World

તૂર્કિયેમાં 6.1 તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ, 5 KMની ઊંડાઈએ હતું કેન્દ્ર; અનેક ઇમારતો ધ્વસ્ત, કાટમાળમાં ફેરવાઈ

By GS TEAM
28 Oct 20252 mins read
TukuTouch Logo
પશ્ચિમી તૂર્કિયેમાં સોમવારે 6.1 તીવ્રતાનો ભૂકંપ આવ્યો, જેના કારણે ઓછામાં ઓછી ત્રણ ઇમારતો ધરાશાયી થઈ ગઈ હોવાની માહિતી અધિકારીઓએ આપી હતી. અધિકારીઓએ એ પણ સ્પષ્ટ કર્યું કે પડી ગયેલી આ ઇમારતો અગાઉના ભૂકંપને લીધે પહેલેથી જ ક્ષતિગ્રસ્ત હતી. તેમજ આ ઘટનામાં તાત્કાલિક કોઈ જાનહાનિના સમાચાર નથી.

Summarized by AI; it may make mistakes. Check important info

તૂર્કિયેમાં 6.1 તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ, 5 KMની ઊંડાઈએ હતું કેન્દ્ર; અનેક ઇમારતો ધ્વસ્ત, કાટમાળમાં ફેરવાઈ

Earthquake in Turkey: પશ્ચિમી તૂર્કિયેમાં સોમવારે 6.1 તીવ્રતાનો ભૂકંપ આવ્યો, જેના કારણે ઓછામાં ઓછી ત્રણ ઇમારતો ધરાશાયી થઈ ગઈ હોવાની માહિતી અધિકારીઓએ આપી હતી. અધિકારીઓએ એ પણ સ્પષ્ટ કર્યું કે પડી ગયેલી આ ઇમારતો અગાઉના ભૂકંપને લીધે પહેલેથી જ ક્ષતિગ્રસ્ત હતી. તેમજ આ ઘટનામાં તાત્કાલિક કોઈ જાનહાનિના સમાચાર નથી.

સિંદિરગીમાં ભૂકંપનું કેન્દ્ર

AFAD (આપત્તિ અને કટોકટી વ્યવસ્થાપન એજન્સી) દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, આ 6.1 તીવ્રતાના ભૂકંપનું કેન્દ્ર બાલિકેસિર પ્રાંતના સિંદિરગી શહેરમાં જમીનથી 5.99 કિલોમીટરની ઊંડાઈએ હતું, જે સ્થાનિક સમય અનુસાર રાત્રે 10 વાગ્યેને 48 મિનિટે આવ્યો હતો. આ ભૂકંપના મુખ્ય આંચકા પછી અનેક આંચકા (આફ્ટરશોક્સ) પણ આવ્યા હતા, જે માત્ર ઇસ્તંબુલ જ નહીં, પરંતુ તેની આસપાસના બુર્સા, મનીસા અને ઇઝમિર જેવા પ્રાંતોમાં પણ અનુભવાયા હતા.

નુકસાનની વિગતો

ગૃહ મંત્રી અલી યેરલિકાયાએ માહિતી આપી હતી કે સિંદિરગીમાં ઓછામાં ઓછી ત્રણ ખાલી ઇમારતો અને બે માળની એક દુકાન ધરાશાયી થઈ છે. તેમણે જણાવ્યું કે આ ઇમારતો પણ અગાઉ આવેલા ભૂકંપમાં ક્ષતિગ્રસ્ત થઈ ચૂકી હતી. સરકારી અનાદોલુ એજન્સીને સિંદિરગીના જિલ્લા પ્રશાસક ડોગુકોન કોયુનકુએ જણાવ્યું કે, 'હાલમાં કોઈના મૃત્યુની જાણકારી મળી નથી, પરંતુ અમારું આકલન કાર્ય હજી પણ ચાલુ છે.'

આ પણ વાંચો: ભારત સાથે સંબંધો ખરાબ કરી મોટી ભૂલ કરી રહ્યા છે ટ્રમ્પ! અમેરિકાની પૂર્વ મંત્રીની ચેતવણી

ભૂતકાળના ભૂકંપ

સિંદિરગીમાં ઓગસ્ટ મહિનામાં પણ 6.1 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેના પરિણામે એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું અને ડઝનબંધ લોકો ઘાયલ થયા હતા. ત્યારથી, બાલિકેસિરની આસપાસના વિસ્તારમાં ઓછી તીવ્રતાવાળા આંચકા નિયમિતપણે આવતા રહ્યા છે.

તૂર્કિયેની વાત કરીએ તો, 2023માં આવેલા 7.8 તીવ્રતાના વિનાશક ભૂકંપે 53,000થી વધુ લોકોનો ભોગ લીધો હતો. આ ભૂકંપના કારણે 11 દક્ષિણી અને દક્ષિણ-પૂર્વીય પ્રાંતોમાં લાખો ઇમારતોનો નાશ થયો હતો અથવા તે ક્ષતિગ્રસ્ત થઈ હતી. આ ઉપરાંત, પડોશી દેશ સીરિયાના ઉત્તરીય ભાગોમાં પણ 6,000 લોકો માર્યા ગયા હતા.