પાકિસ્તાનમાં આતંકી જૂથો અંદરો અંદર લડે છે
પાકિસ્તાનની ઈન્ટર સર્વિસ ઈન્ટેલિજન્સે (ISI) જ TTPની ધમકીને નજરમાં રાખી હાફીઝ સઈદને રેલી મોકૂફ રાખવા ભારપૂર્વક કહ્યું હતું
ઈસ્લામાબાદ: લશ્કર-એ-તૈય્યબા (એલ.ઈ.ટી)ના વડા હાફીઝ સઈદે લાહોરથી ઈસ્લામાબાદ સુધી રેલી કાઢવાનું આયોજન કર્યું હતું પરંતુ તે રેલી મોકૂફ રખાઈ છે. વાસ્તવમાં તે રેલી ૨જી નવેમ્બર રવિવારથી શરૂ થવાની હતી. પરંતુ તે અચોક્કસ મુદત સુધી મોકૂફ રખાઈ છે અને ફરી ક્યારે યોજાશે તેની તારીખ પણ જાહેર કરાઈ નથી.
પાકિસ્તાનનાં ખતરનાક લશ્કરી જાસૂસી તંત્ર ઈન્ટર સર્વિસ ઈન્ટેલિજન્સ (આઈએસઆઈ)ને પાકી માહિતી મળી ગઈ હતી કે, પાકિસ્તાનમાં કાર્યરત તેવી બીજી (આતંકી) સંસ્થા 'તહેરિક-એ-તાલિબાન-એ-પાકિસ્તાન' (ટીટીપી)ને ભીતિ લાગી હતી કે, હાફીઝ સઈદ અને તેમનું આતંકી જૂથ (એલ.ઈ.ટી) (લશ્કર-એ-તૈય્યબા) તેમની પાસેથી 'સંઘર્ષ'નો ધ્વજ લઈ લેશે. જેથી ટીટીપી એલ.ઈ.ટી.ની રેલી તોડવા તમામ પ્રયત્નો કરશે જેમાં ડાયરેક્ટ એકશન (હુમલા) પણ સમાવિષ્ટ છે.
નક્કર વાસ્તવિકતા તે છે કે, પાકિસ્તાનમાં વિવિધ આતંકી જૂથો એકબીજા ઉપર હાવી થવા સતત ઝઘડી રહ્યાં છે.
વાસ્તવમાં હાફીઝ સઈદે 'ઓપરેશન સિંદૂર'ને લીધે માર્યા ગયેલાઓને 'શહીદ' કહી તેમને શ્રધ્ધાંજલી અર્પવા આ રેલી યોજવા નિર્ણય કર્યો હતો. પરંતુ તે એકાએક બંધ રહી. હવે ક્યારે યોજાશે તે નક્કી નથી.
પાકિસ્તાન ઉપર ત્રાસવાદીઓને ડામવા આંતરરાષ્ટ્રીય સ્તરે દબાણ થઈ રહ્યું છે. દેશના કેટલાયે બુદ્ધિજીવીઓ પણ દબાણ કરે છે. તેઓ કહે છે કે, પાકિસ્તાનની ફેડરલ ગર્વનમેન્ટે તે આતંકી સંગઠનોને અપાતાં ભંડોળો અટકાવવા જ જોઈએ પરંતુ તેમાંથી કશું નહીં થતાં અત્યારે તો પાકિસ્તાનમાં આતંકી જૂથો વચ્ચે અંદરોઅંદર પણ લડાઈ ચાલી રહી છે.


