ઈન્ડોનેશિયામાં જહાજમાં આગ લાગી પાંચ લોકોનાં મોત, 280ને બચાવાયા
- ઈન્ડોનેશિયાની નેવીના ત્રણ જહાજ બચાવ અભિયાનમાં જોડાયા
- દરિયા કિનારો નજીક હોવાથી લાઈફ જેકેટ પહેરી કૂદી પડેલા પ્રવાસીઓ તરીને બહાર આવ્યા, અનેક હજુ પણ લાપતા
જાકાર્તા: ઈન્ડોનેશિયાના દરિયામાં ૨૮૪ લોકોથી ભરેલા જહાજ કેએમ બાર્સેલોના વીએમાં આગ લાગી ગઈ હતી. જેના કારણે ગભરાયેલા પ્રવાસીઓએ જીવ બચાવવા માટે દરિયામાં છલાંગ લગાવી દીધી હતી. જોકે, આ દુર્ઘટના દરિયા કિનારા નજીક બની હોવાથી અનેક પ્રવાસીઓને બચાવી લેવાયા હતા. જોકે, આ દુર્ઘટનામાં પાંચ લોકોનાં મોત નીપજ્યાં હતા જ્યારે ૧૮ ઘાયલ થયા હતા. ઈન્ડોનેશિયન નેવીના ફ્લીટ કમાન્ડના કમાન્ડર વાઈસ એડમિરલ ડેનિહ હેંડ્રાટાએ જણાવ્યું કે, બાર્સેલોના ૫ જહાજ રવિવારે બપોરે ૧૨.૦૦ કલાકે તાલૌદથી ઉત્તરી સુલાવેસી પ્રાંતની રાજધાની મનોડા તરફ જઈ રહ્યું હતું, તે સમયે તાલિસે ટાપુ નજીક જહાજમાં અચાનક આગ લાગી ગઈ હતી. આગ લાગતા જહાજમાં ભાગદોડ મચી ગઈ હતી. લોકો જીવ બચાવવા માટે પાણીમાં કૂદી પડયા હતા. વાઈસ એડમિરલ ડેનિહ હેંડ્રાટાએ ઉમેર્યું કે, આ દુર્ઘટનામાં એક ગર્ભવતી મહિલા સહિત પાંચ લોકોનાં મોત નીપજ્યાં હતા. આ જહાજમાં ૨૮૪ પ્રવાસી અને ક્રૂ પ્રવાસ કરી રહ્યા હોવાની પુષ્ટી કરાઈ હતી. ઈન્ડોનેશિયાની નેવીના ત્રણ જહાજ બચાવ અભિયાનમાં જોડાયા હતા. વાઈસ એડમિરલ હેંડ્રાટાએ જણાવ્યું કે બચાવ અભિયાનમાં સ્થાનિક માછીમારોની પણ મદદ લેવાઈ હતી. અનેક લોકો લાઈફ જેકેટ પહેરી દરિયામાં કૂદી પડયા હતા. કેટલા લોકો ગુમ થયા છે તે હજુ સુધી જાણી શકાયું નથી. દરિયા કિનારો નજીક હોવાથી તેઓ તરીને બહાર આવી ગયા હતા. આગ લાગવાના કારણોની તપાસ કરાઈ રહી છે.
નેશનલ સર્ચ એન્ડ રેસ્ક્યુ એજન્સીએ જાહેર કરેલી તસવીરો અને વીડિયોમાં અનેક પ્રવાસીઓ જહાજમાં આગ લાગતા સમુદ્રમાં કુદતા જોવા મળી રહ્યા છે. સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયોમાં જહાજમાં લાગેલી ભયાનક આગ અને કાળા ધૂમાડા નીકળતા જોવા મળે છે.