'હવે ગાંધીનો દેશ બીજો ગાલ આગળ નહીં ધરે..' પનામાથી શશી થરુરનો પાકિસ્તાનને કડક સંદેશ
Shashi Tharoor In Panama: પાકિસ્તાનની આતંકવાદી ગતિવિધિઓનો પર્દાફાશ કરવા માટે વિદેશ મુલાકાતે ગયેલા ભારતીય પ્રતિનિધિમંડળમાં સામેલ કોંગ્રેસ સાંસદ શશી થરૂરે પનામામાં મહત્ત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, હવે મહાત્મા ગાંધીનો આ દેશ આતંકવાદ જેવા કૃત્ય પર પોતાનો બીજો ગાલ આગળ નહીં ધરે પણ તેનો જવાબ આપશે.
પનામામાં ઓપરેશન સિંદૂર વિશે માહિતી આપતાં થરૂરે ભાર મૂક્યો કે, મહાત્મા ગાંધીએ ભયમુક્ત જીવન જીવવા તેમજ પોતાના અધિકારો માટે ઉભા રહેવાનું શીખવ્યું છે. આપણે હંમેશા આપણા મૂલ્યોને વળગીને રહેવું જોઈએ. જેના પર આપણને વિશ્વાસ હોય. આપણે ભયમુક્ત બની દુશ્મનોના હુમલા સામે મજબૂત લડત લડવી જોઈએ. તેઓ માને છે કે, અમારા દેશમાં આવી નિર્દોષોની હત્યા કરી ફરાર થઈ જવા પર તેઓ મોટો રાજકીય તથા ધાર્મિક ઉદ્દેશ હાંસલ કરી લેશે, તો તેમની ભૂલ છે. ભારત હવે આ પ્રકારના કૃત્યો સામે પોતાનો બીજો ગાલ નહીં ધરે, આગળ આવશે અને તેનો જડબાતોડ જવાબ આપશે.
પાકિસ્તાની સેનાની કરી ટીકા
કોંગ્રેસ સાંસદે આગળ કહ્યું કે, એવી કોઈ વસ્તુ નથી કે, તેની આગળ કોઈપણ સ્વાભિમાની દેશ ઝૂકી જાય. મહાત્મા ગાંધીજીની ધરતી હોવા છતાં પણ બીજો ગાલ ધરીશું નહીં. અમે તેનો જવાબ આપીશું. ઓપરેશન સિંદૂરમાં માર્યા ગયેલા આતંકવાદીઓના પાકિસ્તાની સેનાએ સન્માન સાથે અંતિમ સંસ્કાર કર્યા હતાં. આતંકવાદીઓના અંતિમ સંસ્કારમાં પાકિસ્તાનના ટોચના વડાઓ સામેલ થયા હતાં. જે અત્યંત નિંદનીય છે. બીજી બાજુ પાકિસ્તાન એવુ કહે છે કે, અમે નિર્દોષ છીએ, અમે કંઈ કર્યું નથી. તો તમે (પાકિસ્તાન) જેને ઓળખતા પણ નથી, તેના મોત પર શોક માનવો છે?
આ પણ વાંચોઃ ટ્રમ્પને ઝટકો, 'લિબરેશન ડે' ટેરિફ પર અમેરિકન કોર્ટે સ્ટે મૂકીને બંધારણ વિરુદ્ધ ગણાવ્યો
મારી પાસે કરવા માટે ઘણું કામ છે
થરૂર દ્વારા ઓપરેશન સિંદૂરની વિવિધ દેશોમાં વાહવાહી તેમજ પાકિસ્તાનના આતંકવાદ વિરૂદ્ધના નિવેદનોથી રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસ સહિત વિપક્ષના કેટલાક સભ્યોએ થરૂર પર ભાજપનો પ્રચાર કરવાનો આરોપ મૂક્યો હતો. જો કે, તેના પર સ્પષ્ટતા આપતાં થરૂરે કહ્યું હુતં કે, મારી વાતોને ટીકાકારો પોતાની નજરે જોઈ રહ્યા છે. તેઓ તથ્યોને તોડી-મરોડી રજૂ કરી શકે છે. તેમની પાસે મારી ટીકા કરવાની પૂર્ણ સ્વતંત્રતા છે. આ સિવાય મારી પાસે ઘણું કામ છે.