બલૂચ બળવાખોરોએ પાકિસ્તાનમાં કર્યો મોટો હુમલો, સૈન્ય વાહનને નિશાન બનાવતા 7ના મોત
BLA Attack on PAK Army: એક તરફ ભારતીય સૈન્ય તો બીજી તરફ બલૂચ બળવાખોરો પાકિસ્તાન માટે માથાનો દુઃખાવો બની ગયા છે. ભારતીય સેનાના ઓપરેશન સિંદૂર બાદ બલૂચ બળવાખોરોએ ફરી એકવાર પાકિસ્તાની સેના પર મોટો હુમલો કર્યો છે. છેલ્લા 24 કલાકમાં બલૂચ બળવાખોરો દ્વારા પાકિસ્તાન સેના પર આ બીજો મોટો હુમલો હતો, જેમાં 7 સૈનિકો માર્યા ગયાનો દાવો કરવામાં આવ્યો છે.
પાક. આર્મીના વાહનને નિશાન બનાવાયું
અહેવાલો અનુસાર, આ હુમલો બોલાનના મચ્છકુંડમાં કરવામાં આવ્યો હતો. બલૂચ લિબરેશન આર્મીના સ્પેશિયલ ટેક્ટિકલ ઓપરેશન્સ સ્ક્વોડએ પાકિસ્તાની આર્મીના વાહનને નિશાન બનાવીને હુમલો કર્યો. પાકિસ્તાની સેનાના વાહનને રિમોટનો ઉપયોગ કરીને ઉડાવી દેવામાં આવ્યું. આ હુમલો એવા સમયે કરવામાં આવ્યો હતો, જ્યારે પાકિસ્તાની સેના લશ્કરી કાર્યવાહીની તૈયારી કરી રહી હતી. આ હુમલામાં 7 પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા હોવાનું કહેવાય છે.
પૂર્વ વડાપ્રધાનનું મોટું નિવેદન
આ પહેલા પણ BLAએ પાકિસ્તાની સેના પર હુમલો કર્યો હતો, જેમાં ઘણાં પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા હતા. આ હુમલો કેચ જિલ્લાના કિલાગ વિસ્તારમાં થયો હતો, જ્યાં પાકિસ્તાની સેનાની એક ટીમને નિશાન બનાવવામાં આવી હતી. બલૂચિસ્તાન અંગે પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન શાહિદ ખાકાન અબ્બાસીએ કહ્યું હતું કે, 'બલૂચિસ્તાન એક જંગલી ઘોડા જેવું છે, જેના પર હવે પાકિસ્તાનનું કોઈ નિયંત્રણ નથી અને તે રાત્રે વધુ જંગલી બની જાય છે.'