સના,૮ જુલાઇ,૨૦૨૫,બુધવાર
વર્ષોથી ગૃહયુધ્ધનો સામનો કરી રહેલા હુતીઓના દેશ યમનમાં ભારતની નર્સ નિમિષા પ્રિયાને ૧૬ જુલાઇના રોજ મુત્યુદંડ આપવામાં આવશે. નિમિષાને યમન નાગરિક તલાલ મહેદીની હત્યામાં કસૂરવાર ઠરાવવામાં આવી છે.આ ભારતીય મહિલાને મુત્યુદંડની સજામાંથી બચાવવાના પ્રયત્નો લગભગ નિષ્ફળ ગયા છે. યમન દેશના મોટા ભાગ પર હુથી વિદ્રોહીઓનું નિયંત્રણ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર નિમિષા વર્ષ ૨૦૧૧માં કેરલના પલક્કડથી યમનની રાજધાની સનામાં આવી હતી. તેણીએ ઘણી હોસ્પિટલોમાં કામ કર્યું અને અંતે પોતાનું ક્લિનિક ખોલ્યું. પોતાના પરિવાર સાથે રહેતી હતી પરંતુ ૨૦૧૪માં તેનો પતિ અને પુત્રી ભારત પાછા ફર્યા હતા. 2014 માં તે તલાલ અબ્દો મહેદીના સંપર્કમાં આવી. યમનના નિયમો અનુસાર, ત્યાં વ્યવસાય શરૂ કરવા માટે સ્થાનિક લોકો સાથે ભાગીદારી કરવી ફરજિયાત છે. આ જ કારણ છે કે નિમિષા અને તલાલ અબ્દો મહદી સંપર્કમાં આવ્યા હતા. આના થોડા સમય પછી, ભારતીય નર્સ નિમિષા અને તલાલ અબ્દો મહદી વચ્ચે કોઈ વાતને લઈને ઝઘડો થયો હતો.
આ પછી, નિમિષાએ તેની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે તલાલની ધરપકડ કરવામાં આવી હતી. જોકે, તલાલને બાદમાં જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો અને તેણે કથિત રીતે તેણીને ધમકી આપવાનું ચાલુ રાખ્યું હતું. તલાલે નિમિષાનો પાસપોર્ટ જપ્ત કરી લીધો હતો. ત્યારબાદ નિમિષાના પરિવારે દાવો કર્યો હતો કે તેણીએ કથિત રીતે તલાલ મહદીને તેનો જપ્ત પાસપોર્ટ પાછો મેળવવા માટે એનેસ્થેટિકનું ઇન્જેક્શન આપ્યું હતું. જોકે, દવાના ઓવરડોઝને કારણે તલાલનું મૃત્યુ થયું હતું. નિમિષા અને તેના સાથી, અન્ય એક યમનના નાગરિક હનાને, કથિત રીતે તલાલના શરીરને ટુકડા કરી નાખ્યું હતું અને તેને પાણીની ટાંકીમાં ફેંકી દીધું હતું.

દેશ છોડીને ભાગી જવાનો પ્રયાસ કરતી વખતે 2016માં નિમિષાની ધરપકડ કરવામાં આવી હતી. નિમિષાને 2018 માં દોષિત ઠેરવવામાં આવી હતી.આ ભારતીય મહિલાને યમનમાં કટ્ટરપંથી હુથીઓનું શાસન ભારતીય મહિલાને આરોપીને પીંજરામાં પુરીને મુત્યુદંડ દેવા આતૂર જણાય છે.
ગુનેગારના શરીર પર નિશાન ફિઝિશિયન તબીબ દ્વારા કરવામાં આવે છે
યમનના કાનુન મુજબ મુત્યુદંડ માટે પથ્થર મારવા,જાહેરમાં ફાંસીના માચડે લટકાવા અને ડોકુ ઉડાડી (સિર કલમ) દેવાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત રાયફલથી ઉડાવી દેવાની રીતે પણ ભયંકર અમાનવીય છે. ગુનેગારને જમીન,ગાલીચા કે કંબલ પર સુવાડી દેવામાં આવે છે ત્યાર પછી જલ્લાદ દ્વારા ઓટામેટિક રાઇફલ પીઠ પાછળ ધડાધડ છોડવામાં આવે છે. પીઠ પાછળ એક ખાસ નિશાન કરીને અનેક રાઉન્ડ ફાયર કરીને મુત્યુદંડ આપવામાં આવે છે. ગુનેગારના શરીર પર નિશાન ફિઝિશિયન તબીબ દ્વારા કરવામાં આવે છે. તબીબ હ્વદયનો ભાગ કયાં આવેલો છે તે માર્ક કરે છે.
શરિયા કાનૂન હેઠળ ઇસ્લામી કે હુદૂદ જેવા અપરાધો જેમ કે વ્યાભિચાર, યૌન અપરાધ, અપ્રાકૃતિક યૌનાચાર, વેશ્યાવૃતિ, ઇશનિંદા અને ધર્મત્યાગ જેવા કિસ્સામાં પણ મોતની સજા થઇ શકે છે. આ ઉપરાંત અપહરણ, હિંસક લૂંટ,માદક પદાર્થોની તસ્કરી, ડાકુગીરીમાં મોતની સજાની જોગવાઇ છે. કેટલાક કિસ્સાઓમાં સૈન્ય અપરાધ, કાયરતા, ખોટી ગવાહી, જાસુસી અને રાજદ્વોહમાં પણ ફાંસી અપાય છે. મે ૨૦૨૪માં હુતિઓના નેતૃત્વવાળી અદાલતે સાઉદી અરબ ગઠબંધની સાથે સહયોગ કરીને વિવિધ આરોપોમાં ૪૪ લોકોને મોતની સજા આપી હતી. દુનિયા ભરના માનવાધિકાર સંગઠન મુત્યુદંડની અત્યંત કૃર સજા અંગે યમનની અનેક વાર નિંદા કરતા રહે છે.


