Elon Musk Covid Vaccine Pfizer Claims : ટેસ્લા અને Xના માલિક ઈલોન મસ્કે કોવિડ-19 રસીના બીજા ડોઝ વિશે ફરી એકવાર નિવેદન આપ્યું છે. મસ્કે એક્સ પર લખ્યું હતું કે, ‘કોવિડ રસીના બીજા ડોઝે મને લગભગ હોસ્પિટલ પહોંચાડી દીધો હતો. મને એવું લાગ્યું કે હું મરી રહ્યો છું.’ મસ્કે કોવિડ રસી બનાવતી જાણીતી કંપની ફાઈઝરના જ એક પૂર્વ અધિકારીને સમર્થન આપતા આ વાત કરી છે. આ વ્યક્તિએ દાવો કર્યો છે કે, કોવિડ રસીના કારણે એકલા જર્મનીમાં જ 60,000 મોત થયા હતા. આ કારણસર કોવિડ રસીના કારણે થતા મોત મુદ્દે ફરી એકવાર ચર્ચા છેડાઈ ગઈ છે.
ફાઇઝરની રસીથી મોતનો દાવો કરનારો 'ઇનસાઇડર'
આ વિવાદની શરૂઆત ડૉ. હેલ્મુટ સ્ટર્ઝ નામની એક વ્યક્તિના નિવેદનોથી થઈ હતી. 1946 માં જન્મેલા ડૉ. સ્ટર્ઝ ફાઇઝર કંપનીના યુરોપિયન સેન્ટરમાં ટોક્સિકોલોજી વિભાગના વડા હતા. તેઓ 2007 માં નિવૃત્ત થયા, એટલે કે કોવિડ રસી આવી તેના ઘણાં વર્ષો પહેલાં. હાલમાં જ તેમણે જર્મનીના સંસદીય પેનલ (બુન્ડેસ્ટાગ) સમક્ષ જુબાની આપી હતી કે mRNA રસીને ક્યારેય મંજૂરી મળવી જોઈતી ન હતી.
પાંચ મિનિટનો વિસ્ફોટક દાવો
19 માર્ચ 2026 ના રોજ જર્મન સંસદની કોરોના તપાસ સમિતિ સમક્ષ માત્ર પાંચ મિનિટની જુબાની આપતી વખતે ડૉ. સ્ટર્ઝે આરોપ લગાવ્યો કે, કોવિડ રસીને મંજૂરી આપતા પહેલા તેના 10 મહત્ત્વના સલામતી અભ્યાસ (પ્રિક્લિનિકલ ટેસ્ટ) જ કરાયા ન હતા. તેમાં કાર્સિનોજેનિસિટી (કેન્સરકારક) અને પ્રજનનક્ષમતા પર અસર (રિપ્રોડક્ટિવ ટોક્સિસિટી) જેવા જોખમોની તપાસનો સમાવેશ થાય છે. કોવિડ મહામારી સમગ્ર વિશ્વમાં ફેલાઈ ચૂકી હતી. આ સ્થિતિમાં સમય ઓછો હોવાથી એ અભ્યાસ છોડી દેવાયો હતો, પરંતુ તે વાત અયોગ્ય જ હતી.
આ પણ વાંચો : ‘આ તો પતિના લોહીના તરસ્યા હોવા બરાબર છે..’, MP હાઈકોર્ટે મહિલાની ભરણપોષણની અરજી ફગાવી
એકલા જર્મનીમાં રસીને કારણે 60,000 લોકોના મોત!
ડૉ. સ્ટર્ઝે જર્મનીની દવા સલામતી એજન્સી (પોલ એહરલિચ ઇન્સ્ટિટ્યૂટ)ના આંકડા ટાંક્યા, જેમાં રસી લીધા બાદ લગભગ 2,133 મૃત્યુ નોંધાયા હોવાનું લખ્યું છે. પરંતુ તેઓ ત્યાં અટક્યા નહીં. તેમણે એક અમેરિકન અંદાજનો ઉપયોગ કરીને આ સંખ્યાનો 30 વડે ગુણાકાર કરી દીધો કારણ કે તેમના મતે કોવિડના કારણે થયેલા મોતના મોટા ભાગના કિસ્સા નોંધાયા નથી, અંડરરિપોર્ટિંગ જ રહી ગયા છે. આ રીતે તેમણે અંદાજ લગાવ્યો કે જર્મનીમાં રસીને કારણે 60,000 લોકો મૃત્યુ પામ્યા હશે.
જર્મન મંત્રીએ દાવો ખોટો ગણાવ્યો
ડૉ. સ્ટર્ઝની જુબાની સાંભળી રહેલા જર્મનીના આરોગ્ય મંત્રી કાર્લ લૌટરબેકે તરત જ આ દાવા ફગાવી દીધા છે. તેમણે કહ્યું કે, ‘આ આંકડા ખોટા છે. રસી લીધા પછી થયેલા મૃત્યુનો અર્થ એ નથી કે રસી જ તેનું કારણ હતી. ઘણાં લોકો વૃદ્ધાવસ્થા અથવા બીજી બીમારીના કારણે મૃત્યુ પામ્યા હતા, જેનો રસી સાથે કોઈ સંબંધ નથી. અમેરિકાનો 30x ગુણક જર્મનીમાં લાગુ કરવો વૈજ્ઞાનિક રીતે યોગ્ય નથી.’
તો પછી વૈશ્વિક આરોગ્ય સંસ્થાઓ શું કહે છે?
વિશ્વભરના તમામ મોટા આરોગ્ય સંગઠનો (WHO, EMA, CDC) માને છે કે, કોવિડને રોકતી વિવિધ રસી સલામત છે અને તેના ફાયદા જોખમો કરતાં ઘણાં વધારે છે. હા, અમુક કિસ્સામાં યુવાનોમાં હૃદયના સ્નાયુમાં બળતરા (મ્યોકાર્ડિટિસ) જેવી આડઅસરો જોવા મળી છે. પરંતુ એક અભ્યાસ મુજબ, કોવિડનો ચેપ લાગવાથી મ્યોકાર્ડિટિસ થવાની શક્યતા રસી લેવા કરતા 10 ગણી વધારે છે. એટલે કે, રસી ન લેવી એ વધુ જોખમી છે.
રસી બનાવવામાં ઉતાવળ કરાઈ હતી?
આ ઘટનાએ એક મહત્ત્વનો પ્રશ્ન ફરી ઉઠાવ્યો છે કે, શું રોગચાળા વખતે રસી બનાવવામાં ખૂબ ઉતાવળ કરાઈ હતી? ડૉ. સ્ટર્ઝે આ જ પ્રશ્ન ઉઠાવ્યો છે. પરંતુ આવો પ્રશ્ન પૂછવો અને '60,000 મૃત્યુ' જેવો ચોક્કસ આંકડો આપવો એ બે અલગ મુદ્દા છે. મોટા ભાગના નિષ્ણાતો માને છે કે ઉતાવળ થઈ હોય તો પણ રસીઓએ લાખો લોકોના જીવ બચાવ્યા છે, અને સ્ટર્ઝનો આંકડો એ માત્ર તેમની પોતાની ગણતરી છે, કોઈ સાબિત થયેલી હકીકત નથી.


