Thailand Cambodia War: એશિયામાં બે દેશો થાઇલૅન્ડ અને કંબોડિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે સીઝ ફાયર(યુદ્ધ વિરામ)નું એલાન થતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. શનિવારે બંને દેશો તાત્કાલિક પ્રભાવથી યુદ્ધ વિરામ લાગુ કરવાના પર સહમતિ આપી છે. આ જાણકારી બંને દેશોના રક્ષા મંત્રીઓ તરફથી જાહેર કરાયેલા સંયુક્ત નિવેદનમાં આપવામાં આવી છે. આ સીઝ ફાયર સ્થાનિક સમય પ્રમાણે 27 ડિસેમ્બરના બપોરે 12 વાગ્યા અમલમાં આવશે.
સીઝ ફાયર દરેક સ્થિતિમાં લાગુ રહેશે
કંબોડિયા તરફથી જાહેર કરાયેલા સ્પેશિયલ જનરલ બોર્ડર કમિટીના નિવેદન મુજબ, બંને પક્ષે આ નિર્ણય કર્યો છે કે તાત્કાલિક તમામ પ્રકારના હથિયારના ઉપયોગ પર પ્રતિબંધ રહેશે. તેમાં નાગરિકો, ધરો, સરકારી ઢાંચાઓ કે સેનાના કોઈ પણ ઠેકાણા પર હવે હુમાલા નહીં કરી શકાય, યુદ્ધ વિરામ તમામ વિસ્તારમાં દરેક સ્થિતિમાં લાગુ રહેશે.
101થી વધુ લોકોના મોત
આ સીઝ ફાયર એવા સમયે થયું છે જ્યારે બંને દેશો વચ્ચે બોર્ડર પર ડિસેમ્બરના શરુઆતથી જ ફરી એક વખત તંગ સ્થિતિ ઊભી થઈ હતી. છેલ્લા 20 દિવસથી થાઇ અને કંબોડિયાઈ સેનાઓ વચ્ચે ભીષણ સંઘર્ષ ચાલી રહ્યો હતો. જેમાં બંને દેશના મળીને લગભગ 101થી પણ વધુ લોકો માર્યા ગયા હતા. જ્યારે બોર્ડર પર સ્થિત પાંચ લાખથી વધુ લોકો ઘર છોડવા મજબૂર થયા હતા.
બંને દેશે જાહેર કર્યું સંયુક્ત નિવેદન
થાઇલૅન્ડ અને કંબોડિયાએ સંયુક્ત નિવેદન જાહેર કરતાં કહ્યું છે કે બંને દેશની બોર્ડર પર હાલ જે સૈનિકો તહેનાત છે તે રાખશે પણ તેમાં કોઈ વધારો નહીં કરે, અથવા તો કોઈ સૈન્ય ગતિવિધિને લગતા ફેરફારો નહીં કરે, બંને પક્ષે તરફેણ કરી છે કે હવે સૈન્ય શક્તિમાં વધારો થશે તો સંઘર્ષ વધશે, જે લાંબા સમયગાળાના સમાધાનની કોશિશને નુકસાન પહોંચાડશે. મહત્ત્વનું છે કે હજારો પરિવારો યુદ્ધના કારણે પ્રભાવિત થયા છે તેમણે હાશકારો થયો છે. તેઓ હવે પોતાના ઘરે પરત ફરી શકશે,જે છેલ્લા 20 દિવસથી અપાર તકલીફોનો સામનો કરી રહ્યા હતા.

શું છે સમગ્ર વિવાદ?
અહેવાલો અનુસાર, થાઇલૅન્ડ અને કંબોડિયા વચ્ચે વર્ષોથી સરહદ વિવાદ ચાલી રહ્યો છે. આ વિવાદિત વિસ્તારમાં આવેલા 'ચોંગ આન મા' ક્ષેત્રમાં ભગવાન વિષ્ણુની એક પ્રતિમા સ્થાપિત કરવામાં આવી હતી. થાઇ સેનાએ તાજેતરમાં આ પ્રતિમાને તોડી પાડી અથવા હટાવી દીધી હતી, જેનાથી તણાવ વધ્યો હતો, અત્રે ઉલ્લેખનીય છે કે, થાઇલૅન્ડ અને કંબોડિયા વચ્ચેનો આ સરહદ વિવાદ દાયકાઓ જૂનો છે. અગાઉ પણ પ્રેહ વિહાર (Preah Vihar) મંદિરને લઈને બંને દેશો વચ્ચે આંતરરાષ્ટ્રીય કોર્ટમાં લાંબી લડાઈ ચાલી ચૂકી છે.
1962માં આંતરરાષ્ટ્રીય ન્યાયાલયે ચુકાદો આપ્યો હતો કે કંબોડિયા પ્રેહ વિહાર પર સાર્વભૌમત્વ ધરાવે છે. જોકે, ચુકાદામાં આસપાસની જમીનની માલિકી સ્પષ્ટ રીતે વ્યાખ્યાયિત કરવામાં આવી ન હતી, જેના કારણે બંને પક્ષો દ્વારા અલગ અલગ અર્થઘટન કરી તે જગ્યાને લઈને યુદ્ધ છંછેડાયું હતું. ભારતની ચિંતા એ છે કે દક્ષિણ-પૂર્વ એશિયામાં ફેલાયેલા હિન્દુ-બૌદ્ધ સાંસ્કૃતિક ચિહ્નો રાજકીય વિવાદોનો ભોગ ન બને.
બંને દેશો એક બીજા પર યુદ્ધ ભડકાવવાના આરોપ લગાવી રહ્યા હતા. કંબોડિયાનું કહેવું હતું કે થાઈ સૈનિકોએ સરહદ વિસ્તારમાં મંદિરો અને ખંડેરોને નુકસના પહોંચાડ્યું છે જ્યારે થાઇલૅન્ડનો દાવો કર્યો હતો કે કંબોડિયાએ વર્ષો જૂના પથ્થર મંદિરોની આસપાસ સૈનિકો ખડકી દીધા હતા. કંબોડિયા અને થાઇલૅન્ડ વચ્ચેનો આ સરહદ વિવાદ વસાહતી સમયગાળા દરમિયાન ખેંચાયેલી 800 કિલોમીટર લાંબી સરહદ રેખા અને સરહદ પર આવેલા પ્રાચીન મંદિરોના અવશેષોને લઈને છે. હાલ યુદ્ધ વિરામ થતાં બંને દેશ ફરી વાતચીતના ટેબલ પર આવી યોગ્ય રસ્તો કરશે તેવી આશાઓ સેવાઇ રહી છે.


