Explainer: કોર્ટે ટ્રમ્પના કયા ટેરિફ પર રોક લગાવી, ભારત પર શું અસર થશે? જાણો વિગતવાર
Donald Trump Tariff Blocked By Court: અમેરિકા રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની આર્થિક નીતિઓને યુએસ ટ્રેડ કોર્ટે મોટો ઝટકો આપ્યો છે. કોર્ટે ટ્રમ્પની વ્યાપક ટેરિફ નીતિને ગેરકાયદે ગણાવી રોક મૂકી છે. તેમજ ટ્રમ્પે ઈન્ટરનેશનલ ઈમરજન્સી પાવર્સ એક્ટનો દુરૂપયોગ કરતાં બંધારણનું ઉલ્લંઘન કર્યુ હોવાનું કહી ઝાટકણી કાઢી હતી.
ટ્રમ્પે લિબરેશન ડે પર લાદ્યો હતો ટેરિફ
ટ્રમ્પે 2 એપ્રિલના રોજ લિબરેશન ડેના રોજ વિવિધ દેશો પર રેસિપ્રોકલ ટેરિફની જાહેરાત કરી હતી. જેમાં ચીન, કેનેડા, અને મેક્સિકો સિવાય અન્ય દેશો પર લાગુ ટેરિફ પર 90 દિવસની રાહત આપી હતી. પરંતુ 10 ટકાનો બેઝ ટેરિફ લાગુ રાખ્યો હતો. ટ્રમ્પે અમેરિકા સાથે દાયકાઓથી દ્વિપક્ષીય વેપાર મુદ્દે અન્યાય થઈ રહ્યો હોવાનું જણાવી વિવિધ દેશો પર રેસિપ્રોકલ ટેરિફ લાદ્યો હતો. જેના પર કોર્ટે રોક મૂકી છે.
સ્ટીલ-એલ્યુમિનિયમ અને ઓટો પર ટેરિફ જારી
કોર્ટે સ્ટીલ, એલ્યુમિનિયમ અને ઓટો પર લાગુ ટેરિફ પર કોઈ પ્રકારનો સ્ટે મૂક્યો નથી. ટ્રમ્પ સરકારે સ્ટીલ પર 25 ટકા અને એલ્યુમિનિયમ પર 25 ટકા ટેરિફ લાદ્યો છે. ઓટોમોબાઈલ પર પણ 25 ટકા ટેરિફ લાદ્યો છે. આ ત્રણેય ટેરિફ અમેરિકા સાથે વેપાર કરનારા તમામ દેશ પર લાગુ છે.
હવે રેસિપ્રોકલ ટેરિફનું શુ થશે?
ટ્રમ્પે અમેરિકાની વેપાર ખાધમાં ઘટાડો કરવા રેસિપ્રોકલ ટેરિફ લાગુ કર્યો હતો.જો કે, કોર્ટે તેના પર રોક મૂકી દીધી છે. અમેરિકાના બંધારણમાં ટેરિફ મુદ્દે નિર્ણય લેવાની સત્તા કોંગ્રેસ અર્થાત (સંસદ)ની છે. તમામ સાંસદની સહમતિ સાથે આ મુદ્દે નિર્ણય લેવામાં આવશે. ટ્રમ્પે ઈમરજન્સી પાવરનો ઉપયોગ કરી ટેરિફ લાદ્યો હતો. જે તેમના અધિકાર ક્ષેત્રની બહાર હતો.
આ પણ વાંચોઃ ટ્રમ્પને ઝટકો, 'લિબરેશન ડે' ટેરિફ પર અમેરિકન કોર્ટે સ્ટે મૂકીને બંધારણ વિરુદ્ધ ગણાવ્યો
કોર્ટના ચુકાદાને પડકાર્યો
ટ્રમ્પ સરકારે કોર્ટના આ ચુકાદાને પડકાર્યો છે. ટેરિફ મુદ્દે સરકારે તર્ક આપ્યો હતો કે, 1970માં રાષ્ટ્રપ્રમુખ રિચર્ડ નિક્સને પણ પોતાના ઈમરજન્સી પાવરનો ઉપયોગ કરી ટેરિફ લાદ્યો હતો. ટ્રમ્પ સરકાર આ ચુકાદાને ફેડરલ કોર્ટમાં પડકારી રહી છે. જો ફેડરલ કોર્ટે પણ તેની વિરૂદ્ધમાં નિર્દેશ આપ્યો તો તે સુપ્રીમ કોર્ટ જઈ શકે છે.
ભારત પર શું થશે અસર?
ટ્રમ્પના રેસિપ્રોકલ ટેરિફથી તેનો મિત્ર દેશ ભારત પણ બાકાત નથી. ભારત પર તેણે 26 ટકા ટેરિફ લાદ્યો છે. જો કે, તેના અમલમાં 90 દિવસની રાહત આપી છે. આ સિવાય 10 ટકાનો બેઝ ટેરિફ તો લાગુ છે. ભારત અને અમેરિકા વચ્ચે ટેરિફ મુદ્દે વેપાર મંત્રણા થઈ રહી છે. બંને દેશો પોતાના દ્વિપક્ષીય વેપાર સંબંધોને ગાઢ બનાવવા તેમજ ટેરિફનો બોજો દૂર કરવા ચર્ચાવિચારણા કરી રહ્યા છે. જો કે, કોર્ટના આ નિર્ણયથી બંને દેશોના સમાધાનકારી વલણ પર અસર થઈ શકે છે. ભારત પોતાની અમુક રાહતોને દૂર કરી શકે છે.