World

સઉદી અરેબિયામાં હૃદય દ્રાવક અકસ્માત મદીના જતી બસ સળગી ઊઠતાં 42નાં મોત

By GS TEAM
17 Nov 20251 min read
સઉદી અરેબિયામાં હૃદય દ્રાવક અકસ્માત મદીના જતી બસ સળગી ઊઠતાં 42નાં મોત

- રાત્રીના તમામ યાત્રીઓ સૂતા હતા ત્યારે જ આ અકસ્માત થયો 

- આ યાત્રીકો પૈકી મોટા ભાગના તૈલંગણાના હતા : દૂતાવાસ સક્રિય

નવી દિલ્હી : મક્કાથી મદીના જઈ રહેલી એક બસ મદીનાની નજીક મોડી રાત્રે પહોંચી ત્યાં એક ટેન્કર સાથે અથડાતા ઘડીભરમાં આગની જ્વાળાઓમાં લપેટાઈ ગઈ. તે સમયે બસમાં નિદ્રાધીન રહેલા તમામ બેંતાલીશે બેંતાલીશ મુસાફરો મૃત્યુ પામ્યા હતા. મૃતકોમાં ૧૧ મહિલાઓ અને ૧૦ બાળકો પણ હતા.

આ અંગે મિડીયા રિપોર્ટ જણાવે છે કે આશરે રાત્રીના ૧૧.૦૦ વાગે (ભારતીય સમય પ્રમાણે) રાત્રીના ૧.૩૦ એ થયેલા આ અકસ્માતમાં માર્યા ગયેલાઓ પૈકી મોટાભાગના તેલંગણા રાજ્યના હતા. તેઓ ઉમરાહ યાત્રાએ ગયા હતા.

આ દુર્ઘટનાની જાણ થતાં તેલંગણા સચિવાલયે હેલ્પ લાઇન નંબરો પણ પ્રસિદ્ધ કર્યા છે. મુખ્ય મંત્રી રેવંત રેડ્ડીએ નવી દિલ્હીમાં વિદેશ મંત્રાલયનો પણ સંપર્ક સાધ્યો હતો.

વિદેશ મંત્રાલયે રીયાધ સ્થિત મુખ્ય દૂતાવાસનો તેમજ જેદ્દાહ સ્થિત ઉપ દૂતાવાસનો સંપર્ક સાધ્યો હતો. અને દુર્ઘટના વિષે સવિસ્તાર માહિતી મેળવવા જણાવી દીધું હતું.

વિદેશ મંત્રી એસ. જયશંકરે ઠ પોસ્ટ પર લખ્યું હતું કે, સઉદી અરબના મદીના પાસે થયેલી આ દુર્ઘટનાને લીધે ભારે આઘાત લાગ્યો છે. રિયાધમાં રહેલા આપણા મુખ્ય દૂતાવાસ તેમજ જેદ્દાહમાંના ઉપદૂતાવાસને આ દુર્ઘટનામાં જેઓના જાન ગયા છે તે સર્વેના પરિવારોને અમારી સહાનુભૂતિ છે.