World

અલ નીનોને કારણે ભીષણ ગરમી પડશે, મે મહિનાથી દેખાશે અસર, WMOની ચેતવણી

By GS TEAM
25 Apr 20262 mins read
TukuTouch Logo
વિશ્વ હવામાન વિજ્ઞાન સંગઠન (WMO) એ એક ગંભીર ચેતવણી આપી છે કે, મે થી જુલાઈ મહિનાની વચ્ચે 'અલ નીનો'ની સ્થિતિ સક્રિય થઈ શકે છે. આ બદલાતી ભૌગોલિક સ્થિતિને કારણે ભારત સહિત સમગ્ર દક્ષિણ એશિયાના હવામાન પર વ્યાપક અસર પડવાની શક્યતા છે. પહેલા એવો અંદાજ હતો કે, આ સ્થિતિ ચોમાસાના બીજા હિસ્સા (ઓગસ્ટ-સપ્ટેમ્બર)માં બનશે, પરંતુ હવે તે વહેલું સક્રિય થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. અલ નીનોના કારણે ભીષણ ગરમી પડશે.

Summarized by AI; it may make mistakes. Check important info

અલ નીનોને કારણે ભીષણ ગરમી પડશે, મે મહિનાથી દેખાશે અસર, WMOની ચેતવણી

EL NINO 2026: વિશ્વ હવામાન વિજ્ઞાન સંગઠને(WMO) એક ગંભીર ચેતવણી આપી છે કે, મેથી જુલાઈ મહિનાની વચ્ચે 'અલ નીનો'ની સ્થિતિ સક્રિય થઈ શકે છે. આ બદલાતી ભૌગોલિક સ્થિતિને કારણે ભારત સહિત સમગ્ર દક્ષિણ એશિયાના હવામાન પર વ્યાપક અસર પડવાની શક્યતા છે. પહેલા એવો અંદાજ હતો કે, આ સ્થિતિ ચોમાસાના બીજા હિસ્સા(ઑગસ્ટ-સપ્ટેમ્બર)માં બનશે, પરંતુ હવે તે વહેલું સક્રિય થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. અલ નીનોના કારણે ભીષણ ગરમી પડશે. 

અલ નીનો શું છે?

અલ નીનો એ એક એવી જળવાયુ સ્થિતિ છે જે દર 2થી 7 વર્ષે સર્જાય છે અને સામાન્ય રીતે 9થી 12 મહિના સુધી પ્રભાવી રહે છે. આ કુદરતી ઘટનાને કારણે વિશ્વના વિવિધ ભાગોમાં તાપમાન અને વરસાદની પેટર્નમાં મોટો ઉલટફેર જોવા મળે છે અને સામાન્ય રીતે વૈશ્વિક તાપમાનમાં વધારો થાય છે, જે ગરમીના નવા રૅકોર્ડ સર્જી શકે છે. ભારત માટે આ સમાચાર ચિંતાજનક છે, કારણ કે ભારત હવામાન વિજ્ઞાન વિભાગે અગાઉથી જ આ વર્ષે દેશમાં સરેરાશ કરતાં ઓછો વરસાદ રહેવાનો અંદાજ વ્યક્ત કર્યો છે.  

WMOના જણાવ્યા પ્રમાણે વિષુવવૃત્તીય પ્રશાંત મહાસાગરમાં સમુદ્રની સપાટીનું તાપમાન ઝડપથી વધી રહ્યું છે, જેનાથી આગામી મહિને અલ નીનોની સ્થિતિ બનવાનો સંકેત મળી રહ્યો છે. 

દરેક જગ્યાએ ભીષણ ગરમી પડશે

WMO એ જણાવ્યું છે કે મે, જૂન અને જુલાઈ દરમિયાન જમીનનું તાપમાન સામાન્ય કરતાં વધારે રહેવાની શક્યતા છે. આનો અર્થ એ થયો કે લગભગ દરેક જગ્યાએ કાળઝાળ ગરમી પડી શકે છે. સંસ્થાનું માનવું છે કે આવી હવામાન આગાહી કૃષિ, પાણી વ્યવસ્થાપન, ઊર્જા અને આરોગ્ય જેવા ક્ષેત્રો માટે ખૂબ જરૂરી હોય છે, જેનાથી સમય રહેતા તૈયારી કરી શકાય. 

WMOના જળવાયુ આગાહીના પ્રમુખ વિલ્ફ્રાન મૌફૂમા ઓકિયાએ કહ્યું કે વર્ષની શરૂઆતમાં તટસ્થ પરિસ્થિતિઓ હતી, પરંતુ હવે બધા મોડેલો અલ નીનોની રચનાની પુષ્ટિ કરી રહ્યા છે અને આગામી મહિનાઓમાં તે વધુ મજબૂત થવાની સંભાવના છે.

હિમાલયમાં ઓછો બરફ, ચિંતા વધી

એક રિપોર્ટ પ્રમાણે હિન્દુ કુશ હિમાલય ક્ષેત્રમાં આ વર્ષે બરફના પ્રમાણમાં ધરખમ ઘટાડો નોંધાયો છે. આ વર્ષે હિમવર્ષાનું પ્રમાણ સામાન્ય કરતાં 27.8% ઓછું રહ્યું છે, જે છેલ્લા 20 વર્ષમાં સૌથી ઓછું છે. હિમાલયની પર્વતમાળાઓમાં બરફ ઓછો હોવાને કારણે અહીંથી નીકળતી નદીઓના જળસ્તર પર સીધી અસર પડી શકે છે અને લગભગ 2 અબજ લોકોની જળ સુરક્ષા સામે ગંભીર ખતરો પેદા થઈ શકે છે.

આ પણ વાંચો: કોણ કરી રહ્યું છે વિજ્ઞાનીઓનો શિકાર? અમેરિકા-ચીનના 20 એક્સપર્ટ ગાયબ કે મૃત, દુનિયામાં ફફડાટ

સામાન્ય રીતે અલ નીનો દરમિયાન ઓસ્ટ્રેલિયા, ઇન્ડોનેશિયા અને ભારતના કેટલાક ભાગોમાં વરસાદ ઓછો અથવા તો દુષ્કાળની સ્થિતિ બને છે. જ્યારે દક્ષિણ અમેરિકા, અમેરિકાના દક્ષિણ ભાગો, આફ્રિકાના કેટલાક ભાગો અને મધ્ય એશિયામાં વધુ વરસાદ જોવા મળે છે.