World

ચીન છોડીને ભાગી કોરોના સાયન્ટિસ્ટ, કહ્યું- 'મારો અવાજ દબાવ્યો, મારી હત્યા કરી દેતા'

By GS Team
11 Jul 20202 mins read
This article was originally published on 11 Jul 2020
ચીન છોડીને ભાગી કોરોના સાયન્ટિસ્ટ, કહ્યું- 'મારો અવાજ દબાવ્યો, મારી હત્યા કરી દેતા'

હોંગકોંગ, તા. 11 જુલાઈ 2020, શનિવાર

એક પ્રમુખ ચીની વૈજ્ઞાનિકના કહેવા પ્રમાણે જ્યારે ચીને સમગ્ર વિશ્વને કોરોના વાયરસ અંગે માહિતી આપી તેના ઘણા સમય પહેલાથી જ ચીનને વાયરસની ગંભીરતાની જાણ હતી. સાયન્ટિસ્ટ ડો. લી મેંગ યાનના કહેવા પ્રમાણે સુપરવાઈઝર્સે તેમના રિસર્ચની અવગણના કરી હતી જેના વડે લોકોની જિંદગી બચી શકે તેમ હતી. 

લી મેંગ યાન એપ્રિલ 2020ના અંતમાં હોંગકોંગથી ભાગીને અમેરિકા પહોંચી ગઈ હતી. લી મેંગ હોંગકોંગ સ્કુલ ઓફ પબ્લિક હેલ્થમાં વાયરોલોજી અને ઈમ્યુનોલોજીની એક્સપર્ટ રહી ચુકી છે. લીના કહેવા પ્રમાણે કેમ્પસમાંથી નીકળતી વખતે તેણે ખૂબ જ સાવધાની રાખી હતી જેથી સેન્સર અને કેમેરાની નજરથી બચી શકાય કારણ કે તેને ડર હતો કે પકડાઈ જવા પર તેને જેલમાં પુરી દેવામાં આવેત અથવા તો 'ગાયબ' કરી દેવામાં આવેત. 

લી મેંગ યાનના આરોપ પ્રમાણે ચીની સરકાર તેમની પ્રતિષ્ઠા ખતમ કરવા માંગે છે અને તેમનો અવાજ દબાવવા સાઈબર એટેક થઈ રહ્યા છે. આ કારણે હાલ તે એક અજ્ઞાત સ્થળે રહે છે. લીને હાલ પોતાની જિંદગી જોખમમાં હોવાનું અનુભવાઈ રહ્યું છે અને તેમને ડર છે કે તેઓ હવે કદી પોતાના ઘરે પરત નહીં જઈ શકે. 

લીના કહેવા પ્રમાણે જો તે ચીનમાં કોરોના અંગેની સચ્ચાઈ જાહેર કરેત તો તેમને ગાયબ કરીને મારી દેવામાં આવેત. તેમણે કરેલા દાવા પ્રમાણે તેઓ વિશ્વના ગણતરીના સાયન્ટિસ્ટ્સમાં સામેલ હતા જેમણે સૌથી પહેલા કોરોના વાયરસ પર અભ્યાસ કરેલો. તેમણે જણાવ્યું કે, ચીને ડિસેમ્બર 2019માં હોંગકોંગના એક નિષ્ણાંતને પણ કોરોના પર રિસર્ચ કરતા અટકાવ્યા હતા. ત્યાર બાદ તેમણે પોતાના ઓળખીતા લોકો પાસેથી કોરોનાની માહિતી એકત્રિત કરી હતી. 

ચીનમાં જ ઉછરેલી અને ત્યાં જ અભ્યાસ કરનારી યાનને ચીનના સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનના વૈજ્ઞાનિકોએ 31મી ડિસેમ્બર 2019ના રોજ જ કોરોના મનુષ્યમાંથી મનુષ્યમાં ફેલાય છે તેવું જણાવી દીધું હતું. જો કે, ચીને ત્યાં સુધી વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન કે વિશ્વને આ અંગે કોઈ જાણકારી નહોતી આપી. આ તરફ 9 જૂન 2020ના રોજ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)એ કહ્યું હતું કે, ચીની અધિકારીઓના કહેવા પ્રમાણે કોરોના મનુષ્યમાંથી મનુષ્યમાં નથી ફેલાતો.

લીએ જણાવ્યું કે, કોરોનાના કેસ સામે આવ્યા બાદ શરૂઆતથી જ ચીનના મોટા ભાગના ડોક્ટર્સ કહેવા લાગેલા કે, 'અમે આ અંગે વાત ન કરી શકીએ. અમારે માસ્ક પહેરવાની જરૂર છે.' યાને જણાવ્યું કે, અનેક દર્દીઓની સમયસર તપાસ ન થઈ શકી અને તેમને સમયસર સારવાર ન અપાઈ. ડોક્ટર્સ ડરેલા હતા અને વાત નહોતા કરી શકતા. સુપરવાઈઝર્સે યાનને પણ ચુપ રહેવા કહ્યું હતું અને તેમને ગાયબ કરી દેવાની ચેતવણી પણ અપાઈ હતી.