જહાજમાં ફસાયેલા 14 નાગરિકોને બચાવતા ચીન ગદગદીત, કહ્યું - ભારતીય નેવી તમારો આભાર!
China Thanks Indian Navy: કેરળના તટે સિંગાપુર ફ્લેગવાળા જહાજમાં આગ લાગ્યા બાદ ભારતીય નૌકાદળ દ્વારા તેમના ચાલક દળને સફળતાપૂર્વક બચાવ્યાના એક દિવસ બાદ ચીને ભારતનો આભાર માન્યો છે. ભારતમાં સ્થિત ચીની દૂતાવાસની પ્રવક્તા યૂ જિંગે ભારતીય નૌકાદળ અને મુંબઈ કોસ્ટ ગાર્ડનો બચાવ અભિયાન માટે આભાર માન્યો છે. આ જહાજ પર 14 ચીની નાગરિક સવાર હતા.
યૂ જિંગે એક્સ પર પોસ્ટ કરીને લખ્યું, 'અમે ભારતીય નૌકાદળ અને મુંબઈ કોસ્ટ ગાર્ડ દ્વારા કરવામાં આવેલા બચાવ અભિયાન માટે આભાર વ્યક્ત કરીએ છીએ. અમે ઈચ્છીએ છીએ કે, આગળના સર્ચ ઓપરેશન સફળ રહે અને ઈજાગ્રસ્ત ચાલક દળના સભ્યો જલ્દી સ્વસ્થ થાય તેવી શુભકામના પાઠવીએ છીએ.'
ધમાકા બાદ જહાજમાં લાગી આગ
સોમવારે (9 જૂન) બપોરે (કોઝિકોડ, કેરળ) તટ પાસે એમવી વાન હાઈ 503 (MV Wan Hai 503) નામના સિંગાપુર ફ્લેગવાળા કન્ટેનર જહાજમાં ધમાકા બાદ આગ લાગી હતી. આ જહાજ પર કુલ 22 ક્રૂ મેમ્બર સવાર હતા, જેમાં 14 ચીની નાગરિક સામેલ હતા. પ્રવક્તા યૂ જિંગ અનુસાર, આ 14 ચીની નાગરિકોમાંથી 6 તાઇવાનના હતા.
ભારતીય નૌકાદળની ત્વરિત કાર્યવાહી
ઘટનાની સૂચના મળતા જ ભારતીય નૌકાદળે તુરંત કાર્યવાહી કરતા INS સુરતને કોચી બંદરથી વળાવીને ઘટનાસ્થળ મોકલ્યું. ભારતીય કોસ્ટ ગાર્ડે પણ અનેક સંસાધનોને રાહત કાર્યમાં લગાવી દીધા, જેમાં ICGS રાજદૂત (મંગલૂરૂ તટથી), ICGS અર્ણવેશ (કોચી તટથી) અને ICGS સચેત (અગત્તી તટથી) સામેલ હતા. એક સીજી ડોર્નિયર વિમાનને પણ સ્થિતિનું મૂલ્યાંકન કરવા મોકલવામાં આવ્યું હતું.
આ પણ વાંચોઃ કેન્યામાં 28 ભારતીય પર્યટકને લઈ જતી બસનો ગોઝારો અકસ્માત, પાંચના મોત, અનેક ઈજાગ્રસ્ત
18 ક્રૂ મેમ્બર્સને બચાવવામાં આવ્યા
આગ પર આંશિક રૂપે કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો, પરંતુ જહાજમાંથી ખૂબ જ ધુમાડો થઈ રહ્યો હતો. સોમવારે મોડી રાત્રે 18 ક્રૂ મેમ્બરને બચાવીને મંગલુરૂ લાવવામાં આવ્યા હતાં, જોકે 4 સભ્ય પણ ગુમ છે. મંગળવારે અધિકારીઓએ સંભવિત ઑયલ સ્પિલ (તેલ રિસાવ)ને લઈને એડવાઇઝરી જાહેર કરી હતી. ઘટનામાં એક ચીની એન્જિનિયર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે, જેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.