ન્યાયિક એક્ટિવિઝમ જરૂરી પણ તે ન્યાયિક આતંક ન બનવું જોઈએ, સત્તા ન હોય તેવા મામલે કોર્ટ દખલ ના કરે : CJI
Supreme Court CJI news : ભારતના મુખ્ય ન્યાયાધીશ બીઆર ગવઇએ કહ્યું હતું કે દેશમાં ન્યાયિક એક્ટિવિઝમની ભૂમિકા જળવાઇ રહેશે પરંતુ તેને એટલુ પણ મહત્વ ના આપવું જોઇએ કે તે ન્યાયિક આતંકવાદનું સ્વરૂપ લઇ લે. અગાઉ સુપ્રીમ કોર્ટે જાતિગત અનામતમાં પેટા અનામતની જાહેરાત જાહેર કરવાની રાજ્યોને છૂટ આપી હતી, આ નિર્ણયને મુખ્ય ન્યાયાધીશ ગવઇએ યોગ્ય ઠેરવ્યો હતો. તેમણે કહ્યું હતું કે આ પેટા અનામત એ વર્ગો માટે ન્યાય સમાન છે કે જેઓ અત્યાર સુધી વંચિત રહી ગયા છે. સાથે જ મુખ્ય ન્યાયાધીશે સ્પષ્ટતા કરી હતી કે જે મામલાઓમાં સત્તા ના હોય ત્યાં કોર્ટોએ દખલ ના દેવી જોઇએ.
લંડનમાં ઓક્સફોર્ડ યૂનિયનના એક કાર્યક્રમને સંબોધતા જસ્ટિસ ગવઇએ કહ્યું હતું કે અનુસૂચિત જાતિ વર્ગમાં ઉપવર્ગીકરણ અનામત પર કોઇ પણ પ્રકારનો સવાલ નથી, સુપ્રીમ કોર્ટનો આ નિર્ણય એ સુનિશ્ચિત કરે છે કે એ વર્ગને ન્યાય મળે કે જે અનામતના લાભથી વંચિત રહી ગયો છે. ભારતનું બંધારણ એક સામાજિક દસ્તાવેજ છે, તે હંમેશા ન્યાયની વાત કરે છે, ગરીબી, જાતિગત ભેદભાવ, અન્યાયથી મોઢુ નથી ફેરવી લેતું. આપણુ બંધારણ તમામ ભેદભાવ દૂર કરવાની વાત કરે છે. તમામ લોકોની માન મર્યાદાનું રક્ષણ પણ કરે છે.
દલિત સમાજમાંથી આવતા દેશના બીજા મુખ્ય ન્યાયાધીશ ગવઇએ કહ્યું હતું કે ભારતનું બંધારણ તમામ લોકો સમાન છે તેવો માત્ર દેખાડો નથી કરતું પરંતુ સમાનતા માટે પગલા પણ ઉઠાવે છે. ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં સંબોધન દરમિયાન સીજેઆઇ ગવઇએ કહ્યું હતું કે દસકાઓ પહેલા ભારતના લાખો લોકોને અછૂત કહેવામાં આવતા હતા, તેમને એવું કહેવામાં આવતુ કે તેઓ અપવિત્ર છે અને પોતાના હક અધિકારો માટે ના બોલી શકે, પરંતુ આજે ભારતે એટલી સિદ્ધી મેળવી છે કે જે સમાજના લોકોને અછૂત માનવામાં આવતા હતા તે જ સમાજની એક વ્યક્તિ દેશની સર્વોચ્ચ ન્યાયપાલિકામાં સર્વોચ્ચ પદ પર રહીને ખુલીને બોલી શકે છે, જે ભારતનાં બંધારણને કારણે શક્ય બન્યું છે. ભારતનું બંધારણ નાગરિકોને કહે છે કે તેઓ પોતાના માટે બોલી શકે છે, સમાજ અને સત્તાના દરેક ક્ષેત્રમાં તેમનું સમાન સ્થાન છે. બંધારણ માત્ર એક કાયદાકીય ચાર્ટર કે રાજકીય ઢાંચો નથી, બંધારણ એક ભાવના છે, જીવનરેખા છે, શાહીથી અંકિત કરાયેલી એક મૌન ક્રાંતિ છે.
ભારતમાં ન્યાયિક એક્ટિવિઝમ પર એક સવાલના જવાબમાં સીજેઆઇ ગવઇએ કહ્યું હતું કે જ્યૂડિશિયલ એક્ટિવિઝમ રહેવું જોઇએ પરંતુ તેણે જ્યૂડિશિયલ ટેરેરિઝમનું સ્થાન ના લઇ લેવું જોઇએ, ન્યાયના ક્ષેત્રએ કેટલાક ક્ષેત્રોમાં ના પ્રવેશવું જોઇએ. જ્યારે સરકાર નાગરિકોના અધિકારોનું રક્ષણ કરવામાં નિષ્ફળ રહે છે ત્યારે ન્યાય પાલિકા દખલ દે છે. જ્યારે બંધારણના મૂળ ઢાંચાનો ભંગ થતો હોય ત્યારે ન્યાય પાલિકા દખલ દે છે, જોકે આ સત્તાનો ઉપયોગ રેર મામલામાં જ થવો જોઇએ. જ્યાં ન્યાય પાલિકાને દખલ દેવાની સત્તા જ નથી ત્યાં ન્યાય પાલિકાએ દખલ ના દેવી જોઇએ.
સીજેઆઇ ગવઇનું આ નિવેદન એવા સમયે સામે આવ્યું છે જ્યારે સુપ્રીમ કોર્ટના અગાઉના એક ચુકાદાથી રાજકીય વિવાદ થયો હતો, સુપ્રીમે સરકારો દ્વારા પસાર કરાયેલા બિલોને મંજૂરી આપવા મુદ્દે રાજ્યપાલો અને રાષ્ટ્રપતિ માટે સમય મર્યાદા જાહેર કરી હતી. તામિલનાડુના રાજ્યપાલે બિલો લટકાવી રાખતા સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારની અરજી પર આ ચુકાદો આપ્યો હતો. જેમાં માત્ર રાજ્યપાલો જ નહીં રાષ્ટ્રપતિ માટે પણ સમય મર્યાદા નક્કી કરી હતી.