આતંકની દુકાન ચલાવતા પાકિસ્તાનને IMFએ આપી એક અબજ ડોલરની લોન, ભારતે નોંધાવ્યો હતો વિરોધ
IMF Loan To Pakistan: આતંકવાદીઓનો ઉછેર કરનારા અને તેનો બચાવ કરનારા પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (IMF) એ 1 અબજ ડોલરના બેલઆઉટ પેકેજની જાહેરાત કરી છે. IMF દ્વારા તેની પુષ્ટિ કરવામાં આવી. શુક્રવારે ભારતે પાકિસ્તાનને 1.3 અબજ ડોલરની નવી લોન આપવાના IMFના પ્રસ્તાવનો વિરોધ કર્યો હતો. ભારતે તેની પાછળનું કારણ ઇસ્લામાબાદના 'નાણાકીય સહાયના ઉપયોગમાં ખરાબ રેકોર્ડ'ને ગણાવ્યું હતું. આ નાણાંનો દુરુપયોગ ટેરર ફંડિંગ માટે થઈ શકે છે. આ સંદર્ભમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળની મહત્ત્વપૂર્ણ બેઠકમાં ભારત વિરોધ દર્શાવવા મતદાનથી દૂર રહ્યું હતું.
વૈશ્વિક સમુદાય માટે ખતરનાક સંદેશ: ભારત
ભારતે કહ્યું કે, 'સરહદ પાર આતંકવાદને પ્રોત્સાહન આપનારાઓને સતત પુરસ્કાર આપવાથી વૈશ્વિક સમુદાયને ખતરનાક સંદેશ મળે છે. તેનાથી નાણાકીય ભંડોળ આપનારી એજન્સીઓ અને દાતાઓની પ્રતિષ્ઠા પણ જોખમમાં મૂકાય છે અને વૈશ્વિક મૂલ્યોની મજાક ઉડાવાય છે.'
મળતી માહિતી મુજબ, ભારતે એ પણ કહ્યું કે પાકિસ્તાનને આપવામાં આવતી નાણાકીય સહાય તેની ગુપ્તચર એજન્સીઓ અને લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદ જેવા આતંકવાદી સંગઠનોને પરોક્ષ રીતે મદદ કરે છે, જે ભારત પર હુમલાઓ કરી રહ્યા છે. ભારતે IMFના મતદાનમાં ભાગ લીધો નથી, ત્યારે IMF અને અન્ય બહુપક્ષીય નાણાકીય સંસ્થાઓને સંદેશ આપતું જોવા મળી હતું કે, નક્કર પગલાં લીધા વિના પાકિસ્તાનને નાણાકીય સહાય આપવી એ પ્રાદેશિક સુરક્ષા માટે ખતરનાક બની શકે છે.'