World

યમનમાં ભારતીય મહિલાની ફાંસીની સજા ટળી, બિઝનેસ પાર્ટનરની હત્યા કરવાનો છે આરોપ

By GS TEAM
15 Jul 20252 mins read
TukuTouch Logo
યમનમાં ભારતીય નર્સ નિમિષા પ્રિયાની ફાંસીની સજા મુલતવી રાખવામાં આવી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ભારતીય મહિલાની ફાંસીની સજા ટાળવામાં આવી છે. યમનમાં 16 જુલાઈએ તેને ફાંસી આપવાની હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

યમનમાં ભારતીય મહિલાની ફાંસીની સજા ટળી, બિઝનેસ પાર્ટનરની હત્યા કરવાનો છે આરોપ

Nimisha Priya: યમનમાં ભારતીય નર્સ નિમિષા પ્રિયાની ફાંસીની સજા મુલતવી રાખવામાં આવી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ભારતીય મહિલાની ફાંસીની સજા ટાળવામાં આવી છે. યમનમાં 16 જુલાઈએ તેને ફાંસી આપવાની હતી. ભારત સરકાર કેસની શરૂઆતથી જ નિમિષાના પરિવારને શક્ય તમામ સહાય પૂરી પાડી રહી છે. તાજેતરના સમયમાં, સરકારે નિમિષા પ્રિયાના પરિવારને બીજા પક્ષ સાથે વાટાઘાટો કરીને સર્વસંમતિપૂર્ણ ઉકેલ સુધી પહોંચવા માટે વધુ સમય આપવા માટે સતત પ્રયાસો કર્યા છે. ભારતીય અધિકારીઓ યમનની સના જેલના અધિકારીઓ અને યમનના સ્થાનિક અધિકારીઓ સાથે સંપર્કમાં છે. સરકારના પ્રયાસોને કારણે જ નિમિષાની સજા મુલતવી રાખવાનું શક્ય બન્યું છે.

શું છે આખો મામલો?

કેરળની નર્સ નિમિષા પ્રિયાને આજે યમનમાં ફાંસી આપવાની હતી. તેના પર યમનના નાગરિકની હત્યાનો આરોપ છે. નિમિષા પ્રિયાનો જન્મ કેરળના પલક્કડ જિલ્લામાં શ્રમિક પરિવારમાં થયો હતો. નર્સિંગનો અભ્યાસ કર્યા બાદ તે વર્ષ 2008માં યમન ગઈ હતી. અહીં તે અલગ-અલગ હોસ્પિટલમાં નર્સ તરીકે કામ કરતી હતી.

વર્ષ 2011 માં, તે ભારત પાછી ફરી અને કેરળના ઇડુક્કી શહેરના રહેવાસી ટોમી થોમસ નામના વ્યક્તિ સાથે લગ્ન કર્યા. થોડા સમય પછી બંને પતિ-પત્ની પાછા યમન ગયા અને યમનની રાજધાની સનામાં રહેવા લાગ્યા. ત્યાં તેણે એક દીકરીને જન્મ આપ્યો. 

વર્ષ 2015 માં, તેમની ઓછી આવકથી કંટાળીને, નિમિષા અને ટોમીએ પોતાનું ક્લિનિક ખોલવાનું નક્કી કર્યું. યમનમાં વિદેશીઓને બિઝનેસ કરવાની મંજૂરી ન હોવાથી નિમિષાએ યમનના તેના સાથીદાર તલાલ અબ્દો મહેદી નામના વ્યક્તિ સાથે બિઝનેસ શરૂ કર્યો હતો. સ્થાનિક લોકો ક્લિનિકમાં આવવા લાગ્યા. આ રીતે તેમનું ક્લિનિક શરૂ થયું.

તલાલે નિમિષા સાથે વિશ્વાસઘાત કર્યો અને ક્લિનિકની માલિકી હડપવા નિમિષાનો પાસપોર્ટ પણ લઇ લીધો, સાથે જ તેનું શોષણ કરવા લાગ્યો. નિમિષાએ યમનના આ નાગરિક તલાલથી પીછો છોડાવવા પોલીસની મદદ લીધી પરંતુ પોલીસે નિમિષાની ધરપકડ કરી છ દિવસ જેલમાં રાખી, નિમિષા પર પ્રશાસન અને તલાલનો અત્યાચાર વધતો ગયો. તેનાથી છૂટકારો મેળવવા અને પાસપોર્ટ પરત લેવા માટે નિમિષાએ તલાલને કાબુમાં કરવા કેટલાક ઈન્જેક્શન આપ્યા હતા, પ્રથમ વખત તલાલને કઈ ના થયું જોકે બીજા વખતના ઈન્જેક્શનમાં તેનું મોત નિપજ્યું હોવાનો નિમિષા પર આરોપ હતો. 

જેથી વર્ષ 2017માં નિમિષા પ્રિયાની તેના બિઝનેસ પાર્ટનર તલાલ અબ્દો મહેદીની હત્યા કરીને ભાગી જવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. આ પછી યમનની કોર્ટમાં તેની સામે હત્યાનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો.