Get The App

G-20માં પરંપરા તૂટી: દક્ષિણ આફ્રિકાનો ટ્રમ્પને ઝટકો! કહ્યું- 'અમે આ રીતે કોઈને અધ્યક્ષતા નહીં સોંપીએ'

Updated: Nov 22nd, 2025

GS TEAM

Google News
Google News
G-20માં પરંપરા તૂટી: દક્ષિણ આફ્રિકાનો ટ્રમ્પને ઝટકો! કહ્યું- 'અમે આ રીતે કોઈને અધ્યક્ષતા નહીં સોંપીએ' 1 - image

G20 Summit: દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં યોજાયેલી G-20 સમિટમાં જૂથના નેતાઓએ એક ઐતિહાસિક ઘોષણા સ્વીકારી. આ ઘોષણા પર સર્વસંમતિ પણ આશ્ચર્યજનક છે, કારણ કે યુનાઇટેડ સ્ટેટ્સે તેનો વિરોધ કર્યો હતો અને સમિટનો બહિષ્કાર કર્યો હતો.

શનિવારે(22 નવેમ્બર) દક્ષિણ આફ્રિકાની સરકારે ફરી એકવાર ડોનાલ્ડ ટ્રમ્પને અરીસો દેખાડ્યો છે, જેમાં જણાવ્યું હતું કે રાષ્ટ્રપ્રમુખ સિરિલ રામાફોસા G-20 પ્રમુખપદની આગામી અધ્યક્ષતા યુએસ દૂતાવાસના પ્રતિનિધિને સોંપશે નહીં. ટ્રમ્પ દ્વારા સમિટનો બહિષ્કાર કર્યા પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે.

G-20માં પરંપરા તૂટી, શરૂઆતમાં અપનાવ્યું ઘોષણાપત્ર

G-20 પરંપરા તોડીને ગ્લોબલ લિડર્સ G-20 સમિટની શરૂઆતમાં આ સંયુક્ત ઘોષણા અપનાવી હતી, જે સામાન્ય રીતે સમિટના છેલ્લા દિવસે કરવામાં આવે છે. યજમાન દેશ દક્ષિણ આફ્રિકા સાથે રાજદ્વારી મતભેદોને કારણે અમેરિકાએ સમિટનો બહિષ્કાર કર્યો હતો.

અમે યોગ્ય સ્તરના પ્રતિનિધિને અધ્યક્ષતા સોંપીશું: રામાફોસા

ટ્રમ્પ વહીવટીતંત્રે જણાવ્યું હતું કે તેઓ કાર્યભાર સોંપવા માટે જ્હોનિસબર્ગમાં યુએસ દૂતાવાસના પ્રભારીને મોકલશે. વિદેશ મંત્રી રોનાલ્ડ લામોલાએ જણાવ્યું હતું કે રાષ્ટ્રપ્રમુખ રામાફોસા યુએસના પ્રભારીને કાર્યભાર નહીં સોંપે. જો તેઓ પ્રતિનિધિત્વ ઇચ્છતા હોય, તો પણ તેઓ યોગ્ય સ્તરે કોઈને મોકલી શકે છે. આ વ્યક્તિ રાજ્યના વડા, મંત્રી અથવા રાષ્ટ્રપ્રમુખ દ્વારા નિયુક્ત કરાયેલા ખાસ દૂત હશે.

ટ્રમ્પને પહેલા જ સંભળાવી દીધું હતું

આ અગાઉ, દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપ્રમુખ રામાફોસાએ ગુરુવારે G-20 સમિટમાં ડોનાલ્ડ ટ્રમ્પ પર આડકતરી રીતે નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું હતું કે G-20 માં કોઈ ધમકીઓ હોવી જોઈએ નહીં. એવું ન બની શકે કે કોઈ દેશનું ભૌગોલિક સ્થિતિ, આવક સ્તર અથવા સૈન્ય એ નક્કી કરે કે કોનો અવાજ સાંભળવામાં આવે છે અને કોની સાથે વાત કરવામાં આવે.

દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપ્રમુખ સિરિલ રામાફોસાએ જણાવ્યું હતું કે યુનાઇટેડ સ્ટેટ્સે સંયુક્ત ઘોષણાના શબ્દો સામે વાંધો ઉઠાવ્યો હતો. જો કે, તેમણે કહ્યું હતું કે આબોહવા પરિવર્તન પર અપનાવવામાં આવેલી ઘોષણાને ફરીથી વાટાઘાટો કરી શકાતી નથી. રામાફોસાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે સમિટના પ્રારંભિક તબક્કામાં ઘોષણાને સ્વીકારવામાં આવી હતી. તેમણે કહ્યું હતું કે આ પગલું તેને મળેલા ભારે સમર્થનને કારણે લેવામાં આવ્યું છે.

ઘોષણાપત્રમાં શું છે?

આ ઘોષણાપત્ર આબોહવા મહત્વાકાંક્ષા, દેવામુક્તિ, બહુપક્ષીયતા, આતંકવાદ અને વૈશ્વિક સંઘર્ષો પર એક મજબૂત રાજકીય સંદેશ આપે છે. આ ઘોષણાપત્ર આતંકવાદને તેના તમામ સ્વરૂપો અને અભિવ્યક્તિઓમાં સ્પષ્ટપણે વખોડે છે. તે ભારતની લાંબા સમયથી ચાલી આવતી માંગણીને પણ મહત્ત્વ અપાયું છે. જે હેઠળ કોઈ સારા કે ખરાબ આતંકવાદી નથી.