World

જો જમીની લડાઇ થશે તો નાટો દેશ તુર્કી ઇરાનને સાથ આપશે, કારણ જાણીને ચોંકી જશો

By GS TEAM
30 Mar 20262 mins read
જો જમીની લડાઇ થશે તો નાટો દેશ તુર્કી ઇરાનને સાથ આપશે, કારણ જાણીને ચોંકી જશો

અંકારા,૩૦ માર્ચ,૨૦૨૬,સોમવાર 

પશ્ચિમ એશિયામાં ચાલતા ઇરાન યુધ્ધમાં તુર્કીએ ઇરાનને સાથ આપવાનો સંકેત આપ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર ઇરાનમાં રહેતા કુર્દિશ સમુદાય જમીન લડાઇમાં જોડાશે તો ઉત્તરી ઇરાનમાં  સૈન્ય કાર્યવાહી કરી શકે છે. તુર્કી અમેરિકાનો સાથીદાર અને નાટો દેશનું સભ્ય હોવાથી અમેરિકા માટે સૌથી મોટા ઝાટકા સમાન છે. તુર્કીની  ચેતવણી ખાસ કરીને કુર્દિસ્તાન વર્કસ પાર્ટી અને તેની ઇરાની સહયોગી કુર્દિસ્તાન ફ્રિ લાઇફ પાર્ટી માટે છે. તુર્કીને શંકા છે કે આ સંગઠન ઇઝરાયેલ-અમેરિકાના સમર્થનમાં પશ્ચિમી વિસ્તારોમાં થનારી સંભવિત લડાઇમાં જોડાઇ શકે છે. ૨૮ ફેબુ્આરીએ ઇરાન યુધ્ધ શરુ થવાની સાથે જ અમેરિકા અને ઇઝરાયેલને ચેતવણી આપી હતી કે આ લડાઇમાં કુર્દિશોનો ઉપયોગ કરશો નહી.

આ અંગે તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે પણ વાતચિત કરી હતી. કોઇ પણ આતંકી સંગઠનનો યુધ્ધમાં ઉપયોગ થવો જોઇએ નહી. દરેક દેશોને એક બીજાની સરહદો અને અખંડિતતાનું સન્માન કરવું જોઇએ. તુર્કી કુર્દિશ વિદ્રોહીઓને આતંકી માને છે જેનો પશ્ચિમ ઇરાનમાં અમેરિકા ઇરાન વિરુધ ઉપયોગ કરવા માંગે છે. તુર્કીએના વિદેશ મંત્રાલયે અને જાસુસી એજન્સીઓએ ઇરાકના કુર્દ ક્ષેત્રના અધિકારીઓને મેસેજ આપ્યો છે કે જો પરિસ્થિતિ બગડશે તો સૈન્ય કાર્યવાહીની ફરજ પડશે. તુર્કીમાં કુર્દિશ સંગઠન પીકેકેના નેતા અબ્દુલ્લાહ ઓકલાને પોતાના સંગઠનને ઇઝરાયેલની ગેમમાં નહી ફસાવાની ચેતવણી આપી છે.


કુર્દિશ તુર્કી, ઇરાન, સીરિયા અને ઇરાનમાં રહેતો પરંપરાગત ઇસ્લામ ધર્મી સમુદાય છે જે વર્ષોથી અલગ કુર્દિસ્તાનની માંગણી કરે છે. જો કુર્દિસ્તાન આપવામાં આવે તો ચાર થી પાંચ દેશોની ભૂગોળ બદલાઇ જાય આથી કુર્દિશ પર નિયંત્રણમાં રાખવા બળ પ્રયોગની પણ ફરજ પર છે. તુર્કીમાં સૌથી વધુ ૨૦ ટકા વસ્તી કુર્દિશ લોકોની છે.  તુર્કીમાં કુર્દિશો પરની કાર્યવાહીમાં અનેક વિદ્રોહી નેતાઓ ઇરાન ભાગી જાય છે. કુર્દિશો પોતાના જે તે દેશની નહી પરંતુ સમુદાયની સામાજીક-ભાવનાત્મક સરહદને અનુસરે છે. આથી ઇરાનમાં અમેરિકા-ઇઝરાયેલના સમર્થનથી કુર્દિશો મજબૂત થાય તો તુર્કીની પણ રાષ્ટ્રીય અખંડિતાને જોખમ વધી શકે છે.