World

અમેરિકામાં બૌદ્ધ સાધુઓની 50 હજાર કિ.મી. લાંબી પગપાળા શાંતિયાત્રા

By GS TEAM
17 Jan 20262 mins read
અમેરિકામાં બૌદ્ધ સાધુઓની 50 હજાર કિ.મી. લાંબી પગપાળા શાંતિયાત્રા

- 82 દિવસની યાત્રા કરીને સાધુઓનો સંઘ કેરોલિનાના શાર્લોટમાં પહોંચ્યો

- ટેક્સાસથી વૉશિંગ્ટન વચ્ચે આવતા જુદા જુદા રાજ્યોમાં ફરીને શાંતિનો સંદેશો આપતા બૌદ્ધ સાધુઓને હુંફાળો આવકાર

વૉશિંગ્ટન : અમેરિકાના ટેક્સાસ રાજ્યથી પગપાળા નીકળેલો બૌદ્ધ સાધુઓનો સંઘ વૉશિંગ્ટન પહોંચશે તે પહેલાં કેટલાય રાજ્યોના લોકોને શાંતિનો સંદેશો આપશે. કેટલાય શહેરોમાં આ સાધુઓને આવકાર મળી રહ્યો છે. ઘણાં લોકો થોડા કિલોમીટર સુધી સાથે ચાલી રહ્યા છે. જે તે રાજ્યોના અન્ય બૌદ્ધ સાધુઓ પણ એમાં જોડાઈ રહ્યા છે. ૧૨૦ દિવસની શાંતિયાત્રા કરીને ૨૪ સાધુઓનો આ સંઘ પાટનગર વૉશિંગ્ટનમાં યાત્રા પૂરી કરશે.

ભિખ્ખુ પન્નાકરાના નેતૃત્વમાં ૨૪ સાધુઓના સંઘે ટેક્સાસમાંથી પગપાળા શાંતિયાત્રા આરંભી હતી. નોર્થ કેરોલિયાના શાર્લોટ શહેરમાં પહોંચી ગયો છે. ટેક્સાસથી શાર્લોટ સુધીની યાત્રા ૮૨ દિવસમાં પૂરી થઈ છે. ઓક્ટોબર-૨૦૨૫માં તેમની યાત્રાનો પ્રારંભ થયો હતો. આ મહિનાના અંતે વૉશિંગ્ટનમાં તેમની યાત્રા પૂરી થશે. ૫૦ હજાર કિલોમીટરની આ પગપાળા યાત્રાના ભાગરૂપે  શાંતિ, પ્રેમ અને કરુણાનો સંદેશો આપતા આ સાધુઓને જોવા માટે શહેરોમાં ભીડ ઉમટી રહી છે. લોકો કહી રહ્યા છે કે આવી શાંતિયાત્રા જીવનમાં કદાચ ક્યારેક જ જોવા મળે છે. લોકો આ સાધુઓને આવકારી રહ્યા છે અને તેમની સાથે ચાલી પણ રહ્યા છે.

બૌદ્ધ સાધુઓના સંઘનું નેતૃત્વ કરી રહેલા ભિખ્ખુ પન્નાકરાએ કહ્યું હતું કે અમારો મેસેજ ખૂબ સરળ છે. એ સંદેશો ધર્મને લગતો નથી. એ સંદેશો છે માનવતાને લગતો. આપણું જીવન વધારે સભાન બને તે માટે અમે મેસેજ આપી રહ્યા છીએ. અમે દેશવાસીઓને પ્રેમ, શાંતિ અને દયા દાખવવાની અપીલ કરી રહ્યા છીએ. તેમની આ યાત્રા ફેબુ્રઆરીમાં પૂરી થાય તેવી શક્યતા છે. આ શાંતિયાત્રા ૧૨૦ દિવસના આયોજન સાથે શરૂ થઈ હતી. દરરોજ આ બૌદ્ધ સાધુઓ ૪૦થી ૫૦ કિલોમીટરની પગપાળા યાત્રા કરી રહ્યા છે.