World

ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસના કારણે અકસ્માતમાં ચાર લોકોનાં મોત થયા

By GS TEAM
11 Jan 20262 mins read
ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસના કારણે અકસ્માતમાં ચાર લોકોનાં મોત થયા

- દિલ્હીમાં આ સિઝનની સૌથી ઠંડી સવાર રહી

- પંજાબના હોશિયારપુરમાં 1.1 ડિગ્રી સે. તાપમાન રાજસ્થાનમાં બે અકસ્માતમાં 30 લોકોને ઈજા

નવી દિલ્હી : ઉત્તર ભારતમાં શનિવારે ગાઢ ધુમ્મસનું સામ્રાજ્ય છવાયેલું રહ્યું હતું, જેના કારણે કેટલાક વાહનોના અકસ્માત થતાં ચાર લોકોનાં મોત નીપજ્યાં હતા અને ૩૦થી વધુને ઈજા પહોંચી હતી. આ સાથે ઉત્તર ભારતમાં હાડ થીજાવતી ઠંડીની સ્થિતિ યથાવત્ રહી છે.

કાશ્મીર ખીણમાં અનેક સ્થળો પર કેટલાક દિવસોથી તાપમાનનો પારો શૂન્યથી નીચે ઉતરી ગયો છે. હવે દિલ્હીમાં પણ તાપમાન વધુ ઘટયું હતું. આ સાથે દિલ્હીમાં શિયાળાની વર્તમાન સિઝનમાં શનિવારની સવાર વિક્રમી ઠંડી નોંધાઈ હતી. આ સાથે પંજાબના અનેક વિસ્તારોમાં પણ ઠંડી વધી છે. પંજાબનું હોશિયારપુર ૧.૧ ડિગ્રી સે. સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું હતું તેમ હવામાન વિભાગે જણાવ્યું હતું. પંજાબ અને હરિયાણામાં ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઘટી ગઈ હતી. ગાઢ ધુમ્મસના કારણે હોશિયારપુર અને દસુયા માર્ગ પર એક કાર અને બસ ટકરાતા ચાર લોકોના મોત નીપજ્યાં હતા અને એક વ્યક્તિને ઈજા થઈ હતી તેમ પોલીસે જણાવ્યું હતું.

રાજસ્થાનમાં ગાઢ ધૂમ્મસના કારણે જયપુર-દિલ્હી રાષ્ટ્રીય ધોરીમાર્ગ ૪૮ પર ઓછી વિઝિબિલિટીના કારણે એક પીકઅપ વાહન બસ સાથે અથડાતા ૨૫ લોકોને ઈજા પહોંચી હતી. જોકે, સદનસીબે કોઈ જાનહાની થઈ નહોતી તેમ પોલીસે જણાવ્યું હતું. આવો જ એક અકસ્માત જેસલમેરમાં થયો હતો, જ્યાં એક બસ પોલીસ વાહન સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં ચાર પોલીસ કર્મચારીને ઈજા પહોંચી હતી. રાજ્યમાં શીતલહેરની સ્થિતિ જોવા મળી હતી. જયપુર હવામાન વિભાગ મુજબ દૌસામાં સૌથી નીચું ૩.૫ ડિગ્રી સે. તાપમાન નોંધાયું હતું.