચર્ચા થવાની છે. આ સીસ્ટીમ આગામી પેઢીની સીસ્ટીમ છે. જે હાઈપર સોનિક મિસાઇલ્સને પણ તોડી નાખી શકે છે.
આ સિસ્ટમમાં નૌ-સેના માટેના મિસાઇલ્સ તથા અન્ય સંરક્ષણ ઉપકરણો પણ તે લીસ્ટમાં છે. ઉલ્લેખનીય છે કે એસ-૪૦૦ ડિફેન્સ સીસ્ટીમ રશિયાએ હવે વધુ સક્ષમ બનાવી છે. તેની સુધારેલી આવૃત્તિનો પરિચય ઓપરેશન સિંદૂર પછી પાકિસ્તાને કરેલા હવાઈ હુમલાના પ્રયત્નો તથા તેના મિસાઇલ્સ હુમલા બધા જ નિષ્ફળ કરાતા મળી ગયો છે. આ ડીફેન્સ સીસ્ટીમ ચીન તથા પાકિસ્તાનની ધમકી સામેનો પૂરો જવાબ છે.
ટ્રમ્પની તમામ ધમકીઓ છતાં ભારતે રશિયા પાસેથી શસ્ત્રો ખરીદવાનું ચાલુ રાખ્યું છે. ભારત તેની સંરક્ષણ વ્યવસ્થા પૈકી ૮૦ ટકા તો રશિયા પાસેથી ખરીદતું રહ્યું છે, તેમાં થોડો ઘટાડો થયો છે તે ૭૦ ટકા પર પહોંચી છે. પરંતુ તે ઘટાડો ટ્રમ્પના દબાણથી નહીં પરંતુ આત્મનિર્ભર ભારતે સંરક્ષણ ક્ષેત્રે પ્રાપ્ત કરેલી આત્મ નિર્ભરતા છે.


