World

'હું હજી થાકી નથી' : કમલા હેરિસે 2028ની યુ.એસ. પ્રમુખપદની ચૂંટણીમાં ઉભા રહેવાનો આપેલો સંકેત

By GS TEAM
26 Oct 20252 mins read
'હું હજી થાકી નથી' : કમલા હેરિસે 2028ની યુ.એસ. પ્રમુખપદની ચૂંટણીમાં ઉભા રહેવાનો આપેલો સંકેત

- પૂર્વ ઉપપ્રમુખે હજી નિશ્ચિત નથી કર્યું કે તેઓ ઉભા રહેશે જ પરંતુ તેમની સામે ગજબના અવરોધો છે, તે સૂચનને તેમણે ફગાવી દીધું

વોશિંગ્ટન : શનિવારે સાંજે બી.બી.સી. ઉપર પોસ્ટ થયેલા ઈન્ટરવ્યુમાં કમલા હેરિસે કહ્યું હતું કે, આગામી વર્ષોમાં કોઈ મહિલા અમેરિકાનાં પ્રમુખ બની શકે અને તે મહિલા સંભવત: તેઓ પોતે હશે.

આમ છતાં પૂર્વ ઉપપ્રમુખે તેમ પણ કહ્યું હતું કે, ૨૦૨૮ની પ્રમુખપદની ચૂંટણીમાં તેઓ ઉભા રહેશે જ તેવો નિર્ણય હજી તેઓએ નથી કર્યો. પરંતુ તે સાથે તેઓએ તે સૂચનને તો ફગાવી જ દીધું હતું કે, તેઓ સમક્ષ ગજબના અવરોધો છે તેમ કહેતાં તેઓએ સ્પષ્ટત: જણાવ્યું હતું કે, 'હજી હું થાકી નથી.'

પૂર્વ ઉપપ્રમુખે આગળ કહ્યું, 'મેં મારો જીવન મંત્ર' સેવા બનાવ્યો છે. સેવા તે મારા અસ્થિમા છે. સેવા કરવાના બીજા અનેક માર્ગો પણ છે જ. હું માત્ર ચૂંટણી લક્ષી બની રહી નથી.

સપ્ટેમ્બરમાં તેઓનાં પુસ્તક 'વન હન્ડ્રેડ સેવન ડેઝ'ના વિમોચન પછી તેઓએ શ્રેણીબદ્ધ મુલાકાતો આપવી શરૂ કરી છે. તે પુસ્તકમાં તેઓએ જો બાયડેન પ્રમુખપદની સ્પર્ધામાંથી ખસી ગયા પછી ડેમોક્રેટિક પાર્ટીનાં પ્રમુખપદના ઉમેદવાર તરીકે તેઓનું નામ સૂચવ્યું હતું. તે પછીની ૧૦૭ દિવસની ચૂંટણી ઝુંબેશની કથની તેઓએ વર્ણવી છે. જોકે તે ચૂંટણીમાં છેવટે ડોનાલ્ડ ટ્રમ્પ જ વિજયી થયા હતા, તે અલગ વાત છે.

ગત સપ્તાહે આ સાઇઠ વર્ષીય મહિલાએ કહ્યું હતું કે, ૨૦૨૮ની ચૂંટણીમાં (પ્રમુખપદની) તેઓ ઊભા જ રહેશે. તે હજી નિશ્ચિત રીતે વિચાર્યું નથી, છતાં તેઓએ કહ્યું હતું કે, 'આમ છતાં હું પાર્ટીની નેતા તો છું જ.'

આ સાથે તેઓએ ૨૦૨૬ની (કોંગ્રેસની) મધ્ય-સત્ર ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પને પાછા હઠાવવાનો મક્કમ નિર્ધાર જણાવી દીધો હતો.

આ પૂર્વે ઓક્ટોબર ૧૭માં પત્રકારોને આપેલી મુલાકાતમાં તેઓને પૂછવામાં આવ્યું હતું કે, તમો ૨૦૨૮ની (પ્રમુખપદની) ચૂંટણીમાં ઉભા રહેવાનાં છો કે કેમ ? તો તેના જવાબમાં તેઓએ કહ્યું, 'મેં હજી નિર્ણય નથી કર્યો. ખરેખર કહું છું કે, મેં નિર્ણય નથી કર્યો, હું ઊભી રહુ પણ ખરી કે ઊભી ન પણ રહું પરંતુ તે જોબ હું કરવા માગું છું હજી હું થાકી નથી.' આમ કહી તેઓએ આડકતરી રીતે સંકેત આપી જ દીધો હતો કે તેઓ પ્રમુખપદની ચૂંટણીમાં ઉભા રહેવા માગે છે.

એક તબક્કે પત્રકારોએ તેઓનું તેઓની સમક્ષ રહેલા ગજબના અવરોધો પ્રત્યે ધ્યાન દોર્યું ત્યારે તે સૂચનને ફગાવી દેતાં તેઓએ કહ્યું કે, અવરોધો તો પાર થઈ જ શકશે માટે અવરોધોનો તો પ્રશ્ન જ નથી.