- ભારતનાં બે રાજ્યોમાં પણ 3ની તીવ્રતાના હલકા ઝટકાથી દહેશત હજી સુધી જાન-માલનાં નુકસાનની કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી
નવી દિલ્હી : ભૂકંપના તીવ્ર ઝટકાથી ધરતી ફરી હલી ગઈ. ૨૬ ઓક્ટો. રવિવારની સવારે પેસિફિક મહાસાગરમાંના કોરલ સમુદ્રમાં આવેલા વાનુચાતુમાં ૬ અંકની તીવ્રતાના આંચકા લાગ્યા હતા. ઉપરાંત જાપાન, મ્યાનમાર અને ભારતમાં પણ ૩ અંક જેટલા હળવા આંચકા લાગ્યા હતા. ભારતનાં જમ્મુ અને કાશ્મીરના ગિલ્ગિટ વિસ્તાર અને લડાખ તથા કર્ણાટકમાં તેની સ્પષ્ટ અસર દેખાઈ હતી, લોકો ઘરમાંથી બહાર નીકળી ગયા હતા.
વાનુચાતુની પાસે ધરતી નીચે માત્ર ૧૦ કી.મી.ની ઊંડાઈએ જ આ ભૂકંપનું કેન્દ્ર હોવાનું 'નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજી'એ જણાવ્યું હતું. આટલી ઓછી ઊંડાઈએ ભૂકંપનું કેન્દ્ર ખતરનાક મનાય છે. આ ધરતીકંપ સ્થાનિક સમય પ્રમાણે સવારે ૫.૫૮ મીનીટે લાગ્યો હતો. તેથી મુખ્ય શહેર વિલામાં ભારે અફરા-તરફી મચી ગઈ હતી. જાન-માલનાં નુકસાનની કોઈ ખબર નથી. પરંતુ લોકોમાં દહેશત ફેલાઈ ગઈ છે. જોકે સુનામીની ચેતવણી જારી કરાઈ નથી.
મ્યાનમારમાં સવારે ૪.૪૨ વાગે ભૂકંપ આવ્યો હતો. તેની તીવ્રતા માત્ર ૩ અંકની જ હતી. તેનું કેન્દ્ર જમીનથી ૧૦ કી.મી. ઊંડાઈએ હતું.
નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજીના જણાવ્યા પ્રમાણે ભારતના ગિલ્ગિટ વિસ્તાર, લડાખ અને કર્ણાટકમાં સવારે ૩ કલાક ૪૭ મિનિટે હળવા આંચકા લાગ્યા હતા. રીકટર સ્કેલ ઉપર તેની તીવ્રતા ૩.૧ની નોંધાઈ હતી. જાન-માલની નુકસાનીના કોઈ સમાચાર નથી.


