Get The App

તૂર્કિયેમાં મંત્રણા વચ્ચે અફઘાનિસ્તાન-પાકિસ્તાન સરહદે ફરી ભયંકર ગોળીબાર, 5ના મોત

Updated: Nov 7th, 2025

GS TEAM

Google News
Google News
તૂર્કિયેમાં મંત્રણા વચ્ચે અફઘાનિસ્તાન-પાકિસ્તાન સરહદે ફરી ભયંકર ગોળીબાર, 5ના મોત 1 - image

Afghanistan And Pakistan Tension: અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલી શાંતિ મંત્રણા વચ્ચે અથડામણની ઘટના બની છે. બંને દેશોની સરહદ પર ગોળીબારમાં પાંચ લોકોના મોત થયા છે. અફઘાનિસ્તાનના દક્ષિણ કંધાર પ્રાંતના સ્પિન બોલ્ડક જિલ્લા હોસ્પિટલના એક અધિકારીએ આ અંગે જાણકારી આપી હતી. આ ઘટના બાદ બંને દેશોએ એક-બીજા પર ગોળીબાર શરૂ કરી હોવાનો આરોપ મૂક્યો હતો. 

એકબાજુ બંને દેશો વચ્ચે તૂર્કિયેમાં ચાલી રહેલી શાંતિ મંત્રણાઓ અંતિમ તબક્કામાં છે. આ મંત્રણાનો ઉદ્દેશ તાજેતરમાં બંને દેશો વચ્ચે વધેલા તણાવ અને અથડામણનો અંત લાવવાનો છે. બીજી બાજુ બંને દેશો અવારનવાર એકબીજા પર હુમલા કરી રહ્યા છે.

સુરક્ષા અને આતંકવાદના આરોપો

પાકિસ્તાન લાંબા સમયથી અફઘાનિસ્તાન પર પાકિસ્તાન તાલિબાન (TTP) જેવા આતંકવાદી જૂથોને આશ્રય આપવાનો આરોપ મૂકતું આવ્યું છે, જે પાકિસ્તાનમાં આતંકવાદી હુમલાઓ કરે છે. જોકે, તાલિબાન વહીવટીતંત્રે આ આરોપોને સ્પષ્ટપણે નકારી કાઢ્યા છે. સ્પિન બોલ્ડક હોસ્પિટલના એક અધિકારીએ જણાવ્યું હતું કે આજના ગોળીબારમાં પાંચ લોકો માર્યા ગયા હતા, જેમાં ચાર મહિલાઓ અને એક પુરુષનો સમાવેશ થાય છે, જ્યારે અન્ય છ ઘાયલ થયા હતા. પાકિસ્તાની પક્ષ તરફથી જાનહાનિ અંગે તાત્કાલિક કોઈ માહિતી નથી.

બંને દેશો વચ્ચે આક્ષેપબાજી

તાલિબાન સરકારના પ્રવક્તા ઝબીહુલ્લાહ મુજાહિદે જણાવ્યું હતું કે તૂર્કિયેમાં પાકિસ્તાન સાથે ત્રીજા રાઉન્ડની વાતચીત ચાલી રહી હતી ત્યારે પાકિસ્તાની દળોએ સ્પિન બોલ્ડક પર ગોળીબાર કર્યો હતો. ઇસ્લામિક અમીરાત દળોએ વાતચીતનો આદર કરતાં વધુ જાનહાનિ ટાળવા હાલ કોઈ જવાબ આપ્યો ન હતો.

પાકિસ્તાને આરોપો ફગાવ્યા

પાકિસ્તાનના માહિતી મંત્રાલયે આરોપોને ફગાવી દીધા હતા, અને કહ્યું હતું કે, અમે અફઘાન પક્ષ દ્વારા લગાવવામાં આવેલા ખોટા આરોપોને સખત રીતે નકારીએ છીએ. ગોળીબાર અફઘાન પક્ષ તરફથી શરૂ કરવામાં આવ્યો હતો, જેનો અમારા દળોએ સંયમ અને જવાબદારી સાથે જવાબ આપ્યો હતો. બીજી બાજુ અફઘાન નાયબ પ્રવક્તા હમીદુલ્લાહ ફિતરતે જણાવ્યું હતું કે પાકિસ્તાને હળવા અને ભારે હથિયારોથી નાગરિક વિસ્તારોને નિશાન બનાવ્યા હતા, જોકે ગોળીબાર ફક્ત 10 થી 15 મિનિટ જ ચાલ્યો હતો. પાકિસ્તાને દાવો કર્યો હતો કે પરિસ્થિતિ હવે નિયંત્રણમાં છે અને યુદ્ધવિરામ લાગુ છે.

તૂર્કિયેમાં મંત્રણા વચ્ચે અફઘાનિસ્તાન-પાકિસ્તાન સરહદે ફરી ભયંકર ગોળીબાર, 5ના મોત 2 - image