ટ્રમ્પે ફરી ભારત-પાકિસ્તાન યુદ્ધ અટકાવ્યાનો રાગ આલાપ્યો, કહ્યું- 'પાક.ના વડાપ્રધાને મને ફોન કર્યો હતો'
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Donald Trump India-Pakistan War Claim 2026 : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી ભારત-પાકિસ્તાન યુદ્ધ અટકાવ્યાનો રાગ આલાપ્યો છે. ટ્રમ્પે પહેલા પણ કહ્યું હતું કે તેઓએ બંને દેશ વચ્ચે સંભવિત યુદ્ધ ટાળવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. હવે 'બોર્ડ ઓફ પીસ'ના કાર્યક્રમમાં ટ્રમ્પે પોતાના પાયાવિહોણા દાવાને પુનરાવર્તિત કર્યા છે. તેમણે કહ્યું કે, તે સમયે પરિસ્થિતિ અત્યંત ગંભીર હતી, અને તેમના હસ્તક્ષેપથી મોટો સંઘર્ષ ટળી ગયો હતો. ટ્રમ્પના મતે, તેમનો હસ્તક્ષેપ ન હોત તો વ્યાપક યુદ્ધ ફાટી નીકળ્યું હોત.
ટ્રમ્પે ફરી ભારત-પાકિસ્તાન યુદ્ધ અટકાવ્યાનો રાગ આલાપ્યો
ટ્રમ્પે દાવો કર્યો હતો કે, તેમની વાતચીત અને કડક આર્થિક ચેતવણીના કારણે સંઘર્ષ બંધ થયો હતો અને લગભગ 25 મિલિયન લોકોના જીવ બચાવી શકાયા હતા. કાર્યક્રમ દરમિયાન ટ્રમ્પે જણાવ્યું હતું કે, પાકિસ્તાનના વડાપ્રધાને અમારા ચીફ ઓફ સ્ટાફને કહ્યું હતું કે રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ અટકાવીને લાખો લોકોના જીવ બચાવ્યા હતા. ટ્રમ્પના મતે, તે સમયે પરિસ્થિતિ ખૂબ જ ગંભીર હતી, ફાઇટર વિમાનોને તોડી પાડવામાં આવી રહ્યા હતા અને પરિસ્થિતિ ઝડપથી યુદ્ધ તરફ આગળ વધી રહી હતી. તે સંઘર્ષ દરમિયાન 11 મોંઘા જેટ વિમાનોને તોડી પાડવામાં આવ્યા હતા.
ટ્રમ્પે શું-શું કહ્યું?
ટ્રમ્પે કહ્યું કે, "મે ભારત અને પાકિસ્તાન બંને દેશના નેતાઓ સાથે વાત કરી હતી. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સારી રીતે જાણતા હતા અને સીધે તેમની સાથે વાતચીત કરી હતી." ટ્રમ્પ અનુસાર, તેઓએ બંને દેશોને સ્પષ્ટ કહ્યું હતું કે, જો બંને દેશ સંઘર્ષ નહીં રોકે તો અમેરિકા તેમની સાથે કોઈ વ્યાપાર કરાર નહીં રાખે.
ટ્રમ્પે એ પણ દાવો કર્યો કે, બંને દેશોને 200 ટકા ટેરિફ લગાવવાની ચેતવણી આપી હતી. ટ્રમ્પે કહ્યું કે, "જ્યારે આર્થિક નુકસાન અને વ્યાપાર પર અસરની વાત આવી તો બંને દેશોએ પાછળ હટવાનો નિર્ણય કર્યો હતો." ટ્રમ્પના શબ્દો મુજબ, "જ્યારે વાત પૈસાની આવે છે તો બંને દેશોએ કહ્યું કે, શાયદ અમે લડવા નથી માંગતા. "
ટ્રમ્પે પોતાના સંબોધનમાં ભારત-પાકિસ્તાનનો આભાર માન્યો
ટ્રમ્પે કહ્યું કે, "ભારત-પાકિસ્તાનનો મામલો ખૂબ જ મહત્ત્વપૂર્ણ મુદ્દો અને નિર્ણાયક પરિસ્થિતિ છે. પીએમ મોદી સાથે વાત કરી છે અને પીએમ મોદી ખૂબ જ ઉત્સાહિત છે અને આ કાર્યક્રમ જોઈ રહ્યા છે." ટ્રમ્પે પોતાના સંબોધનમાં ભારત અને પાકિસ્તાનનું નામ લઈને આભાર માન્યો.
આ પણ વાંચો: ભારત-અમેરિકાના તણાવથી સાઉદી અરેબિયાને થયો મોટો ફાયદો, તેલના ખેલમાં રશિયાને ઝટકો
ઉલ્લેખનીય છે કે, આ પહેલી વખત નથી જ્યારે અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે ભારત અને પાકિસ્તાનના તણાવને રોકવાનો દાવો કર્યો હોય. જોકે, ભારતે હંમેશા ટ્રમ્પના દાવાને નકાર્યો છે. આ મામલે વિદેશ મંત્રાલયએ સ્પષ્ટ કહ્યું છે કે, કોઈ ત્રીજા પક્ષે હસ્તક્ષેપ તણાવ રોકવામાં આવ્યો નથી અને આ નિર્ણય બંને પાડોશી દેશોના ડીજીએમઓ સ્તર પર કરવામાં આવ્યો હતો.









