Get The App

કોરોના હવાથી ફેલાય છે : 239 વિજ્ઞાનીઓનું ચોંકાવનારૂં સંશોધન

- વિજ્ઞાનીઓએ વિશ્વ આરોગ્ય સંસ્થાને ભલામણો સુધારવા જણાવ્યું

- ટ્રમ્પે કોરોના મહામારી ફેલાવવા માટે ફરી ચીનને જવાબદાર ગણાવ્યું બિજિંગમાં કોરોના કાબૂમાં આવી ગયો, બે જ કેસ નોંધાયા

Updated: Jul 5th, 2020

GS TEAM

Google News
Google News
કોરોના હવાથી ફેલાય છે : 239 વિજ્ઞાનીઓનું ચોંકાવનારૂં સંશોધન 1 - image


ન્યુ યોર્ક, તા. 5 જુલાઇ, 2020, રવિવાર

બત્રીસ દેશોના 239 વિજ્ઞાનીઓએ વિશ્વ આરોગ્ય સંસ્થાને ખુલ્લો પત્ર લખી હવામાં તરતાં નાના કણો દ્વારા લોકોને કોરોનાનો ચેપ લાગતો હોવાના પુરાવાઓ રજૂ કરી વિશ્વ આરોગ્ય સંસ્થાને તેની ભલામણોમાં સુધારો કરવા જણાવ્યું છે. આ પત્રને સંશોધકો સાયન્ટિફિક જર્નલમાં પ્રકાશિત કરવાની યોજના ધરાવે છે.

હાલ દુનિયાભરમાં એ મુદ્દે ચર્ચા ચાલી રહી છે કે કોરોના વાઇરસનો ચેપ હવામાં પ્રસરીને ફેલાય છે કે કેમ. વિશ્વ આરોગ્ય સંસ્થાનો દાવો છે કે જ્યારે કોરોનાનો દર્દી કફ કાઢે કે છીંકે ત્યારે જે ટીપાં પડે તેમાંથી કોરોના વાઇરસનો ચેપ લાગે છે. બીજી તરફ અમુક વિજ્ઞાાનીઓ એમ માને છે કે કોરોના વાઇરસનો ચેપ હવામાં તરતાં કણો દ્વારા લાગે છે. એટલે કે તેનો ચેપ હવા દ્વારા કોઇને પણ લાગી શકે છે. 

હાલ બાર-રેસ્ટોરાં અને બજારોમાં જે રીતે મોટાપાયે કોરોના વાઇરસના નવા દર્દીઓ નોંધાઇ રહ્યા છે તેને કારણે મહિનાઓથી કહી રહેલાં વિજ્ઞાાનીઓની વાતને ટેકો મળ્યો છે. વાઇરસ બંધ જગ્યામાં હવામાં તરે છે અને તેનો ચેપ બધાને લાગે છે. જ્યાં પૂરતા હવાઉજાસ ન હોય ત્યાં ભીડવાળી જગ્યામાં આ મહત્વનું પરિબળ બની રહે તેમ છે.

વળી હોસ્પિટલોમાં સારવાર કરતાં આરોગ્ય કર્મચારીઓએ પણ એન- 95 માસ્ક ફરજિયાત પહેરવા પડશે. જો કે વિશ્વ આરોગ્ય સંસ્થાએ તેનું વલણ જાળવી રાખ્યું છે. મુખ્ય વિજ્ઞાાની ડો. સૌમ્યા સ્વામિનાથને જણાવ્યું હતું કે અમે નવા વૈજ્ઞાાનિક પુરાવાઓને બને એટલી ઝડપે તપાસી રહ્યા છીએ. જ્યારે અમને કોઇ પડકારે કે તેઓ અમારા કરતાં સારૂં કરી શકે છે ત્યારે અમે તેમની વાત સારી રીતે સાભળીએ છીએ. 

અગાઉ સપાટી પરથી ફેલાતા ફોમાઇટને મામલે પણ વિશ્વ આરોગ્ય સંસ્થાને તેની વાત સુધારવી પડી હતી. હવે સપાટી પરથી ફેલાતા ચેપનું પ્રમાણ નહિવત હોવાનું સ્વીકારવામાં આવ્યું છે. સંશોધકોએ આક્ષેપ કર્યો હતો કે  વિશ્વ આરોગ્ય સંસ્થા એરોસોલ અને ટીપાં વચ્ચે ખોટા ભેદ પાડે છે. જ્યારે બંને રીતે લોકોને કોરોનાનો ચેપ લાગે છે.

એપ્રિલમાં જ 36 વિજ્ઞાાનીઓએ લિડિયા મોરવસ્કાની આગેવાની હેઠળ વિશ્વ આરોગ્ય સંસ્થાને કોરોના હવા દ્વારા ફેલાઇ રહ્યો હોવાના પુરાવા વધી રહ્યા હોવાની જાણ કરી હતી. હૂએ તત્કાળ બેઠક બોલાવી આ મામલે તેમની સાથે ચર્ચા કરી હતી પણ બાદમાં કમિટિની સલાહને યથાવત રાખવામાં આવી હતી. 

વિશ્વ આરોગ્ય સંસ્થાએ જણાવ્યું હતું કે તેમણે હાઇડ્રોક્સીકલોરોક્વીનની ટ્રાયલ બંધ કરી દીધી છે. મેલેરિયાની સારવારમાં વપરાતી આ દવાને લોપિનાવિર-રિટોનાવિર સાથે વાપરવાથી પણ કોરોનાના દર્દીઓને કોઇ લાભ થતો નથી તેવી કમિટીની ભલામણ સંસ્થાએ સ્વીકારી લીધી છે. 

દરમ્યાન અમેરિકાના 244માં સ્વાતંર્ત્ય દિને દેશને બીજીવાર સંબોધતાં પ્રમુખ ડોનાલ્?ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે ચીનની ગુપ્તતા, છેતરપિંડી અને કવર અપને કારણે કોરોના મહામારી દુનિયાના 189 દેશોમાં પ્રસરી છે. આને માટે ચીનને જ સંપૂર્ણપણે જવાબદાર ઠેરવવું જોઇએ.

તેમણે જણાવ્યું હતું કે હવે અમેરિકામાં જ કોરોનાની સારવાર માટે જરૂરી તમામ ચીજોનું ઉત્પાદન થાય છે. અમે ગાઉન, માસ્ક, અને સજકલ ઉપકરણોનું પણ આપણાં દેશમાં જ ઉત્પાદન કરી રહ્યા છીએ. અગાઉ તેનું ઉત્પાદન માત્ર ચીનમાં જ થતું હતું. વક્રતા તો એ છે કે જ્યાંથી વાઇરસ ફેલાયો ત્યાં જ આ ચીજોનું ઉત્પાદન થતું હતું. આજે

અમેરિકામાં જ સૌથી સારૂં ટેસ્ટિંગ થાય છે. તેમણે આ વર્ષના અંત સુધીમાં કોરોનાની રસી વિકસાવી લેવાશે તેવી આશા વ્યક્ત કરી હતી. તેમણે કોરોનાના કેસોની સંખ્યા વધવા છતાં દેશે આ મામલે કરેલી પ્રગતિની પ્રસંશા કરી હતી.

બીજી તરફ ચીનની રાજધાનીમાં ફેલાયેલો કોરોનાનો ચેપ કાબૂમાં આવી રહ્યો છે. આજે નવા માત્ર બે જ કેસ નોંધાયા હતા. બિજિંગ સરકારના પ્રવક્તાએ જણાવ્યું હતું કે સ્થિતિ સુધરી રહી છે અને હવે તે નિયંત્રણ હેઠળ છે. બિજિંગમાં કુલ 334 જણાને ચેપ લાગ્યો હતો પણ છેલ્લા સાત દિવસથી એક આંકમાં જ ચેપ લાગવાના બનાવો નોંધાયા હતા.

Tags :