Get The App

ચીનની કંપનીઓને ફરી દેશમાં એન્ટ્રીની તૈયારી, ભારતનો માસ્ટર સ્ટ્રોક કે ટ્રમ્પ માટે કોઈ સંકેત?

Updated: Jan 9th, 2026

GS TEAM

Google News
Google News
ચીનની કંપનીઓને ફરી દેશમાં એન્ટ્રીની તૈયારી, ભારતનો માસ્ટર સ્ટ્રોક કે ટ્રમ્પ માટે કોઈ સંકેત? 1 - image

India China News : ભારત સરકાર સરકારી કોન્ટ્રાક્ટ માટે બોલી લગાવતી ચીની કંપનીઓ પરના પ્રતિબંધો હટાવવાની યોજના બનાવી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, નાણા મંત્રાલય એ નિયમોને સમાપ્ત કરવાની તૈયારીમાં છે, જે અંતર્ગત ચીની કંપનીઓએ ભારતમાં સરકારી પ્રોજેક્ટ્સ માટે બોલી લગાવતા પહેલા કડક સુરક્ષા તપાસ અને નોંધણીમાંથી પસાર થવું પડતું હતું.

શા માટે લેવાઈ રહ્યો છે આ નિર્ણય?

આ પ્રતિબંધોને કારણે ઘણા સરકારી પ્રોજેક્ટ્સમાં વિલંબ થઈ રહ્યો હોવાનું સામે આવ્યું છે. રિપોર્ટ અનુસાર, ઘણા સરકારી વિભાગોએ જણાવ્યું છે કે ચીનથી મશીનરી અને સામાન ન આવવાને કારણે તેમના પ્રોજેક્ટ્સ અટવાયેલા છે. ખાસ કરીને, પાવર પ્લાન્ટ્સના નિર્માણનું કામ ધીમું પડી ગયું છે, કારણ કે ભારત આગામી 10 વર્ષમાં તેની વીજળી ક્ષમતા વધારવા માંગે છે અને તેના માટે જરૂરી સામાન મોટે ભાગે ચીનથી આવે છે. આ જ કારણોસર, પૂર્વ કેબિનેટ સચિવ રાજીવ ગૌબાની અધ્યક્ષતાવાળી એક ઉચ્ચ-સ્તરીય સમિતિએ પણ પ્રતિબંધોમાં છૂટછાટ આપવાની ભલામણ કરી છે.

બદલાતા વૈશ્વિક સમીકરણો અને ચીન સાથે સુધરતા સંબંધો

આ નિર્ણય પાછળ બદલાતા વૈશ્વિક રાજકીય સમીકરણો પણ એક મહત્વનું કારણ માનવામાં આવે છે. એક તરફ, અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય સામાન પર 50% ટેરિફ લગાવી દીધો છે અને અમેરિકાની પાકિસ્તાન સાથેની નિકટતા વધી રહી છે. બીજી તરફ, ભારત અને ચીન વચ્ચેના સંબંધોમાં સુધારો જોવા મળી રહ્યો છે. ગયા વર્ષે, વડાપ્રધાન મોદીએ સાત વર્ષમાં પ્રથમ વખત ચીનની મુલાકાત લીધી હતી. આ મુલાકાત બાદ, ભારત અને ચીને સીધી ફ્લાઇટ્સ ફરીથી શરૂ કરી છે અને નવી દિલ્હીએ ચીની પ્રોફેશનલ્સ માટે બિઝનેસ વિઝાની મંજૂરીમાં ઝડપ લાવવા માટે કાગળની કાર્યવાહી પણ ઓછી કરી છે.

2020માં શા માટે લગાવાયા હતા પ્રતિબંધ?

વર્ષ 2020માં ગલવાન ઘાટીમાં ભારત-ચીન સરહદ પર થયેલી હિંસક અથડામણ બાદ આ કડક પ્રતિબંધો લાદવામાં આવ્યા હતા. આના કારણે ચીની કંપનીઓ લગભગ 700-750 અબજ ડોલરના ભારતીય સરકારી કોન્ટ્રાક્ટની દોડમાંથી બહાર થઈ ગઈ હતી. પ્રતિબંધો હેઠળ, ચીની કંપનીઓએ બોલી લગાવવા માટે ભારતીય સરકારી સમિતિ સાથે નોંધણી કરાવવી અને રાજકીય તથા સુરક્ષા મંજૂરી મેળવવી ફરજિયાત હતી. હવે, અધિકારીઓ આ નોંધણીની જરૂરિયાતને દૂર કરવા પર કામ કરી રહ્યા છે. આ સંબંધમાં અંતિમ નિર્ણય વડાપ્રધાન કાર્યાલય (PMO) દ્વારા લેવામાં આવશે. જોકે, સરકાર હજુ પણ સાવચેતીભર્યું વલણ અપનાવી રહી છે કારણ કે ચીની કંપનીઓ દ્વારા થતા વિદેશી પ્રત્યક્ષ રોકાણ (FDI) પરના પ્રતિબંધો હજુ પણ યથાવત છે.