વિશ્વમાં દર વર્ષે 93 કરોડ અને 10 લાખ ટન અનાજનો બગાડ થાય છે
આ ખોરાકનો બગાડ તેના કુલ ઉત્પાદનનો ૧૭ ટકા જેટલો છે
દર વર્ષે પ્રત્યેક ઘરમાં પ્રતિ વ્યકિત ૭૪ કિલો ખોરાક બગડે છે- યુ એન
વોશિંગ્ટન,15 માર્ચ,2021,સોમવાર
વિશ્વમાં કરોડો લોકોને બે ટંકનો રોટલો પણ નસીબમાં નથી ત્યારે વર્ષે ૯૩ કરોડ અને ૧૦ લાખ ટન અનાજનો બગાડ થઇ રહયો છે. આ બગાડ કુલ ઉત્પાદનનો ૧૭ ટકા જેટલો છે. સંયુકત રાષ્ટ્રસંઘના પર્યાવરણ કાર્યક્રમ અને વેસ્ટ રિસોર્સ એકશન પ્રોગ્રામ દ્વારા થોડાક સમય પહેલા એક અહેવાલ પ્રગટ કરવામાં આવ્યો તેમાં ટાંકવામાં આવેલી વિગતો આંખ ખોલી નાખે તેવી છે. રિપોર્ટમાં જણાવ્યા અનુસાર ગરીબ હોય કે વિકસિત દેશ બધે જ અનાજ અને જીવન જરુરીયાતી ચીજ વસ્તુઓનો ભયંકર બગાડ થાય છે. નવાઇની વાત તો એ છે કે પ્રત્યેક ઘરમાં સરેરાશ ૭૪ કિલો પ્રતિ વ્યકિત ખોરાકનો વાર્ષિક બગાડ થાય છે જો અનાજનો આ રીતે બગાડ થતો રહેશે અને તેને રોકવામાં નહી આવે તો લાખો ભૂખ્યા લોકોને બચાવી શકાશે નહી. ખરેખર તો અન્નનો બગાડ ગરીબ લોકોના મોમાંથી કોળિયો છીનવી લેવા જેવું કૃત્ય છે.
અન્નનો બગાડ આ એક એવી સમસ્યા છે જે સહિયારા પ્રયાસોથી જ તેનો ઉકેલ લાવી શકાય તેમ છે. પહેલાના સમયમાં એવું માનવામાં આવતું હતું કે ફૂડનો બગાડ માત્ર વિકસિત અને સમૃધ્ધ દેશો જ કરે છે પરંતુ એવું નથી જે અન્ન સુરક્ષા સામે ઝઝુમી રહયા છે તે આફ્રિકા અને એશિયાના ગરીબ અને અવિકસિત દેશોમાં પણ મોટી સમસ્યા છે. એક માહિતી મુજબ અમેરિકામાં પ્રતિ વ્યકિત અન્નનો વાર્ષિક બગાડ ૫૯ કિલોગ્રામ છે જયારે ભારતની વાત કરીએ તો ભારતમાં દરેક ઘરમાં ખોરાકનો થતો પ્રતિ વ્યકિત વાર્ષિક વ્યય ૫૦ કિલોગ્રામ જેટલો છે. ચીનમાં ભારત કરતા વધુ ૬૪ કિલોગ્રામ પ્રતિ વ્યકિત બગાડ કરે છે. ચીનમાં તો જમ્યા પછી થોડુક એઠું મુકવાની કુ પ્રથા પણ જોવા મળે છે.
નિષ્ણાતોનું માનવું છે કે આવનારો સમય જળવાયુ પરીવર્તન અને ઘટતી જતી જૈવિક વિવિધતાના કારણે વધુ પડકારજનક સમય આવવાનો છે ત્યારે ખોરાકની બરબાદી થતી અટકાવવી પડશે નહિંતર કરોડો લોકોએ ભૂખ્યા રહેવાનો દિવસો આવશે. ૨૦૧૯માં વિશ્વમાં ૬૯ કરોડ લોકો ભૂખમરાના ભરડામાં આવ્યા હતા.કોરોના મહામારી શરુ થઇ છે અને રોજગારી ઘટી છે ત્યારે લોકડાઉન અવસ્થામાં ભૂખમરાથી પીડિત લોકોની સંખ્યામાં વધારો થયો હોય તેવી પણ શકયતા છે. જો કોરોના મહામારી ખૂબ લાંબી ચાલશે તેવા સંજોગોમાં એવું માનવામાં આવે છે કે વિશ્વમાં ૩ અબજ લોકો સમતોલ આહારથી વંચિત થઇ જશે. આ રિપોર્ટમાં રેસ્ટોરન્ટ,નાની મોટી દુકાનો અને ઘરોમાં અનાજના થતા બગાડનો પણ હિસાબ ગણવામાં આવ્યો હતો.