World

ઇરાને એટમ બોમ્બ બનાવી લીધો છે ? ફરી જોરદાર ધરતીકંપ થતાં અટકળોએ જોર પકડયું છે

By GS TEAM
7 Mar 20262 mins read
ઇરાને એટમ બોમ્બ બનાવી લીધો છે ? ફરી જોરદાર ધરતીકંપ થતાં અટકળોએ જોર પકડયું છે

- યુરેનિયમ 90 ટકા શુદ્ધ કરી શકે તો ઇરાન 10 એટમ બોમ્બ બનાવી શકે

- 19મી ફેબ્રુઆરીએ પણ ઇરાનમાં ધરતીકંપ થયો હતો : 3જી માર્ચે પણ ધરતીકંપ થયો, 7મી માર્ચે પણ ધરા ધ્રુજી તેથી અફવાઓએ વેગ પકડયો છે

નવી દિલ્હી : તેલ પર તરતાં મધ્ય પૂર્વમાં ઠેર ઠેર ભડકા તો થઈ જ રહ્યા છે. તેમાં ઇરાન-ઇઝરાયેલ, અમેરિકા યુદ્ધની આગ ભભૂકી રહી છે. ઇરાનમાં આજે ૪૦ નો ધરતીકંપનો આંચકો લાગતાં ધરા ધ્રુજી ઊઠી હતી. આ સાથે જોરદાર અટકળો શરૂ થઈ ગઈ છે કે માત્ર ચાર જ દિવસના અંતરે લાગેલો આ ભૂકંપ સંભવત: ભૂગર્ભ પરમાણુ બોમ્બ પરીક્ષણને લીધે થયો હશે.

આ પૂર્વે ચાર દિવસ પહેલાં આવેલા ભૂકંપની તીવ્રતા ૪.૩ હતી. જનતા તેથી ભયભીત બની રહી હતી.

અમેરિકી ભૂવૈજ્ઞાાનિક સર્વેક્ષણ (યુએસજીસી)ના જણાવ્યા પ્રમાણે ઇરાનનાં સમુદ્ર તટીય શહેર બંદર અબ્બાસના પશ્ચિમી વિસ્તારમાં ભૂકંપ થયો હતો. તેના આંચકાથી લોકોમાં ભય ફેલાઈ ગયો હતો. જોકે આ ભૂકંપથી જાનમાલના નુકસાનની કોઈ માહિતી નથી. છતાં સરકારે સલામતી માટે તત્કાળ પગલાં ભરવાં શરૂ કરી દીધાં હતાં. અમેરિકા-ઇઝરાયેલના હુૂમલાઓની દ્રષ્ટિએ આ બંદર ઉપર પહેલેથી જ સલામતીનો ઇન્તજામ કરવામાં આવ્યો હતો. પરંતુ હવે આ ભૂકંપ પછી વધુ સલામત વ્યવસ્થા ગોઠવાઈ ગઈ છે.

વિશ્લેષકોનું કહેવું છે કે ચાર દિવસમાં બે વખત ભૂકંપ આવે તે પ્રાકૃતિક ઘટના હોઈ શકે, પરંતુ કેટલાક વિશ્લેષકો તે ભૂકંપને પરમાણુ-બોમ્બ-પરીક્ષણ સાથે જોડે છે. આવું મંતવ્ય ધરાવનાર વિશ્લેષકો તેમ પણ કહે છે કે વાસ્તવમાં અમેરિકા-ઇઝરાયેલે ઇરાન પર હુમલો કર્યો છે. તેવામાં ઇરાને ભૂગર્ભમાં પરમાણુ બોમ્બ પરીક્ષણ કર્યું ન હોય તો બીજું શું હોઈ શકે ? તેની તીવ્રતા સૌથી વધુ છે.

જોકે ઇરાને તેની પુષ્ટિ નથી કરી છતાં નિરીક્ષકો કહે છે કે ઇરાનને વધુ ઉશ્કેરવામાં આવશે તો તે પરમાણુ બોમ્બ પણ વાપરે તેવી પૂરી આશંકા છે. જો તેમ થશે તો તબાહી મચી જશે. સમગ્ર દુનિયા જોતી રહેશે.

અંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા એજન્સી (આઈએઈએ) જણાવે છે કે ઇરાન પાસે ૪૪૦ કિ.ગ્રામ યુરેનિયમ છે. તે ૬૦ ટકા શુદ્ધ કરાયું છે. પરમાણુ બોમ્બ માટે ૯૦ ટકા શુદ્ધતા જરૂરી છે. જો તેટલી હદે યુરેનિયમ શુદ્ધ કરી શકે તો ઇરાન ૧૦ એટમ બોમ્બ બનાવી શકે.