EU-India Deal: ભારત અને યુરોપિયન યુનિયન (EU) વચ્ચે થયેલા ઐતિહાસિક મુક્ત વ્યાપાર સમજૂતી (Free Trade Agreement) એ ભારતીય અર્થતંત્ર માટે નવા યુગના દ્વાર ખોલ્યા છે. આ સમજૂતીથી સામાન્ય જનતા માટે લક્ઝરી વસ્તુઓ સસ્તી થશે અને લાખો યુવાનો માટે રોજગારીની તકો ઊભી થશે.
લક્ઝરી કાર અને વિદેશી ચીજવસ્તુઓ થશે સસ્તી
ભારત અને EU વચ્ચેના કરારને કારણે યુરોપથી આવતી અનેક મોંઘી વસ્તુઓના ભાવમાં ધરખમ ઘટાડો થશે. ખાસ કરીને જે કાર પર અત્યારે 110% આયાત શુલ્ક લાગે છે, તે ઘટીને માત્ર 10% થઈ જશે (સીમિત ક્વોટા હેઠળ). આનાથી મર્સિડીઝ-બેન્ઝ, બીએમડબ્લ્યુ અને ઓડી જેવી લક્ઝરી કાર ખરીદવી ભારતીયો માટે સસ્તી બનશે. આ ઉપરાંત વિદેશી ચોકલેટ, વાઈન, બિયર અને હાઈ-ટેક ઈલેક્ટ્રોનિક્સ વસ્તુઓના ભાવ પણ ઘટશે.
નિકાસકારો અને લઘુ ઉદ્યોગો (MSME) ને મોટો ફાયદો
ભારતની 99% થી વધુ નિકાસને હવે યુરોપિયન બજારોમાં સીધો પ્રવેશ મળશે. કાપડ, ચામડું, ફૂટવેર, ચા, કોફી અને રત્ન-આભૂષણ જેવા શ્રમ-પ્રધાન ક્ષેત્રોને આનાથી મોટો લાભ થશે. ભારતને યુરોપિયન માર્કેટમાં 97% ટેરિફ લાઇન પર પ્રાથમિકતા મળશે, જેનાથી ભારતીય માલ યુરોપમાં વધુ સ્પર્ધાત્મક બનશે.
રોજગારી અને 'મેક ઇન ઇન્ડિયા' ને વેગ
કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે જણાવ્યું છે કે આ સમજૂતીથી દેશમાં લાખો રોજગારીની તકો પેદા થશે. હાઈ-ટેક મશીનરી અને આધુનિક ટેકનોલોજી ભારત આવતા ઉદ્યોગોનો ઉત્પાદન ખર્ચ ઘટશે, જેનાથી દેશમાં મેન્યુફેક્ચરિંગ સેક્ટર મજબૂત થશે. ખાસ કરીને યુવા પ્રોફેશનલ્સ માટે 'મોબિલિટી ફ્રેમવર્ક' તૈયાર કરાયું છે, જે ભારતીય કુશળ કામદારો માટે યુરોપમાં નોકરીની તકો વધારશે.
ખેડૂતોની આવકમાં વધારો
આ સમજૂતીથી ભારતીય ખેતી અને ગ્રામીણ અર્થતંત્રને નવી ઉર્જા મળશે. ભારતીય ખેડૂતોના મસાલા, દ્રાક્ષ, ડુંગળી અને પ્રોસેસ્ડ ફૂડને યુરોપના મોંઘા બજારોમાં વધુ સારા ભાવ મળશે. જોકે, સરકારે ડેરી અને અનાજ જેવા સંવેદનશીલ ક્ષેત્રોને સુરક્ષિત રાખ્યા છે જેથી સ્થાનિક ખેડૂતોને નુકસાન ન થાય.


