Get The App

ભારતમાં રિન્યૂ માટે આવેલા એચ-1બી વિઝાધારકો ફસાયા, અમેરિકા જવાના વલખા

Updated: Dec 23rd, 2025

GS TEAM

Google News
Google News
ભારતમાં રિન્યૂ માટે આવેલા એચ-1બી વિઝાધારકો ફસાયા, અમેરિકા જવાના વલખા 1 - image

- ભારત સાથે અમેરિકાના રાજકીય સંબંધો તંગ થતાં

- અમેરિકામાં હોય તેમને દેશ ન છોડવા ટેક કંપનીઓની સલાહ : વિઝા માટે સોશિયલ મીડિયા વેરિફિકેશનની નવી પોલિસીની અસર

નવી દિલ્હી : અમેરિકાની સરકારે વિઝાધારકો માટે સોશિયલ મીડિયા વેરિફિકેશનની નવી પૉલિસી લાગુ પાડી દીધી છે. તેના કારણે હવે એચ-૧બી વિઝાધારકોના વિઝા રિન્યૂઅલની પ્રોસેસ અટકી પડી છે. અસંખ્ય લોકોની વિઝા રિન્યૂની અપોઈન્ટમેન્ટ છ-આઠ મહિનાથી લઈને એક-એક વર્ષ સુધી લંબાઈ જતાં ભારતીયો સહિત અનેક વિદેશી નાગરિકો મુશ્કેલીમાં મૂકાયા છે. જે રિન્યૂઅલ માટે ભારત આવી ગયા હતા તેમની સામે અમેરિકા પાછા કેમ ફરવું તે મોટો સવાલ ખડો થયો છે.

અમેરિકાના ઈમિગ્રેશન વિભાગે દુનિયાભરના દૂતાવાસોને એચ-૧બી વિઝાની અપોઈન્ટમેન્ટ પાછી ઠેલવાનો આદેશ આપ્યો છે. તેના કારણે અમેરિકાની આઈટી કંપનીઓમાં કાર્યરત ભારત સહિત દુનિયાભરના વિદેશી નાગરિકો મુશ્કેલીમાં મૂકાયા છે. અસંખ્ય એચ૧-બી વિઝાધારકોના વિઝાની સમયમર્યાદા પૂરી થઈ ગઈ છે અથવા તો આગામી મહિનાઓમાં પૂરી થવાની છે. એવા લોકો પોત-પોતાના દેશમાં વિઝા રિન્યૂ કરવા આવવા લાગ્યા હતા. દૂતાવાસમાં અપોઈન્મેન્ટ મેળવીને વિઝા રિન્યૂની પ્રોસેસ કરવાની હોય છે. અનેક ભારતીયો રિન્યૂઅલ પ્રોસેસ માટે ભારત આવ્યા હતા. એ પછી અચાનક અમેરિકન સરકારે આ નવું નોટિફિકેશન આપતા બધી જ અપોઈન્ટ્સ રદ્ થઈ છે અને કેટલાયને આવતા વર્ષે એપ્રિલ-મેની તો ઘણાને આવતા વર્ષે નવેમ્બર-ડિસેમ્બરની નવી અપોઈન્ટમેન્ટ આપવામાં આવી છે. તેના કારણે બે મુખ્ય મુશ્કેલી સર્જાઈ છે. એક, જે લોકો અપોઈન્ટમેન્ટ માટે પોતાના દેશમાં આવ્યા હતા તેઓ પોતાના દેશમાં જ ફસાઈ ગયા છે. તેમના વિઝાની અવધિ પૂરી થતાં હવે તેઓ ફરીથી અમેરિકા જઈ શકે નહીં. બીજી મુશ્કેલી, જે લોકો અમેરિકામાં છે તેઓ આમ અમેરિકામાં રહી શકે નહીં. જો સરકાર એની તપાસ કરે તો તેઓ મુશ્કેલીમાં મૂકાઈ શકે. વળી, એ લોકો દેશ છોડીને ક્યાંય જઈ શકશે નહીં.

એચ-૧બી વિઝા ટેકનોલોજીની કંપનીઓ મારફત થતાં હોવાથી કંપનીઓએ જે કર્મચારીઓ અમેરિકામાં છે તેમને અમેરિકા ન છોડવાની સલાહ આપી છે. ગૂગલ-એપલ-માઈક્રોસોફ્ટ જેવી કંપનીઓએ પણ એચ-૧બી વિઝા પૂરા થતાં હોય એવા કર્મચારીઓને કોઈ વિદેશયાત્રા ન કરવાની ભલામણ કરી છે. ભવિષ્યમાં આ વિઝાધારકોમાંથી ઘણાંને સોશિયલ મીડિયા વેરિફિકેશનના નામે રિન્યૂઅલ ન મળે એવી પણ આશંકા વ્યક્ત થઈ રહી છે.