એટલી ઝડપથી કાર્યવાહી થઇ કે અમે આભાર પણ માની ન શક્યા : ઇરાનથી પરત લવાયેલા ભારતીયે કહ્યું
- આપણે અહીં સલામતીમાં છીએ - ત્યાં શું હશે ? તે કલ્પના તો કરો
- ઓપરેશન સિંધુ નીચે ઇરાનથી સ્વદેશ લવાયેલ ભારતીયોની પહેલી ટુકડી નવી દિલ્હી આવી પહોંચી છે : હજી બીજી ફ્લાઇટ્સ જઇ રહી છે
નવી દિલ્હી : વિશ્વનું કુરૂક્ષેત્ર બનવાની સંભાવના સમાન ઇરાનમાં રહેલા ભારતીયોની પહેલી ટુકડી ગઇ કાલે રાત્રે ૧૧.૩૦ કલાકે અહીં આવી પહોંચી છે. ભારત સરકારે ઓપરેશન સિંધુ નામ વિદ્યુત વેગી કાર્યવાહી હાથ ધરી તહેરાન અને બીજાં શહેરોમાં ફસાયેલા ભારતીયોને સ્વદેશ લાવવાનું અભિયાન શરૂ કરી દીધું છે.
ઇરાનમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ કે યાત્રાર્થે પણ ત્યાં પહોંચેલા ભારતીયો સહિત નોકરી અને વ્યાપાર માટે પણ ત્યાં રહેલા ભારતીયોને પણ સ્વદેશ લાવવાની કાર્યવાહી તહેરાન સ્થિત આપણાં દૂતાવાસે તથા મશાદ જેમાં શહેરોમાં રહેલાં ઉપદૂતાવાસોએ ભારતીયોને સ્વદેશ પહોંચાડવા રાત-દિવસ કાર્યવાહી ચાલુ રાખી છે.
ઇરાનથી સ્વદેશ આવેલા ઝફર અબ્બાસ નકવીએ માશાદ ઉપર થયેલી અગન વર્ષાની હકીકત કહેતાં જણાવ્યું હતું કે સાયરનના અવાજો અને બોમ્બના તથા મિસાઇલ્સના ધડાકાન લીધે હું અને મારૃં કુટુંબ ઘરના એક સલામત લાગતા ખૂણામાં સંકોડાઈ બેસી રહ્યાં હતાં. બચવાની કોઈ આશા જ ન હતી. છેવટે ભારતીય ઉપદૂતાવાસનો સંપર્ક સાધ્યો. તેઓએ આશ્વાસન આપતાં કહ્યું કે થોડી વારમાં જ તમોને સ્વદેશ લઇ જવા વિમાન આવશે જ.
દરમિયાન ભારતનાં વિદેશ મંત્રાલયે ઇરાનના સત્તાધિશો પાસેથી ભારતીયોને લઇ જવા માટેનાં વિમાનને ઉતરાણ ચઢાણ માટે પરવાનગી મેળવી લીધી હતી. અહીંથી વિમાન આકાશ સ્થિત થયું તે પછી લગભગ તુર્ત જ મશાદ ઉપર અગનવર્ષા શરૂ થઇ હતી. તે સંદર્ભે નકવીએ વડાપ્રધાન મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગીનો આભાર માન્યો હતો.
તહેરાનથી ભારત પરત લવાયેલાં કુલસુમ બાનુએ કહ્યું હતું કે ઇરાનમાં પરિસ્થિતિ અત્યંત ખરાબ થઇ ગઈ છે અમે અત્યંત ચિંતામાં હતાં. તેવામાં ભારત સરકારે અમારી સહાયે આવી અને અમને સહિસલામત પાછાં લાવવામાં આવ્યાં.
મશાદ સ્થિત મોહમ્મદ અલિ કાસીમે દિલહીનાં ઇંદીરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતરતાં પત્રકારોને કહ્યું કે હું મશાદથી આવું છું. ઘર વાપસી ઘણી મધુર લાગે છે તે માટે હું ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગીજી અને વિશેષત: વડાપ્રધાન મોદીજીનો આભાર માનું છું. આ કાર્યવાહી એટલી ઝડપથી થઇ કે અમારી પાસે આભાર માનવાનો પણ સમય ન રહ્યો અમે આભાર પણ માની શક્યા નહીં.
હજી સુધીમાં ૨૯૦ જેટલા ભારતીયોને સ્વદેશ લાવી શકાયા છે. બીજાઓને પાછા લાવવા વિમાનો રવાના થવાનાં છે.
ભયંકર મિસાઇલ અને બોમ્બ વર્ષા વચ્ચે જીવતા લોકો વિષે એક નિરીક્ષકે કહ્યું : આપણે અહીં સલામત છીએ, ત્યાં ચાલી રહેલી ભયંકર પરિસ્થિતિની કલ્પના જ કંપાવનારી છે.