Image: Facebook
Actress Meher Afroz Shaon Arrest: બાંગ્લાદેશની ફેમસ એક્ટ્રેસ મહેર અફરોઝ શાઓનની ઢાકામાં પોલીસે દેશદ્રોહના આરોપમાં ધરપકડ કરી છે. અફરોઝ બાંગ્લાદેશના ફેમસ લેખક હુમાયુન અહેમદની પત્ની છે. સ્થાનિક મીડિયા અનુસાર ઢાકા મેટ્રોપોલિટન પોલીસની ડિટેક્ટિવ બ્રાન્ચ (ડીબી) એ ગુરુવારે સાંજે રાજધાનીના ધાનમંડી વિસ્તારથી એક્ટ્રેસની ધરપકડ કરી. અફરોઝના ફેસબુક પેજ પર તેણે મોહમ્મદ યુનુસ શાસન અને ખાસ કરીને તેના પ્રેસ સલાહકારની ટીકા કરી હતી.
ડિટેક્ટિવ બ્રાન્ચના એડિશનલ કમિશનર પોલીસ રેજાઉલ કરીમ મલિકે જણાવ્યું કે તેની ગુરુવારે રાત્રે ધાનમંડીમાં ધરપકડ કરી લેવાઈ. તેની પર દેશદ્રોહનો આરોપ છે અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. રિપોર્ટ્સ અનુસાર તે મોહમ્મદ યુનુસના નેતૃત્વવાળી બાંગ્લાદેશની વચગાળાની સરકારની ટીકા કરી રહી હતી. મેહર અફરોઝ શાઓન ન માત્ર બાંગ્લાદેશની ફેમસ એક્ટ્રેસ છે પરંતુ એક ડાયરેક્ટર, ડાન્સર અને પ્લેબેક સિંગર પણ છે. મહેરને 2016માં ફિલ્મ 'કૃષ્ણોપોક્ખો' માટે બેસ્ટ ફીમેલ સિંગરનો બાંગ્લાદેશ નેશનલ ફિલ્મ એવોર્ડ મળ્યો હતો.
પોલિટિકલ ફેમિલીથી આવે છે મહેર
પોલિટિકલ ફેમિલીથી આવતી મહેરની ધરપકડ જમાલપુરમાં તેના પૈતૃક ઘર પર હુમલો અને આગ લાગ્યાના અમુક કલાક બાદ થઈ. રિપોર્ટ અનુસાર વિદ્યાર્થીઓ અને સ્થાનિક રહેવાસીઓએ ગુરુવારે સાંજે 6 વાગ્યાની આસપાસ જમાલપુરમાં નોરુંડી રેલવે સ્ટેશનની પાસે તેના પૈતૃક ઘરમાં આગ લગાડી દીધી. આ ઘર તેના પિતા એન્જિનિયર મોહમ્મદ અલીનું હતું. જેમણે ગત રાષ્ટ્રીય ચૂંટણીમાં અવામી લીગથી નામાંકન માગ્યુ હતું. તેની માતા બેગમ તહુરા અલીએ અનામત મહિલા બેઠકથી સંસદમાં બે કાર્યકાળ પૂરા કર્યા. અભિનેત્રીએ પણ ગત ચૂંટણીમાં અવામી લીગના ઉમેદવાર તરીકે અનામત સંસદીય બેઠકથી ચૂંટણી લડી હતી.
ભીડે શેખ હસીનાના પિતાના ઘરને પણ આગ લગાડી દીધી હતી
આ ઘટના ઢાકામાં થયેલી એક ઘટના બાદ સામે આવી છે. જ્યાં ભીડે બુધવારે બાંગ્લાદેશના સંસ્થાપક નેતા અને અપદસ્થ વડાપ્રધાન શેખ હસીનાના પિતા શેખ મુજીબુર્હમાનના ઘરમાં તોડફોડ કરી અને આગ લગાડી દીધી હતી. ભીડ ધનમંડી 32માં બુલડોઝર લઈને જમા થઈ અને ઘરને તોડવાની ધમકી આપી. આ સિવાય તેમણે મુખ્ય દરવાજો તોડી દીધો અને સંપત્તિને આગ લગાડી દીધી. હુમલાખોરોએ ઘરને તાનાશાહીનું પ્રતીક ગણાવ્યુ અને કહ્યું કે અમે દેશમાં મુજીબવાદના નિશાન ભૂંસવા ઈચ્છીએ છીએ. પ્રદર્શનકારીઓએ શેખ હસીના વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યાં, જે ગયા વર્ષે 5 ઓગસ્ટે પોતાની સરકાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન બાદ બાંગ્લાદેશ છોડીને ભારત આવ્યા હતાં.


