- તાલિબાની ફાઈટર્સે ગુરૂદ્વારામાં ગોળીબાર કરી રહેલા આતંકવાદીઓને પકડવા કાર્યવાહી હાથ ધરી
કાબુલ, તા. 18 જૂન 2022, શનિવાર
અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ ખાતે આવેલા કાર્તે પરવાન શીખ ગુરૂદ્વારા પર ભીષણ હુમલો થયો છે. આ હુમલામાં અનેક લોકો માર્યા ગયા હોવાની આશંકા છે. શીખ ગુરૂદ્વારાની આસપાસના વિસ્તારોમાં ગોળીબારનો અવાજ સંભળાઈ રહ્યો છે.
આતંકવાદીઓએ 2 બોમ્બ વિસ્ફોટ કર્યા બાદ સમગ્ર વિસ્તારને પોતાના કબજામાં લઈ લીધો છે અને સાઈટ પર ગોળીબાર કરી રહ્યા છે. જાણવા મળ્યા મુજબ આતંકવાદીઓએ પ્રવેશ દ્વાર પાસે એક બોમ્બ વિસ્ફોટ કર્યો હતો. આ હુમલામાં 2 લોકોના મોત થયા છે તથા 8 લોકો હજુ પણ ફસાયેલા છે.
2 હુમલાખોરો છે અંદર
જાણવા મળ્યા મુજબ ગુરૂદ્વારા સાથે સંકળાયેલી અમુક દુકાનોમાં આગ લાગી છે. ઓછામાં ઓછા 2 હુમલાખોરો ગુરૂદ્વારા પરિસરની અંદર હોવાનું કહેવાઈ રહ્યું છે. ત્યાં પહોંચી ગયેલા તાલિબાની ફાઈટર્સ તેમને પકડવા માટે પ્રયત્નો કરી રહ્યા છે.
ગાર્ડનું મોત
ભાજપના નેતાએ કાબુલ હુમલા અંગેની જાણકારી આપતા કહ્યું કે, આતંકવાદી દ્વારા કરવામાં આવેલા ગોળીબારના કારણે ત્યાંના ગાર્ડનું મૃત્યુ થયું છે. ગુરૂદ્વારામાંથી બહાર આવેલા 3 પૈકીના 2 લોકોને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા છે. ગોળીબારમાં ગુરૂદ્વારાના ગાર્ડનું મોત થયું હોવાનું માનવામાં આવે છે.
ભારતીય વિદેશ મંત્રાલય સક્રિય
મંત્રાલયના કહેવા પ્રમાણે તેઓ પવિત્ર ગુરૂદ્વારા પર થયેલા હુમલા અંગેના રિપોર્ટથી ચિંતિત છે તથા સમગ્ર સ્થિતિનું બારીકાઈથી નિરીક્ષણ કરી રહ્યા છે.


