અમદાવાદમાં પ્લેન ક્રેશ બાદ હવે થાઈલેન્ડમાં એર ઈન્ડિયાની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ, જાણો મામલો
Representative Image |
Air India Flight Emergency Landing in Thailand: અમદાવાદમાં એર ઈન્ડિયાની ફ્લાઈટ ક્રેશ થયા બાદ આજે થાઈલેન્ડમાં એર ઈન્ડિયાની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું છે. ફ્લાઈટમાં બોમ્બ હોવાની ધમકી મળતાં આજે શુક્રવારે ફૂકેટ એરપોર્ટ પર એર ઈન્ડિયાની ફ્લાઈટ તાત્કાલિક ધોરણે લેન્ડ થઈ હતી.
ફૂકેટ એરપોર્ટના અધિકારીઓએ જણાવ્યા પ્રમાણે, એર ઈન્ડિયાની ફૂકેટથી દિલ્હી જઈ રહેલી AI 379 ફ્લાઈટમાં બોમ્બની ધમકી મળતાં તેનું ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું છે. આ પ્લેનમાં 156 મુસાફરો સવાર હતા. તમામને સુરક્ષિત નીચે ઉતારવામાં આવ્યા છે.
ફ્લાઈટ ટ્રેકર ફ્લાઈટટ્રેડર24 અનુસાર, આ ફ્લાઈટ ફૂકેટ એરપોર્ટથી દિલ્હી આવવા રવાના થઈ હતી. પરંતુ અચાનક અંદામાન દરિયાથી પરત ફરી થાઈ આઈલેન્ડ ફૂકેટ એરપોર્ટ પર પરત ફરી હતી. એરપોર્ટ્સ ઓફ થાઈલેન્ડ (AOT)ના સત્તાધીશોએ જણાવ્યું કે, વિમાનની ઉડાન બાદ ફ્લાઈટમાં બોમ્બ હોવાની ધમકી મળી હતી. જેથી સુરક્ષાના માપદંડોને ધ્યાનમાં લેતાં પ્લેનનું પાછું ફુકેટ એરપોર્ટ પર લેન્ડિંગ કરાવ્યું હતું. ઉલ્લેખનીય છે, AOTએ બોમ્બની ધમકી વિશે વધુ માહિતી આપી નથી.
અમદાવાદમાં એર ઈન્ડિયા પ્લેન ક્રેશ
અમદાવાદમાં ગઈકાલે એર ઈન્ડિયાનું પ્લેન ક્રેશ થયુ હતું. અમદાવાદથી લંડન જતી ફ્લાઈટ ટૅકઑફ થતાં જ વૃક્ષ અને બિલ્ડિંગ સાથે ધડકાભેર અથડાઈ હતી. જેમાં સવાર 229 મુસાફરો, બે પાયલોટ અને 10 ક્રૂ સભ્યોના નિધન થયા હતાં. માત્ર એક જ મુસાફર જીવ બચાવવામાં સફળ રહ્યો હતો. આ વિમાન બોઈંગ 787 ડ્રીમલાઈનર મૉડલ હતું. આ 11 વર્ષ જૂનું વિમાન અગાઉ એક મહિના પહેલાં પણ ટેક્નિકલ ખામીના કારણે ઉડાન ભરી શક્યુ ન હોવાના અહેવાલો મળ્યા છે.