- શાસન દરમિયાન 4.5 અબજ ડોલરનો ભ્રષ્ટાચાર કર્યો
- નજીબે ભ્રષ્ટાચારની રકમમાંથી હોટેલ, યાટ ખરીદી, ફિલ્મો બનાવી, અમેરિકા,સિંગાપોર અને સ્વિટ્ઝરલેન્ડમાં મની લોન્ડરિંગ
Former Malaysian PM sentenced to 15 years in prison: મલેશિયાના ભૂતપૂર્વ વડાપ્રધાન નજીબ રઝાકને તેમના શાસન કાળમાં કૌભાંડ કરવા ભારે પડી ગયા છે.તેમને વનએમડીબી સ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ ફંડમાં 4.5 અબજ ડોલરથી પણ વધુ રકમની ચલાવેલી લૂંટના કેસમાં 13.5 અબજ રિંગિટ (2.8 અબજ ડોલર) નો દંડ ફટકારવામાં આવ્યો છે અને 15 વર્ષની સજા ફટકારવામાં આવી છે. દંડ ન ભર્યો તો બીજા પાંચ વર્ષ વધુ સજા થશે.
તેની પત્ની રોસમાહ મન્સૂરને પણ ભ્રષ્ટાચારના બીજા કેસમાં દસ વર્ષની સજા થઈ છે અને હાલમાં તે જામીન પર બહાર છે. તેમણે પોતે જ પીએમ તરીકેના કાર્યકાળ વખતે 2009 માં વન એમડીબી ડેવલપમેન્ટ ફંડની સ્થાપના કરી હતી.તેઓ પોતે જ આ એડવાઇઝરી બોર્ડના ચેરપર્સન હતા અને નાણાપ્રધાન તથા વડાપ્રધાન તરીકે બોર્ડમાં વીટોની સત્તા પણ ધરાવતા હતા. તેમણે અને તેમના સહયોગીઓએ મળીને 2009 થી 2014 દરમિયાન ફંડમાંથી 4.5 અબજ ડોલરની લૂંટ ચલાવીને તેનું અમેરિકા, સિંગાપોર અને સ્વિટ્ઝરલેન્ડમાં રોકાણ કર્યુ હતુ.
સત્તાવાળાઓનો દાવો છે કે આ ભંડોળનો ઉપયોગ હોલિવૂડની ફિલ્મોને ફાઇનાન્સ કરવા, હોટેલ ખરીદવા, લક્ઝરી યાટ ખરીદવા અને ઝવેરાત ખરીદવા કરાયો હતો. છેવટે આ કૌભાંડ સામે જનાક્રોશ ફૂટતા નજીબે 2018માં સત્તા ગુમાવવી પડી હતી. તેમના અબજો ડોલરના કૌભાંડના છાંટા છેક અમેરિકા અને વૈશ્વિક બજારોમાં પડયા હતા. આ કૌભાંડથી વોલસ્ટ્રીટ પણ હચમચી ઉઠયું હતું. તેના કારણે જાણીતી ઇન્વેસ્ટમેન્ટ ફર્મ ગોલ્ડમેન સાક્સે પણ અમેરિકામાં તપાસનો સામનો કરવો પડયો હતો. નજીબના કૌભાંડને અમેરિકન એટર્ની જનરલે ક્લેપ્ટોક્રેસી નામ આપ્યું હતું. નજીબ મલેશિયામાં જાણીતા રાજકીય કુટુંબની હસ્તી છે. આ કુટુંબ ૧૯૫૭માં બ્રિટનથી મલેશિયા આઝાદ થયું ત્યારથી તેના પર પ્રભુત્વ ધરાવતું હતું.નજીબ રઝાક 2009થી 2018 સુધી પીએમ પદે હતા ત્યાં સુધી તેમને હાથ લગાડી શકાય તેવું કોઈ વિચારી પણ શકતું ન હતુ.
નેશનલ હાઈકોર્ટનું તારણ હતું કે 72 વર્ષના નજીક સત્તાના દૂરોપયોગ બદલ દોષિત ઠરે છે. તેમણે નજીબ પર મની લોન્ડરિંગના વધારાના આરોપો પણ લગાવ્યા હતા.
નજીબે કશું પણ ખોટું કર્યાનો ઇન્કાર કર્યો હતો અને જણાવ્યું હતું કે આ ફંડ સાઉદી અરેબિયા તરફથી મળેલું રાજકીય ડોનેશન હતુ. તેને લો તાઇક ઝો જેવા શંકાસ્પદ ફાઇનાન્સિયરોને ગેરમાર્ગે દોર્યો હતો. લોને આ કૌભાંડનો માસ્ટર માઇન્ડ માનવામાં આવે છે.
ન્યાયાધીશ કોલિન લોરેન્સ સીકવેરાએ જણાવ્યું હતું કે સાઉદીના ડોનેશનનો નજીબનો દાવો માની શકાય તેવો નથી, આ માટે સાઉદી ડોનર દર્શાવતા પત્રો હતા તે બનાવટી નીકળ્યા હતા અને તેના સ્પષ્ટ પુરાવા છે કે આ ભંડોળ વન એમડીબી ફંડમાંથી ટ્રાન્સફર કરવામાં આવ્યું હતું.
તેમણે ડિફેન્સની તે દલીલો નકારી કાઢી હતી કે નજીબ પીડિત છે અને તેમના ભૂતપૂર્વ વન એમડીબી અધિકારીઓ અને લોએ તેમને ગેરલાભ લીધો છે. તેમણે જુબાનીમાં ચકાસણી દરમિયાન જણાવ્યું હતું કે નજીબ અને લો વચ્ચે જબરદસ્ત બોન્ડિંગ જોવા મળ્યું છે, આ જોતાં લો નજીબ વતી કામ કરતો હોય તેમ લાગે છે, ત ે નજીબનો સાગરિત, વચેટિયો અને આ કૌભાંડનો મદદકર્તા હોઈ શકે છે, એમ જજે જણાવ્યું હતું.નજીબે લો સામે તપાસ કરનારા અધિકારીઓની બદલી કરાવી દીધી હતી અને તેની સામે કોઈપણ કાર્યવાહી થવા દીધી નથી.


