વોશિંગ્ટન,૨૩ ઓકટોબર,૨૦૨૧,શનિવાર
પ્રદૂષણ અને જળવાયુ પરીવર્તન જેવા મુદ્વા સૌનું ધ્યાન કેન્દ્રીત થયું છે પરંતુ પૃથ્વી પર વધતો જતો ક્ષારીય જમીન વિસ્તાર રાક્ષસી સમસ્યા બની ગયો છે. પૃથ્વી પર ૭૭ થી ૮૦ ટકા વિસ્તારમાં મહાસાગરો છે. બાકી વધતા ભૂમિ વિસ્તારમાં ૮ અબજથી વધુ માનવવસ્તી નભે છે. ખેતી હજુ પણ સદીઓ પુરાણો સૌથી જુનો વ્યવસાય છે. ઔધોગિક દેશોનું અર્થતંત્ર પર ચોમાસા આધારિત વરસાદ અને ખેતીમાં પાકતા પાકો નકકી કરે છે આવા સંજોગોમાં વધતી જતી ક્ષારીય જમીન ચિંતાનો વિષય છે. એક માહિતી મુજબ દુનિયામાં ૮૩.૩ કરોડ હેકટર જમીન ક્ષારથી પ્રભાવિત છે. વધુ ક્ષારવાળી બંજર જમીનમાં ખેતીના પાકો થઇ શકતા નથી, દુનિયામાં ૮.૭ ટકા જમીન ક્ષાર પ્રસરી ગયો છે

એટલું જ નહી છેલ્લા કેટલાક વર્ષોથી ક્ષાર ખેતીલાયક ફળદ્વુપ જમીનને ભરડામાં લઇ રહયો છે, ભુગર્ભ જળની પાણીની ગુણવત્તા અને જૈવિક વિવધતા ઘટતી જાય છે. આફ્રિકા, એશિયા અને દક્ષિણ અમેરિકા વિસ્તારમાં કુદરતી રીતે પણ શુષ્ક અને અર્ધ શુષ્ક વિસ્તારમાં ક્ષાર વધી રહયો છે. આ માહિતી ફુડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન (એફએઓ) દ્વારા પ્રકાશિત કરવામાં આવી છે. મહાદ્વીપોમાં આસપાસ ૨૦ થી ૫૦ ટકા જમીન એટલી ખારી થઇ ગઇ છે કે હવે ઉત્પાદકતા જ રહી નથી. ક્ષારીય જમીનોની આસપાસ દુનિયાની કુલ વસ્તીમાંથી ૧૫૦ કરોડ લોકો નભે છે તેમની સામે હવે પડકારો વધતા જાય છે. વિશ્વમાં ભૂખમરો મટાડવા માટે અનાજનું ઉત્પાદન અને ઉત્પાદકતા વધારવા માટે પ્રયાસો થઇ રહયા છે તેની સામે ક્ષાર સૌથી મોટો અવરોધ છે. એફએઓના જણાવ્યા અનુસાર જમીન પાકૃતિક રીતે ક્ષારીય હોય છે પરંતુ માનવ હસ્તક્ષેપના કારણે સમસ્યા વકરી છે.

જમીન સુધારણા માટે યોગ્ય વ્યવસ્થાપન કરવામાં આવતું નથી. રાસાયણિક ખાતરો અને દવાઓનો વધારે પડતો ઉપયોગ, ઘટતો જતો વન વિસ્તાર અને દરિયામાં વધતા જતા જળસ્તરથી ક્ષાર સારી જમીન બગાડવા લાગી છે. એક સ્ટડી મુજબ વર્તમાન સદીના અંત સુધીમાં ક્ષારીય જમીન વિસ્તાર ૨૩ ટકા જેટલો થશે. બંજર જમીનની વધતી જશે પરંતુ એક ઇંચ પણ જમીન પૃથ્વી પર વધવાની નથી આવા સંજોગોમાં અબજોની સંખ્યામાં રહેતા માનવો અને સજીવ જીવોને ખોરાક માટે વલખા મારવા પડશે.જમીન અને પાણીમાં ક્ષાર માટે જવાબદાર ગણાતા સોડિયમનું પ્રમાણ વધતું જાય છે.આથી ક્ષારીય જમીનની સુધારણા માટે વર્ષો સુધી પ્રયત્ન કરવા પડશે. ક્ષારની સમસ્યા ધરાવતા દેશોએ ક્ષાર દૂર કરવા અબજો રુપિયાના બજેટ ફાળવવા પડશે. પૃથ્વી પરની ઇકો સિસ્ટમ જળવાઇ રહે અને ટકાઉ વિકાસ થાય તે માટે પણ ક્ષાર પર અંકૂશ મેળવવો જરુરી છે.


