ભૂટ્ટોએ કહ્યું : પહેલગાંવ હુમલા પછી ભારતમાં મુસ્લીમોને શેતાન માનવામાં આવે છે ત્યારે વિદેશી પત્રકારે તેમને સખતનો જવાબ આપ્યો
- બિલાવલ ભૂટ્ટો ઝરદારીની જીભ સિવાઈ ગઈ
- તે વિદેશી પત્રકારે કહ્યું : 'મેં બંને સેનાઓની પ્રેસ બ્રિફ્રિંગ જોઈ છે ભારતમાં તે પ્રેસ બ્રિફ્રિંગનું નેતૃત્વ એક મુસ્લીમ સેનાધિકારી કર્નલ સોફિયા કુરેશીએ કર્યું હતું'
ન્યૂયોર્ક : આતંકવાદ પર ભારતે કરેલા 'ઓપરેશન સિંદુર' પછી પાકિસ્તાને ભારતની નકલ કરતાં વિદેશોમાં પોતાનાં પ્રતિનિધિમંડળો મોકલ્યા પરંતુ ત્યાં પણ તેમની ફજેતી થઈ. અમેરિકામાં તો સૌથી શ્રેષ્ઠ પ્રતિનિધિમંડળ મોકલ્યું ત્યારે યુ.એન.ના મુખ્યાલયમાં પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (પી.પી.પી.)ના પ્રમુખ અને પૂર્વ વિદેશમંત્રી બિલાવલ ભૂટ્ટો ઝરદારીએ દાવો કર્યો કે, પહેલગાંવ હુમલા પછી ભારતમાં મુસલમાનોને શેતાન તરીકે દર્શાવવામાં આવે છે. આવી જ ટીકા તે પછી યોજાયેલી એક પત્રકાર પરિષદમાં પણ કરી, પરંતુ ત્યાં ઉપસ્થિત એક વિદેશી પત્રકારે તેમને કહ્યું કે, 'ઓપરેશન સિંદુર' પછી ભારત અને પાકિસ્તાન તેમ બંને સેનાઓનાં પ્રેસ બ્રિફ્રિંગ મેં જોયા છે તેમાં ભારતનું પ્રેસ બ્રિફ્રિંગ એક મુસ્લીમ સેનાધિકારી યુવતી કર્નલ સોફિયા કુરેશીએ કર્યું હતું. વિડીયોમાં પણ તે પત્રકારને જોવા-સાંભળવા મળે છે. પત્રકારનાં આ કથન પછી ભૂટ્ટો મુંઝવણમાં પડી ગયા. તેનું ખંડન થઈ શકે તેમ જ ન હતું. તેઓએ માત્ર માથું હલાવ્યું જીભ સિવાઈ ગઈ હતી.
ઓપરેશન સિંદુર પછી ભારતીય સેનાનાં 'સિગ્નલ્સ-કોર'ના કર્નલ સોફિયા કુરેશી અને એરફોર્સનાં એક હેલિકોપ્ટર પાયલોટ વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ જેઓએ સૌથી પહેલો એટેક કર્યો હતો, તે બંને તેમજ વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ તે પ્રેસ બ્રિફ્રિંગ કર્યું હતું.